રૂમમાંથી મળ્યા દંપતીના મૃતદેહ
મૃતકોની ઓળખ પ્રવિણભાઈ ઉદેસિંગ રાઠવા (ઉંમર 37 વર્ષ) અને તેમની પત્ની વર્ષાબેન પ્રવિણભાઈ રાઠવા (ઉંમર 35 વર્ષ) તરીકે થઈ છે. બંને તારંગા ધામમાં રહેતા હતા અને પૂજારી તરીકે સેવા આપતા હતા. ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી.
બાળકો સ્કૂલેથી આવાતા ખબર પડી
પ્રાથમિક માહિતી મુજબ સવારના સમયે પ્રવિણભાઈએ પોતાની તબિયત સારી ન હોવાનું જણાવી મંદિરની પૂજા અને સફાઈનું કામ અન્ય લોકોને સોંપ્યું હતું. ત્યારબાદ તેઓ પોતાના રૂમમાં જતાં રહ્યા હતા. બપોરે સ્કૂલેથી પરત આવેલા તેમની 11 વર્ષીય દીકરી અને 8 વર્ષીય દીકરાએ રૂમનો દરવાજો અંદરથી બંધ જોયો હતો. બાળકોને શંકા જતાં તેમણે મંદિરના ચોકીદારને જાણ કરી હતી.
બારીનો કાચ તોડી અંદર જોતા ચોંકાવનારા દ્રશ્યો
ચોકીદારે રૂમની પાછળની બારીનો કાચ તોડી અંદર નજર કરતાં પ્રવિણભાઈનો મૃતદેહ પંખા સાથે લટકતો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસની હાજરીમાં રૂમનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતાં જમીન પર લોહીલુહાણ હાલતમાં વર્ષાબેનનો મૃતદેહ મળ્યો હતો.
મોબાઈલ રિચાર્જ બાબતે બોલાચાલી થઈ હોવાની આશંકા
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મોબાઈલમાં રિચાર્જ કરાવવા જેવી સામાન્ય બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન પ્રવિણભાઈએ લાકડી વડે પત્નીના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હોવાની આશંકા છે. ઇજાના કારણે વર્ષાબેનનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારબાદ પ્રવિણભાઈએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.
પોલીસ તમામ પાસાઓની તપાસમાં લાગી
ધ્રાંગધ્રા પોલીસના ઇન્ચાર્જ પીઆઇ એન.એચ. ચુડાસમાએ જણાવ્યું હતું કે ઘટનાના ચોક્કસ કારણ અંગે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ ચાલી રહી છે. ફોરેન્સિક ટીમની મદદથી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.
બે સંતાનોએ ગુમાવી માતા-પિતાની છત્રછાયા
આ દુઃખદ ઘટનામાં દંપતીના બે નાના સંતાનોએ એક જ દિવસમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલ તેમની જવાબદારી પરિવારજનોએ સંભાળી છે. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈને ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ Surendranagar Crime: તારંગા ધામમાંથી પૂજારી અને પત્નીના મૃતદેહ મળતાં ચકચાર, જાણો સમગ્ર મામલો