રસ્તામાં રોકીને શરૂ કર્યો ઝઘડો
મળતી માહિતી અનુસાર, મેઘરજના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા તોહિદ મુસ્તુફાભાઈ કાજી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે નિશારભાઈ મુજાદભાઈ કાજી, સદ્દામ નિશારભાઈ કાજી, ઇનાયતભાઈ ઉર્ફે ગફુરભાઈ નિશારભાઈ કાજી અને સોહિલ ચૌહાણે તેમને રસ્તામાં રોક્યા હતા. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો શરૂ થયો હતો.
ચપ્પાથી જીવલેણ હુમલો
ઝઘડો ઉગ્ર બનતા ઇનાયતભાઈ ઉર્ફે ગફુરભાઈ નિશારભાઈ કાજીએ તોહિદભાઈ પર ચપ્પાથી હુમલો કર્યો હતો. હુમલામાં તોહિદભાઈને ગંભીર ઇજા પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડ્યા હતા. ઘટના દરમિયાન આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.
બચાવવા આવેલા પિતાને પણ માર માર્યો
તોહિદભાઈની ચીસો સાંભળીને બચાવવા માટે દોડી આવેલા મુસ્તુફાભાઈ કાજી પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આરોપી સદ્દામ કાજીએ લોખંડના સળિયાથી તેમના માથાના ભાગે ઘાતક પ્રહાર કર્યો હતો. અન્ય આરોપીઓએ પણ લાકડીઓ વડે હુમલો કરી તેમને ઇજાગ્રસ્ત બનાવ્યા હતા. બંનેને ગંભીર ઇજાઓ પહોંચતાં સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર
હુમલા બાદ તમામ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તરત જ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરી હતી.
મેઘરજથી મોડાસા હોસ્પિટલમાં રિફર
લોહીથી લથપથ હાલતમાં બંને ઇજાગ્રસ્તોને પ્રથમ મેઘરજની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ઇજાઓ ગંભીર હોવાને કારણે વધુ સારવાર માટે બંનેને મોડાસાની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો
આ સમગ્ર મામલે ઇરફાનભાઈ ઉસ્માનભાઈ કાજીએ મેઘરજ પોલીસ સ્ટેશનમાં સચોટ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે નિશારભાઈ મુજાદભાઈ કાજી, સદ્દામ નિશારભાઈ કાજી, ઇનાયતભાઈ ઉર્ફે ગફુરભાઈ નિશારભાઈ કાજી અને સોહિલ ચૌહાણ સામે હત્યાના પ્રયાસ સહિત ભારતીય દંડ સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી સઘન તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ Aravalli News: અરવલ્લીના શામળાજી નજીક CCTV થાંભલામાં આગ, કેમેરાઓને મોટું નુકસાન
આ પણ વાંચોઃ Vadodara ના રોડ પર અચાનક મહાકાય મગરની એન્ટ્રી, વાહનચાલકોના જીવ તાળવે ચોટ્યા!