Dhruv Rathee Delhi High Court: હિન્દુ દેવી-દેવતાઓ પર વિવાદાસ્પદ ટિપ્પણીનો આરોપ
આ સમગ્ર વિવાદ ધ્રુવ રાઠીના 21 માર્ચના રોજ અપલોડ થયેલા એક વીડિયો સાથે જોડાયેલો છે. આ વીડિયોનું શીર્ષક 'શું હિન્દુઓ બીફ ખાઈ શકે છે? કેરળ સ્ટોરી 2 નો પર્દાફાશ' એવું રાખવામાં આવ્યું હતું. અરજદાર અને વકીલ અમિતા સચદેવાનો આરોપ છે કે, આ વીડિયોમાં ભગવાન શ્રીરામ, માતા સીતા અને ભગવાન શ્રીકૃષ્ણ વિશે વાંધાજનક વાતો કહેવામાં આવી છે. વીડિયોમાં તેમના માંસ અને મદિરાના સેવન અંગે કથિત ટિપ્પણીઓ થવાથી દેશના કરોડો લોકોની ધાર્મિક લાગણીઓને ઊંડી ઠેસ પહોંચી છે.
Dhruv Rathee Delhi High Court: કેન્દ્ર સરકારે વીડિયોને સમાજમાં વિભાજન કરનારો ગણાવ્યો
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ચેતન શર્માએ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમના મતે યુટ્યુબ જેવા ઈન્ટરમીડિયરી પ્લેટફોર્મ્સે આ પ્રકારના સંવેદનશીલ વિષયો પર યોગ્ય સાવચેતી રાખવી જોઈતી હતી. આવી આપત્તિજનક અને નફરત ફેલાવતી સામગ્રીને તાત્કાલિક હટાવી દેવી અનિવાર્ય છે. તેમણે અદાલત સમક્ષ સ્પષ્ટ કર્યું હતું કે ધ્રુવ રાઠીનો આ વીડિયો સમાજમાં નુકસાન પહોંચાડનારો અને ભાગલા પાડનારો સાબિત થઈ રહ્યો છે.
ગૂગલ પોતે વીડિયો હટાવે અથવા કોર્ટ આદેશ આપે
સુનાવણી દરમિયાન એએસજીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કાં તો ગૂગલ કંપની પોતે જ આ વીડિયોને હટાવવાનો નિર્ણય લે અથવા અદાલતે આ બાબતે યોગ્ય આદેશ જાહેર કરવો જોઈએ. બહુમતી સમુદાયની ધાર્મિક આસ્થાઓને ઠેસ પહોંચાડતા કન્ટેન્ટને કોઈ પણ સોશિયલ મીડિયા મંચ પર સ્થાન ન મળવું જોઈએ. બીજી તરફ, ગૂગલ કંપનીના વકીલે કોર્ટને માહિતી આપી હતી કે તેઓ અરજદારને પોતાનો જવાબ મોકલી ચૂક્યા છે અને આ મામલે જીએસી સમક્ષ અપીલ પણ દાખલ થઈ ગઈ છે.
જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માનો 15 દિવસનો અલ્ટીમેટમ
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની બેન્ચે આ કેસમાં કડક વલણ અપનાવ્યું હતું. તેમણે જીએસી કમિટીને 15 દિવસની અંદર આ અપીલ પર સુનાવણી કરીને આખરી નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે. હાલના તબક્કે હાઈકોર્ટે પ્લેટફોર્મ પરથી વીડિયો હટાવવા અંગે સીધો કોઈ અંતિમ ફેંસલો સંભળાવ્યો નથી. હવે આગામી દિવસોમાં આવનારા જીએસીના નિર્ણય પર સૌની નજર ટકેલી છે.
આ પણ વાંચો--- Indra Nooyi Statement: ઈન્દિરા નૂઈનું વિવાદાસ્પદ નિવેદન, 'જો ભારત હોત તો ક્યારેય CEO ન બની શકી હોત', ચીનના કર્યા ભરપેટ વખાણ