Supreme Court નો મોટો ચુકાદો: લિફ્ટ તૂટી પડવાથી કે ફસાવાથી મોત થાય તો કોણ જવાબદાર?
Supreme Court Judgement on Lift Accident: કોઈપણ મોલ, હોસ્પિટલ, ઓફિસ કે વિશાળ રેસિડેન્શિયલ સોસાયટી (Residential Society)માં આજે લિફ્ટ (Lift) એ આપણી રોજિંદી જિંદગીનો અવિભાજ્ય હિસ્સો બની ચૂકી છે. દરરોજ લાખો લોકો કોઈ પણ ડર વગર લિફ્ટનો ઉપયોગ કરે છે. પરંતુ, જ્યારે ક્યારેક લિફ્ટ અચાનક રોકાઈ જાય, નીચે સરકી જાય કે તેમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાય, ત્યારે એક મોટી જાનહાની અને અકસ્માત સર્જાઈ શકે છે.
આવા કિસ્સાઓમાં લોકોના મનમાં અવારનવાર એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે જો લિફ્ટ ખરાબ થવાને કારણે કોઈનું મોત થાય કે કોઈ ગંભીર રીતે ઘવાય, તો તેની આખરી જવાબદારી કોની ગણાય?
આ જ મહત્વપૂર્ણ પ્રશ્નનો સ્પષ્ટ અને સચોટ જવાબ સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં આપવામાં આવ્યો છે, જેણે સામાન્ય નાગરિકોના અધિકારોને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવી દીધા છે. દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો છે કે લિફ્ટનું મેન્યુફેક્ચરિંગ અને તેનું મેન્ટેનન્સ (Maintenance) કરતી કંપનીઓ પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. કોર્ટે જણાવ્યું કે આવી કંપનીઓ પર અત્યંત સાવધાની અને સુરક્ષા વર્તવાની કાનૂની ફરજ છે, કારણ કે લિફ્ટ એક એવું મશીન છે જેની સાથે દરરોજ હજારો લોકોના જીવ જોડાયેલા હોય છે.
'કંપની પોતાની કાનૂની જવાબદારીથી ભાગી શકતી નથી'
જો લિફ્ટ સર્વિસ આપતી કંપની સમયસર ટેકનિકલ તપાસ કરતી નથી, ખામીઓને સુધારી શકતી નથી અથવા તો સુરક્ષાના કડક નિયમોનું પાલન નથી કરતી અને તેના પરિણામે અકસ્માત સર્જાય છે, તો તેના માટે કંપનીને જ સીધી રીતે જવાબદાર ઠેરવી શકાશે. દેશની સર્વોચ્ચ અદાલતનો આ ચુકાદો વર્ષ 2003માં રો, RAW (Research and Analysis Wing)ના અધિકારી વિપિન હાંડા (Vipin Handa)ના લિફ્ટ અકસ્માતમાં થયેલા દુઃખદ મોત સાથે જોડાયેલા કેસમાં આવ્યો છે.
કોર્ટે સ્પષ્ટપણે સ્વીકાર્યું કે લિફ્ટ ઉત્પાદક કંપની ઓટિસ એલિવેટર ઇન્ડિયા લિમિટેડ, OTIS Elevator (India) Ltd. પોતાની જવાબદારીથી બચી શકે નહીં. અદાલતે એ નોંધ્યું કે કંપનીને લિફ્ટમાં અગાઉથી આવતી ટેક્નિકલ સમસ્યાઓની જાણકારી હતી છતાં સુરક્ષા સુનિશ્ચિત કરવા સમયસર જરૂરી કદમ ઉઠાવવામાં આવ્યા નહોતા.
જાણો સમગ્ર કેસ અને ઘટના શું હતી?
20 March 2003ના રોજ નવી દિલ્હી (New Delhi) સ્થિત સીજીઓ કોમ્પ્લેક્સ (CGO Complex)માં આવેલા RAW કાર્યાલયમાં વરિષ્ઠ અધિકારીઓની એક અગત્યની બેઠક પૂર્ણ થઈ હતી. બેઠક બાદ તમામ અધિકારીઓ લિફ્ટ નંબર-6 દ્વારા નીચે આવી રહ્યા હતા. આ દરમિયાન લિફ્ટ છઠ્ઠા અને સાતમા માળની વચ્ચે અચાનક ટેકનિકલ ખામીના કારણે રોકાઈ ગઈ હતી. એ સમયે લિફ્ટમાં કુલ 13 લોકો સવાર હતા. સ્થાનિક સ્ટાફે મેન્યુઅલ પદ્ધતિથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું.
એક અધિકારીને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા, પરંતુ જ્યારે બીજા અધિકારી વિપિન હાંડા (Vipin Handa)ને બહાર કાઢવામાં આવી રહ્યા હતા, ત્યારે જ લિફ્ટ અચાનક નીચે તરફ સરકી ગઈ હતી. આ દર્દનાક દુર્ઘટનામાં તેમનું માથું ફસાઈ ગયું અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. બાકીના અધિકારીઓને પછીથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકના પરિવારે ન્યાય માટે લાંબી કાનૂની લડાઈ લડી. વર્ષો સુધી આ મામલો વિવિધ અદાલતોમાં ચાલ્યો અને આખરે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો.
તપાસ અને ટેકનિકલ રિપોર્ટમાં કયા ચોંકાવનારા ખુલાસા થયા?
ઘટના બાદ કરાયેલી ટેકનિકલ તપાસમાં અનેક ગંભીર બાબતો સામે આવી હતી. તપાસ રિપોર્ટ અનુસાર, આ ચોક્કસ લિફ્ટ અગાઉ પણ કોઈ કારણ વગર અવારનવાર રોકાઈ જતી હતી. આ ઉપરાંત રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે વીજળીના વોલ્ટેજમાં ઉતાર-ચઢાવ (Voltage Fluctuation)ની સમસ્યા હતી અને તેને ઉકેલવા જરૂરી પગલાં લેવાયા નહોતા. લિફ્ટ ઓપરેટરોને પણ કટોકટીના સમયે બચાવ કાર્ય કરવા અંગે પૂરતી તાલીમ આપવામાં આવી નહોતી. વધુમાં, ઘટનાના સમયે મેન્ટેનન્સ કંપનીની ટીમ સ્થળ પર કેમ હાજર નહોતી અને શું સુરક્ષા વ્યવસ્થા પર્યાપ્ત હતી કે નહીં તે અંગે પણ મોટા સવાલો ઊભા થયા હતા.
કંપની OTIS દ્વારા કોર્ટમાં શું દલીલ કરવામાં આવી?
ઓટિસ (OTIS) કંપનીએ અદાલતમાં પોતાનો બચાવ કરતા દાવો કર્યો હતો કે અકસ્માત તેમની બેદરકારીથી થયો નથી. ઘટના સમયે તેમના કર્મચારીઓ સ્થળ પર નહોતા અને બચાવ કામગીરી અન્ય બિનતાલીમી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. કંપનીએ એવી પણ રજૂઆત કરી કે વીજળીની સમસ્યા અને રેસ્ક્યૂ દરમિયાન થયેલી માનવીય ભૂલ અકસ્માતનું મુખ્ય કારણ હતી.
OTIS નો દાવો હતો કે જો તેમના ટેકનિકલ સ્ટાફની રાહ જોવામાં આવી હોત તો અકસ્માત ટાળી શકાયો હોત. તેમણે એવું પણ જણાવ્યું કે વોલ્ટેજના ઉતાર-ચઢાવ અંગે મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ, MES (Military Engineering Service)ને પહેલાથી જાણ કરી દેવાઈ હતી, તેથી તેમની પૂરેપૂરી જવાબદારી ન ગણાય.
જોકે, NCDRC (National Consumer Disputes Redressal Commission) દ્વારા આ કેસમાં OTIS ને સૌથી વધુ જવાબદાર માનવામાં આવી હતી. કમિશને 70% જવાબદારી OTIS, 25% MES અને 5% RAW પર નક્કી કરી હતી. તેમજ પીડિત પરિવારને વ્યાજ સાથે 3.01 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. બાદમાં RAW અને MES ની અપીલો રદ થઈ ગઈ હતી. જે બાદ સુપ્રીમ કોર્ટમાં માત્ર OTIS ની અપીલ પર સુનાવણી થઈ, પરંતુ સર્વોચ્ચ અદાલતે પણ તેમની દલીલો ફગાવીને NCDRC ના નિર્ણયને યથાવત રાખ્યો.
સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદામાં શું ટિપ્પણી કરી?
સુપ્રીમ કોર્ટે (Supreme Court) જણાવ્યું કે લિફ્ટ જેવા મશીનો સીધા માનવ જીવન અને સુરક્ષા સાથે જોડાયેલા હોય છે. તેથી તેનું ઉત્પાદન અને મેન્ટેનન્સ કરતી કંપનીઓની જવાબદારી સામાન્ય સેવાઓ કરતાં ઘણી વધારે હોય છે. કોર્ટે નોંધ્યું કે જો કંપનીને લિફ્ટમાં આવતી ખામીઓ અંગે અગાઉથી જાણ હોય અને છતાં તેણે સમયસર તેને ઠીક ન કરી હોય, તો તે સ્પષ્ટપણે કંપનીની ગુનાહિત બેદરકારી જ ગણાશે.
આ ચુકાદાની સામાન્ય નાગરિકો પર શું અસર પડશે?
સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય એ તમામ લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ છે જેઓ દરરોજ મોલ, હોસ્પિટલ્સ, હોટેલ્સ, સરકારી અને ખાનગી ઓફિસો કે હાઉસિંગ સોસાયટીઓની લિફ્ટનો ઉપયોગ કરે છે. આ ચુકાદા બાદ લિફ્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ અને બિલ્ડિંગ મેનેજમેન્ટ (Building Management)ની જવાબદારી ઘણી વધી જશે. તેમણે લિફ્ટનું રેગ્યુલર ઇન્સ્પેક્શન (Regular Inspection) અને મેન્ટેનન્સ કરવું ફરજિયાત બનશે.
જો લિફ્ટ અકસ્માત થાય તો કાનૂની માર્ગ કયો?
જો લિફ્ટની ખામીના કારણે કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત કે મોત થાય, તો પિડીત પરિવાર પોલીસ ફરિયાદ (Police Complaint) નોંધાવી શકે છે અથવા ગ્રાહક સુરક્ષા કમિશન (Consumer Commission) અને સિવિલ કોર્ટમાં વળતર માટે દાવો કરી શકે છે. તપાસમાં બેદરકારી પુરવાર થાય તો કંપની અને બિલ્ડિંગ મેનેજમેન્ટ બંને દંડ અને કાનૂની કાર્યવાહી માટે જવાબદાર બનશે.

