Dharmabhakti : ગુપ્તદાન શા માટે ગણાય છે મહત્વનું ? કઈ વસ્તુઓનું ગુપ્તદાન કરવાથી ભાગ્ય ચમકે છે ?
- હિન્દુ ધર્મમાં ગુપ્તદાન (secret donation)ને શ્રેષ્ઠદાન ગણવામાં આવે છે
- તાંબાના લોટા, આસન અને મીઠાનું ગુપ્તદાન કરવાથી ઈશ્વર પ્રસન્ન થાય છે
- મંદિરમાં તાંબાના લોટાનું ગુપ્તદાન કરવાથી મહાદેવજીની અપરંપાર કૃપા થાય છે
Dharmabhakti : ભારત જેવા વિશાળ દેશમાં દાનનો મહિમા પૌરાણિક કાળથી ગવાતો આવ્યો છે. આજે પણ ભારતમાં દાનની જે સરવાણી વહે છે તે ઉદાહરણીય છે. દાનના વિશેષ પ્રકારોમાં ગુપ્તદાન (secret donation) ને સૌથી મહત્વનું ગણવામાં આવે છે. તેનું મુખ્ય કારણ છે કે ગુપ્તદાનમાં અહંમની અભિવ્યક્તિ હોતી નથી. ગુપ્તદાનથી દાન લેનારનો અહમ ઘવાતો નથી અને દાન આપનારનો અહમ વધતો નથી. તેથી જ ઈશ્વરને ગુપ્તદાન બહુ પસંદ હોય છે.
ગુપ્તદાનનો મહિમા
હિન્દુ ધર્મમાં ગુપ્તદાનનું વિશેષ મહત્વ છે. ગુપ્તદાન કરવાથી દાન આપનારનું ભાગ્ય ચમકી ઉઠે છે. જ્યારે ગુપ્તદાન સ્વીકારને કોઈ પ્રકારની લઘુતાગ્રંથી બંધાતી નથી. ગુપ્તદાન અનાદિકાળથી કરવામાં આવતું દાન છે. ગુપ્તદાનનું સૌથી મોટું ઉદાહરણ ભગવાન શ્રી કૃષ્ણ (Lord Shree Krishna) એ સુદામા (Sudama)ને કરેલ દાન છે. જ્યારે સુદામા ભગવાન શ્રી કૃષ્ણને મળવા દ્વારકા પહોંચ્યા ત્યારે તેમની પાસે માત્ર તાંદૂલ હતા. તેના બદલામાં ભગવાન શ્રી કૃષ્ણએ કોઈપણ જાહેરાત વિના સુદામાને ગુપ્તદાન કર્યુ હતું. તેથી જ હિન્દુ ધર્મમાં ગુપ્તદાનનો વિશેષ મહિમા જોવા મળે છે.
કઈ વસ્તુનું ગુપ્તદાન કરવું જોઈએ ?
હિન્દુ ધર્મમાં કેટલીક ખાસ વસ્તુઓનું ગુપ્તદાન કરવાથી અનેકગણું પૂણ્ય મળે છે. જેમાં પૂજા સામગ્રી, અનાજ, ફળફળાદી, વિવિધ ધાતુના સિક્કા, અલગ અલગ રંગના કપડાં તેમજ ગાયનું ગુપ્તદાન કરવાનો અનેરો મહિમા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યો છે. ગુપ્તદાનથી તમારી ઊર્જામાં સકારાત્મકતા અને શુદ્ધતાનો સંચાર થાય છે. જો તમે જીવનમાં આર્થિક રીતે સમૃદ્ધ થવા ઈચ્છતા હોવ તો કેટલીક ચોક્કસ વસ્તુઓનું ગુપ્ત દાન કરવું જ જોઈએ.
આસન
હિન્દુ ધર્મમાં પૂજા કરતી વખતે આસન પર બેસવું યોગ્ય ગણાય છે. આસન પર બેસીને કરવામાં આવતી પૂજાથી શરીરમાં રહેલ ઊર્જા ધરતીમાં સમાઈ જતી નથી. તેથી હિન્દુ ધર્મમાં પૌરાણિક સમયથી પૂજા કરતી વખતે, વિદ્યાભ્યાસ કરતી વખતે કે જમતી વખતે આસનનો ઉપયોગ થતો હોવાનું જોવા મળે છે. મંદિરોમાં આસનનું જો ગુપ્તદાન કરવામાં આવે તો આ આસન પર બેસીને જે પણ વ્યક્તિ પૂજા કરશે તેનું આંશિક ફળ તમને મળી શકે છે. આસનના ગુપ્તદાન કરવાથી મંદિરોમાં જે ભકતો મંત્રજાપ કે માળા કરવા આવે છે તેમને ભોંયતળિયા પર બેસવાની કોઈ તકલીફ પડતી નથી. તેથી આ ભક્તને અનુકૂળતા મળી રહેતી હોવાથી સરવાળે ઈશ્વર આસનનું ગુપ્ત દાન કરનાર પર પ્રસન્ન થાય છે.
આ પણ વાંચોઃ Hanumanji Temple : આજે શનિવારે મધ્ય પ્રદેશના શ્રી હનુમાનજી ભાટ મંદિર વિશે જાણો
તાંબાનો લોટો
સમગ્ર ભારતમાં અગણિત શિવમંદિરો છે. આ શિવમંદિરોમાં તાંબાના લોટાના ગુપ્તદાનનું વિશેષ મહત્વ છે. શિવમંદિરમાં અનેક ભકતો ખાલી હાથે આવે છે અને મંદિરમાં રહેલા તાંબાના લોટાથી શિવલિંગ પર જળાભિષેક કરે છે. આ જળાભિષેકનું આંશિક પૂણ્ય તાંબાના લોટાનું ગુપ્તદાન કરનારને અવશ્ય મળે છે. જ્યારે મંદિરમાં હવન થાય ત્યારે હવનકૂંડની પાસે તાંબાના લોટાને સ્થાન આપવામાં આવે છે. તેથી યજ્ઞ વખતે મળતા પૂણ્યનો થોડોભાગ તાંબાના લોટાનું ગુપ્તદાન કરનારને ફાળે જાય છે.
મીઠું
હિન્દુ ધર્મમાં અન્નદાનનું વિશેષ મહત્વ છે. અનેક મંદિરોમાં સતત ભંડારા, અન્નકૂટ અને ભોજન પ્રસાદના આયોજન થતા હોય છે. આ ભંડારા કે સદાવ્રતમાં જો મીઠાનું ગુપ્તદાન કરવામાં આવે તો દાન કરનારના ઘરે ઈશ્વર ક્યારેય અન્નની અછત થવા દેતો નથી. મીઠાનું ગુપ્તદાન કરનારના ઘરે ઈશ્વર અન્નના કોઠાર ભર્યા રાખે છે. મીઠાની કિંમત ભલે સસ્તી રહી પરંતુ મીઠા વિના ગમે તેવો ભોગ પણ બેસ્વાદ બની જાય છે. તેથી જ પ્રસાદને પણ સ્વાદમય બનાવનાર મીઠાનું ગુપ્તદાન કરનારના ઘરે મા અન્નપૂર્ણાની કૃપા કાયમી રહે છે.
આ પણ વાંચોઃ Apara Ekadashi 2025 : ભગવાન શ્રી કૃષ્ણ એ યુધિષ્ઠિરને આ એકાદશીના મર્મ, મહત્વ અને માહાત્મ્ય વિશે જણાવ્યું હતું