Valsad: આ કેવી અંધશ્રદ્ધા, પારડીમાં યુવતીની લાશને પ્લાસ્ટિક સાથે સળગાવી
- વલસાડના પારડીના પલસાણામાં ચકચારિત ઘટના બની
- ભગત ભુવાના મેલી વિદ્યામાં એક યુવતીને અપાયા જીવલેણ ડામ
- યુવતીના અંતિમ સંસ્કાર માટે મૃતદેહ લઈ જવાતા ઘટના આવી બહાર
શિક્ષણનું સ્તર ઉંચુ જઈ રહ્યું હોવા છતાં સમાજમાં હજુ પણ અંધશ્રદ્ધા નાબૂદ થતી નથી. ભગત-ભુવાનું ચલણ હજુ પણ યથાવત હોય એવું લાગી રહ્યું છે, કારણ કે પારડીના પલસાણા ગામમાં 22 વર્ષીય યુવતીના મૃતદેહને અંતિમક્રિયા માટે સ્મશાનમાં લઈ જવાયો હતો. ત્યારે ચિતા પર મુકેલી યુવતીના શરીર પર ડામ અપાયેલા નિશાન મળતાં ગ્રામજનો ચોંકી ઉઠયા હતાં. આવેશમાં આવેલા સાથી કર્મીઓએ ભુવા (જમાઈ)ને બે તમાચા મારતા તે સ્મશાન છોડી ભાગી છૂટયો હતો.
ગ્રામજનોએ જાણ કરતાં પોલીસે પરિવારજનોના નિવેદનો લીધા
ગ્રામજનોએ જાણ કરતાં પોલીસે પરિવારજનોના નિવેદનો લીધા છે, પરંતુ હજુ સુધી પોલીસ-પરિવારજનો કશું બોલવા તૈયાર નથી. પારડીના પલસાણા ગામમાં અર્જુનભાઇ હળપતિને પાંચ દીકરી છે. જેમાં બેના લગ્ન થઈ ચૂક્યા છે અને ત્રીજા નંબરની દિવ્યા નામની દીકરી દમણની સેલો કંપનીમાં કામ કરતી હતી, પરંતુ થોડા મહિનાથી કોઇક કારણોસર તે કંપનીમાં જતી ન હતી. તેને લગ્ન કરવા માતા-પિતાએ છોકરો શોધવા કહ્યું હતું. 12 એપ્રિલે દિવ્યાને ખેંચ આવતા ઇજા થવાથી તે વાપીની હોસ્પિટલમાં સારવાર અર્થેખસેડાઇ હતી. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જે બાદ પલસાણા ગામના સ્મશાનગૃહમાં મૃતક યુવતીની અંતિમક્રિયા માટે ગ્રામજનો, સંબંધીઓ અને મિત્રો એકત્ર થયા હતા. આ દરમિયાન ચિતા પર રખાયેલા યુવતીના મૃતદેહના શરીર પર ડામ અપાયેલા નિશાન જોવા મળતા ગ્રામજનો ચોંકી ઉઠયા હતાં. માથા, પગ અને પેટ પર થયેલી ઈજાઓ જોઈ ત્યાં હાજર સૌના હૃદય કંપી ઉઠયા હતાં.
સ્મશાનમાં ભુવા(જમાઈ)ને માર મારતા તે સ્થળ પરથી ભાગી ગયો
કેટલાક યુવાનોએ સ્મશાનમાં ભુવા(જમાઈ)ને માર મારતા તે સ્થળ પરથી ભાગી ગયો હતો. ગ્રામજનોએ આ કેસમાં મૃતક દિકરીને ન્યાય મળે તે માટે પોલીસને જાણ કરતાં પારડી પોલીસે તપાસ શરૂ કરી છે. ભુવા(જમાઈ)ની પોલીસે પૂછપરછ કરી નિવેદનો લીધા હોવાની માહિતી મળી રહી છે, પરંતુ પરિવાર અને પારડી પોલીસ આ ઘટના મામલે હજુ સુધી કશું કહેવા તૈયાર નથી અને પીએમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. આ કેસમાં પરિવારજનોની ભૂમિકા હજુ સુધી સ્પષ્ટ થતી નથી. કારણ કે પુત્રીના અંતિમવિધિમાં બોડીને ખોલવા વગર પ્લાસ્ટિક વિટાવેલી હાલતમાં જ અગ્નિદાહની તૈયારી કરવામાં આવી હતી, પરંતુ મૃતક યુવતીની સાથી યુવતીઓએ બોડી ખોલવાનો આગ્રહ કર્યો હતો, પરંતુ પરિવારે ના પાડતા હાજર ગ્રામજનોને શંકા ગઇ હતી. જેથી બોડી ખુલતાં જ ડામ આપવામાં આવ્યાં તે ચોંકાવનારી માહિતી બહાર આવી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પરિવાર યુવતીની લાશને પ્લાસ્ટિક સાથે જ કેમ સળગાવવા માગતા હતા તે પણ એક પ્રશ્ન છે.
આ પણ વાંચો: Ahmedabad : ગંદકીમાં બને છે પિત્ઝા ! પ્રખ્યાત પિત્ઝા રેસ્ટોરન્ટની લાલિયાવાડી