આયર્લેન્ડ સામે ભારતીય ટીમનો 0-2 થી પરાજય
આયર્લેન્ડ સામેની ટી20 સિરીઝમાં ભારતની રણનીતિ અને પ્લેઇંગ ઇલેવનની પસંદગી પર ક્રિકેટ વિવેચકો સતત સવાલો ઉઠાવી રહ્યા છે. બંને મેચોમાં ભારતીય બેટર્સ આયર્લેન્ડના બોલરો સામે ઘૂંટણિયે પડતા જોવા મળ્યા હતા. આ નબળા પ્રદર્શન વચ્ચે, ડોમેસ્ટિક ક્રિકેટમાં રનનો ડુંગર ખડકનાર 15 વર્ષીય ડાબોડી બેટર વૈભવ સૂર્યવંશીને એક પણ મેચમાં તક ન મળતા પ્રશંસકો અને પૂર્વ ખેલાડીઓ ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, જેના લીધે તેના ઇન્ટરનેશનલ ડેબ્યૂની રાહ વધુ લાંબી થઈ ગઈ છે .
ટીમ સિલેક્શન પર ઉઠેલા તીખા સવાલો
અહેવાલો મુજબ, ટીમ મેનેજમેન્ટે બીજા મુકાબલામાં બે નવા ચહેરા સૂર્યાંશ શેડગે અને પ્રિન્સ યાદવને અજમાવ્યા હતા. પ્રિન્સ યાદવે શાનદાર પ્રદર્શન કરતા ત્રણ વિકેટ ઝડપી હતી અને એક બોલમાં સિક્સર પણ ફટકારી હતી. પરંતુ આ પ્રયોગો વચ્ચે વૈભવ સૂર્યવંશી જેવા ઇન-ફોર્મ બેટરની બાદબાકી ઘણાને અકળાવી ગઈ છે.
લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કરની વૈભવ સૂર્યવંશીને લઈને સ્પષ્ટ રણનીતિ
હવે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની અને મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરે આ વિવાદ પર ખુલીને પોતાનો પક્ષ રાખ્યો છે . ગાવસ્કરે એક ખાસ ઇન્ટરવ્યુમાં સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટની આકરી આલોચના કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "હું છેલ્લા એક મહિનાથી સતત કહી રહ્યો હતો કે આયર્લેન્ડ જેવી સિરીઝમાં વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવો જોઈતો હતો, કારણ કે તે પોતાના કેરિયરના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં ચાલી રહ્યો છે."
યુવા ખેલાડીની પ્રતિભા ચકાસવી જોઈતી હતી
ગાવસ્કરે વધુમાં ઉમેર્યું કે, "તમે એક મેચમાં અભિષેક શર્માને રમાડી શક્યા હોત અને બીજા મુકાબલામાં તેને ડ્રોપ કરીને સંજુ સેમસનને અજમાવી શક્યા હોત. આપણે આવા પ્રયોગો સરળતાથી કરી શકતા હતા પણ મેનેજમેન્ટે એવું કર્યું નહીં. એવું બિલકુલ જરૂરી નથી કે વૈભવ રમતો તો તે મેચ જીતાડી જ દેત, કદાચ તે 10-15 રન બનાવીને આઉટ પણ થઈ ગયો હોત. પરંતુ જો તમારે ખરેખર યુવા ખેલાડીઓની પ્રતિભા ચકાસવી જ હતી, તો આયર્લેન્ડ સામેની આ બંને મેચો તેના માટે સૌથી શ્રેષ્ઠ તક હતી."
ઇંગ્લેન્ડ સામે 1 જુલાઈની મેચ માટે ગાવસ્કરનો માસ્ટરપ્લાન
સુનિલ ગાવસ્કરનું માનવું છે કે હવે જૂની વાતો ભૂલીને આગામી ઇંગ્લેન્ડ સામેની શ્રેણી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને ટીમ મેનેજમેન્ટ પાસે હવે વૈભવને તક આપવા સિવાય બીજો કોઈ યોગ્ય વિકલ્પ બચ્યો નથી. ગાવસ્કરે રણનીતિ આપતા કહ્યું કે, "1 જુલાઈએ ઇંગ્લેન્ડ સામે રમાનારી પ્રથમ ટી20 મેચમાં જ વૈભવને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળવું જોઈએ. સીધી વાત છે કે જે બેટ્સમેન હાલમાં આઉટ ઓફ ફોર્મ છે તેમને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર બેસાડો અને વૈભવ સૂર્યવંશીને બેટિંગ કરવાનો મોકો આપો."
ઓવરકોન્ફિડન્સનો ફાયદો ઉઠાવવાની નવી ફોર્મ્યુલા
ભૂતપૂર્વ સુકાનીએ એક રસપ્રદ પાસું રજૂ કરતા જણાવ્યું કે, જો ઓપનિંગ જોડીને ડિસ્ટર્બ ન કરવી હોય તો વૈભવને મિડલ ઓર્ડરમાં નંબર ત્રણ પર પણ ઉતારી શકાય છે. ઇંગ્લેન્ડની ટીમ ભારતને આયર્લેન્ડ સામે હારેલી જોઈને કદાચ ઓવરકોન્ફિડન્સ (અતિ આત્મવિશ્વાસ) માં આવી શકે છે અને ભારત આ જ બાબતનો ફાયદો ઉઠાવી શકે છે. જો વૈભવ સૂર્યવંશી પ્રથમ મેચમાં જ ધમાકેદાર ઇનિંગ રમી જશે તો ઇંગ્લિશ ટીમ દબાણ હેઠળ આવી જશે, જે શ્રેણીની જીત માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો : IND vs IRE 2nd T20I : આટલું ખરાબ તો ક્યારે નથી રમી ટીમ ઈન્ડિયા! આયર્લેન્ડ જેવી નબળી ટીમ સામે એકવાર ફરી હાર