Bhagwat Dharma : પરાભક્તિનું પરમ સરનામું: બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ
પ્રમુખસ્વામી મહારાજ: પરાભક્તિના પરમ આરાધક અને જીવંત હૃદય
Bhagwat Dharma : શાંડિલ્યસૂત્રમાં ભક્તિની એક અદભૂત વ્યાખ્યા છે: ‘સા પરાનુરક્તિરીશ્વરે।’ એટલે કે ઇષ્ટદેવ પ્રત્યેનો સર્વોચ્ચ અને અનન્ય અનુરાગ એ જ ‘પરાભક્તિ’. શાસ્ત્રોમાં વર્ણવેલી આ ઉચ્ચકોટીની ભક્તિના તમામ લક્ષણો જો કોઈ એક વ્યક્તિત્વમાં મૂર્તિમંત થયા હોય, તો તે અનાદિ અક્ષરબ્રહ્મની પરંપરાના વાહક એટ્લે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ-Pramukh Swami.
Bhagwat Dharma -પરાભક્તિ: મનનું ભગવાનમાં તન્મય થવું
ભક્તિ માત્ર ક્રિયા નથી, પણ એક અવસ્થા છે. જ્યારે ચિત્તવૃત્તિ ઇષ્ટદેવની સાકાર મૂર્તિમાં એવી રીતે પરોવાઈ જાય કે ભગવાન સિવાય અન્ય કોઈ વસ્તુ મોટી ન લાગે, ત્યારે તે પરાભક્તિ બને છે. વિષ્ણુપુરાણ અને શ્રીધર સ્વામી આ ભક્તિને 'પરમ પ્રીતિ' કહે છે—એવી પ્રીતિ જેવી એક વિષયાસક્ત વ્યક્તિને વિષયોમાં હોય, પણ અહીં તેનું કેન્દ્ર માત્ર 'અચ્યુત' (પરમાત્મા) હોય છે.
Bhagwat Dharma -એકાંતિક ધર્મ: બ્રહ્મરૂપ થઈને ભક્તિનો નવો રાહ
ભગવાન શ્રી સ્વામિનારાયણે ભક્તિમાર્ગમાં એક ક્રાંતિકારી સિદ્ધાંત સ્થાપ્યો: ‘નિજાત્માનં બ્રહ્મરૂપમ્...’ અર્થાત્ પોતે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી. ગીતા પણ આ જ વાતને ‘બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા...’ કહીને પુષ્ટિ આપે છે.
પ્રમુખસ્વામી મહારાજનું જીવન આ જ ‘એકાંતિક ધર્મ’નું જીવંત દર્શન હતું. તેમના જીવનમાં ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિના સંગાથે વણાયેલા હતા. શ્રીહરિએ વચનામૃતમાં કહ્યું છે તેમ, આવી ભક્તિ ગ્રંથો વાંચવાથી નહીં, પણ પ્રમુખસ્વામી જેવા નિર્વાસનિક મોટાપુરુષની સેવા કરવાથી જ જીવના હૃદયમાં ઉદય પામે છે.
ઠાકોરજી પ્રત્યેનું અખંડ અનુસંધાન
શ્રીમદ્ ભાગવતમાં ભક્તના જે દસ લક્ષણો બતાવ્યા છે, તે પ્રમુખસ્વામી મહારાજમાં કુદરતી રીતે દેખાતા. તેમની ભક્તિના કેટલાક વિશિષ્ટ પાસાઓ અહીં નોંધવા જેવા છે:
સતત સ્મરણ: વહેલી સવારે ‘મહારાજ-સ્વામી’ના રટણ સાથે આંખ ખુલે અને મોડી રાત્રે તે જ મંત્ર સાથે નિદ્રામાં સરે. ગાઢ નિદ્રામાં પણ તેમનું હૃદય ઠાકોરજીના અનુસંધાનમાં જ હોય.
ભગવાનનું પ્રધાનપણું: તેમની પ્રત્યેક ક્રિયાના કેન્દ્રમાં ઠાકોરજી હતા. તેઓ જમવા બેસે ત્યારે પણ તેમનું ચિત્ત ભગવત્-કથામાં મગ્ન હોય.
સમદ્રષ્ટિ: ભાગવતના લક્ષણ મુજબ, તેઓ બ્રાહ્મણ હોય કે શૂદ્ર, સજ્જન હોય કે દુર્જન, સૌને સમાન નજરે જોતા. કારણ કે તેઓ દરેકની અંદર પરમાત્માના દર્શન કરતા.
સેવા અને સમર્પણ: તેમણે પોતાનું મન, બુદ્ધિ અને ચિત્ત સંપૂર્ણપણે ભગવાનને અર્પી દીધા હતા. તેમના દ્વારા થયેલા વિશાળ મહોત્સવો અને પર્વો માત્ર સામાજિક મેળાવડા નહીં, પણ ઠાકોરજીની પ્રસન્નતા માટેના ભક્તિ-સત્રો હતા.
પ્રમુખસ્વામી મહારાજ એ પરાભક્તિનું એવું નિવાસસ્થાન હતા, જ્યાં સ્પર્ધા, અહંકાર કે તિરસ્કારને કોઈ સ્થાન નહોતું. જેમને જોતા જ ભગવાન યાદ આવી જાય અને જેમનો પ્રસંગ કરતા જ હૃદયમાં ભક્તિનો ઉદય થાય, તેવા તેઓ પરમ એકાંતિક સંત હતા. તેમની આ પરાભક્તિ જ હજારો મુમુક્ષુઓ માટે મોક્ષનો અને ભગવાન સુધી પહોંચવાનો રાજમાર્ગ બની રહી છે.
આ પણ વાંચો : Jatayu : નથી લાગતું કે આપણી ‘જટાયુવૃત્તિ’ જ મરી ગઈ છે?


