જમીનમાં પડેલા વાયરથી કરંટ લાગ્યો
મળતી માહિતી મુજબ ઓડ ગામે રહેતા વિનુ રાઠવાના 7 વર્ષીય પુત્ર સાહિલનું વીજ કરંટ (Electric Shock) લાગવાથી મોત થયું છે. બનાવની વિગત એવી છે કે, ગામમાંથી પસાર થતી એમજીવીસીએલની 24 કલાક ચાલતી વીજ લાઈનનો એક જીવંત વાયર (Live Electric Wire) નીચે જમીન પર પડેલો હતો. આ વાયરના સંપર્કમાં આવતા જ સાહિલને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો, જેને કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
તંત્રની ઘોર બેદરકારી
સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે વીજ વાયર નીચે લટકી રહ્યો હોવા અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં, એમજીવીસીએલના જવાબદાર અધિકારીઓ દ્વારા આ બાબતે કોઈ પણ પ્રકારની મરામત કે કામગીરી (Repair Work) કરવામાં આવી ન હતી. આ આળસ અને બેદરકારીના કારણે જ એક બાળકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. જેથી પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું છે.
પરિવાર અને ગામમાં ભારે આક્રોશ
બીજી તરફ આક્ષેપ થઈ રહ્યા છે કે ઘટનાના આટલા કલાકો બાદ પણ એમજીવીસીએલના જવાબદાર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા નથી. આટલું જ નહીં, જે વીજ લાઈનથી અકસ્માત થયો તે લાઈન હાલ પણ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે, જે અન્ય લોકો માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. આ બેદરકારી જોઈ પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ ઝોઝ પોલીસ (Zoz Police) ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ (Post-mortem) માટે ખસેડીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ LIVE: Gujarat Latest News: દસાડા તાલુકામાં તળાવ ઊંડા કરવાના પ્રોજેક્ટને લઈ વિવાદ, મીઠાઘોડાના ઉપસરપંચ સહિતનો વિરોધ