Amit Khunt Case : પીડિત પરિવારના સમર્થનમાં સરપંચો, આગેવાનોની પ્રેસ કોન્ફોરન્સ, કરી આ માગ
- અમિત ખૂંટ આપઘાત કેસમાં મુખ્ય આરોપી હાલ પણ ફરાર, ન્યાય માટે ઊગ્ર માગ
- મૃતક અમિત ખૂંટના નિવાસસ્થાને વિવિધ ગામનાં સરપંચો તથા આગેવાનોની પ્રેસ કોન્ફોરન્સ
- ન્યાય નહીં મળે તો મૃતકનાં કાકા અને પરિવાર દ્વારા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારાઈ
- ગૃહ રાજ્યમંત્રી, પોલીસ વડા સુધી રજૂઆત કરાશે, પોલીસની સ્કોડ બનાવી તપાસ કરાવવા માગ
ગોંડલ તાલુકાનાં (Gondal) રીબડામાં અમિત ખૂંટ આપઘાત (Amit Khunt Case) પ્રકરણમાં હજું સુધી અનિરુદ્ધસિંહ તથા રાજદીપસિંહ પોલીસ પકડથી દૂર હોવાથી મૃતક અમિત ખૂંટના નિવાસસ્થાને વિવિધ ગામનાં સરપંચો તથા આગેવાનોની પ્રેસ કોન્ફોરન્સ યોજાઈ હતી, જેમાં ભાગતા ફરતા આરોપીઓની ધરપકડ કરવા સરકાર પાસે માગ કરાઇ હતી. અમિત ખૂંટના કાકા અને પરિવાર દ્વારા આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
આ પણ વાંચો - Amit Khunt Case : રીબડા યુવકના આપઘાત કેસમાં નવો વળાંક, બે યુવતી-વકીલની ધરપકડ
અમિત ખૂંટના પરિવાર પડખે આજે અઢારેય વર્ણ ઊભું છે : તાલુકા પંચાયતના ઉપપ્રમુખ
માહિતી અનુસાર, પ્રેસ કોન્ફોરન્સમાં અમિત ખૂંટના કાકા જેન્તીભાઈ ખૂંટે કહ્યું હતું કે, અનિરુદ્ધસિંહ જાડેજા (Aniruddha Singh Jadeja) પહોંચતી વ્યક્તિ છે. જે હજું સુધી પકડાયો નથી. રીબડા અમન અને શાંતિ ઝંખે છે. જો 15-20 દિવસમાં અનિરુદ્ધસિંહ તથા રાજદિપસિંહ નહીં જડપાય તો અમારો પરિવાર આત્મવિલોપન કરશે. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચિરાગભાઈ ગોળે કહ્યું કે, અમિત ખૂંટના પરિવાર પડખે આજે અઢારેય વર્ણ ઊભું છે. આ પ્રેસ કોન્ફોરન્સ માટે તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના તમામ સદસ્યો 79 ગામડાનાં સરપંચો અહીં હાજર છે. આ અન્યાયની સામે ન્યાયની લડત છે. અમિતે ન્યાય માટે જીવ ખોયો છે. સરકાર ગુનેગારોની સત્વરે ધરપકડ કરે તે જરુરી છે.
નવાગામનાં સરપંચનાં ગંભીર આરોપ
નવાગામનાં સરપંચ રમેશભાઈ કાકડિયાએ આક્ષેપ કર્યો હતો કે, અનિરુદ્ધસિંહ (Aniruddha Singh Jadeja) અને તેના મળતિયાઓ દ્વારા ગેરકાયદેસર હોટેલ બાંધી તેમાં કલબો ચલાવે છે અને દેશી દારુનું વેચાણ કરે છે. આ પેશકદમીને ત્વરિત હટાવવી જોઈએ. જ્યારે કિશાન મોરચાનાં પ્રમુખ લાલભાઈ તળાવિયાએ કહ્યું હતું કે, આરોપીઓ હજું સુધી પોલીસ પકડની બહાર છે. અમિતે ગત વિધાનસભાની ચૂંટણીમાં રીબડામાં ભાજપનો (BJP) ઝંડો ઊપાડ્યો હતો. રીબડામાં ક્યારેય ભાજપ તરફી મતદાન થયું ના હતું. અમિતે તે કરી બતાવ્યું હતું. ત્યારથી અમિત પર કાવા-દાવા શરુ થયા હતા. તેનો કાંટો કાઢવા પ્રયત્નો કરાતા હતા. ત્યારે તેને ન્યાય (Amit Khunt Case) મળવો જરુરી છે.
આ પણ વાંચો - Amit Khunt Case: MLA ગીતાબા જાડેજાએ અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
ગૃહ રાજ્યમંત્રી, પોલીસ વડા સુધી રજૂઆતો કરાશે : માર્કેટ યાર્ડ વેપારી મંડળનાં પ્રમુખ
માર્કેટ યાર્ડ વેપારી મંડળનાં પ્રમુખ (President of Market Yard) યોગેશભાઈ ક્યાડાએ કહ્યું હતું કે, અમિતને ફસાવનાર હનીટ્રેપનાં માસ્ટર માઇન્ડ કોણ છે ? એ ચિત્ર સ્પષ્ટ થઇ ચૂક્યું છે, જેથી સીટની રચના કરી તપાસ કરવા માંગ કરી હતી. તેમણે કહ્યું કે, આગામી સમયમાં તમામ સમાજને સાથે રાખી રણનીતિ ઘડાશે. ભરુડીનાં ઇન્દ્રજિતસિહ જાડેજાએ જણાવ્યું હતું કે, અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ (Rajdeep Singh Jadeja) તથા રહીમને પકડવા ગૃહ રાજ્યમંત્રી, પોલીસ વડા સુધી રજૂઆતો કરાશે. આરોપીઓ ક્રિમિનલ લોકો છે. ત્યારે પોપટભાઇ સોરઠીયા મર્ડર કેસમાં જે રીતે અલગ-અલગ સ્કોડ બનાવી તપાસ હાથ ધરાઇ હતી. તે રીતે પોલીસની સ્કોડ બનાવી તપાસ કરવા અને સૂત્રધારોને જડપી લેવા તેમણે માંગ કરી હતી.
'અમિતની ઘટના પછી રીબડાનાં યુવાનો ડર અનુભવે છે'
ગોવિંદભાઈ સગપરીયાએ કહ્યું હતું કે, અમિતની ઘટના (Amit Khunt Case) પછી રીબડાનાં યુવાનો ડર અનુભવે છે. અમિતના મૃતદેહ સ્વિકારતી વેળા પોલીસે આરોપીઓને જલ્દી ઝડપી લેવા ખાત્રી આપી હતી પણ તેનું પાલન થયું નથી. અનિરુદ્ધસિંહની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સરકાર જાણતી હોવા છતા કંઈ કરતી નથી. તાલુકા પંચાયત સભ્ય હરિશ્ર્ચંદ્રસિંહ ઝાલા, મોટા ઉમવાડા સરપંચ ભૂપતભાઇ ડાભી, તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઇ ઠુંમર સહિત તમામ લોકો દ્વારા વહેલી તકે અનિરુદ્ધસિંહ સહિતનાં મુખ્ય સૂત્રધારોને ઝડપી લેવા સરકારમાં માગ કરાશે તેવું જણાવ્યું હતું. પ્રેસ કોન્ફોરન્સમાં સામતભાઇ બાંભવા, દિપકભાઈ રુપારેલીયા, કરણસિંહ જાડેજા, બેટાવડ સરપંચ હરુભા, ઘોઘાવદર સરપંચ હરેશભાઈ સાવલીયા સહિત સરપંચો હાજર રહ્યા હતા.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Gondal : બન્ની ગજેરા અને પિયુષ રાદડિયા સામે ગંભીર આક્ષેપો સાથે વધુ એક ફરિયાદ