Raja Bhartruhari : ભર્તૃહરિની જીવનયાત્રા: શૃંગારના ઉંબરેથી વૈરાગ્યના શિખર સુધી
Raja Bhartruhari : "ભારતીય સંસ્કૃત સાહિત્યમાં મહારાજા ભર્તૃહરિનું નામ અત્યંત આદરપૂર્વક લેવામાં આવે છે. એક પ્રતાપી રાજા, મહાન કવિ અને અંતે એક પરમ જ્ઞાની વૈરાગી તરીકેનું તેમનું જીવનચરિત્ર આજે પણ લાખો લોકો માટે પ્રેરણારૂપ છે. ભર્તૃહરિએ મનુષ્યના મનોવિજ્ઞાનને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજીને ત્રણ મહાન ગ્રંથોની રચના કરી, જે 'શતકત્રયી' તરીકે ઓળખાય છે.
આ પ્રવાસની શરૂઆત 'શૃંગાર શતક' Shringar Shatakam થી થાય છે, જ્યાં કવિ યુવાનીના થનગનાટ અને સંસારિક આસક્તિનું મનમોહક વર્ણન કરે છે. પરંતુ, સમય જતાં જ્યારે મોહના પડદા હટે છે, ત્યારે એ જ કલમમાંથી 'વૈરાગ્ય શતક' Vairagya Shatakam ના અમર શ્લોકો વહે છે. આ લેખમાં આપણે જોઈશું કે કેવી રીતે ભર્તૃહરિ પ્રેમ અને સૌંદર્યના આકર્ષણમાંથી મુક્ત થઈને આત્માની શાંતિ અને પરમાત્માના પંથે પ્રયાણ કરે છે અને આ બંને ગ્રંથો વચ્ચેનો તાત્વિક વિરોધાભાસ આપણને જીવન વિશે શું શીખવે છે."
Raja Bhartruhari : આજે રાજા ભર્તૃહરિને વૈરાગ્ય કેમ ઊપજયો એની કથા
ઉજ્જૈન નગરી અને ભતૃહરી રાજા. ભતૃહરી(Raja Bhartruhari)ને રાણી પિંગલા સાથે અગાઢ પ્રેમ!
એક દિવસ ૫તિ પત્ની મહેલની અટારીએ ઉભા છે ને નીચે બજારમાંથી વાજા વગાડતું સરઘસ પસાર થાય છે. રાણી ભર્તુહરીને પૂછે છે કે, 'આ બધું શું રાજન!"
ભર્તુહરી જવાબ આપે છે કે "આ સ્ત્રી એનાં પતિનુ મૃત્યુ થતાં એની પાછળ સતી થવા જાય છે અને એનું આ સરઘસ છે."
પિંગલા કહે "અરે! સતી થાવાનું હોય? સતી તો હોય જ, એ થવાતું નથી. આ સતી નઈ પણ સૂરી સ્ત્રી કે'વાય."
ભર્તુહરી નવાઈ પામતાં પૂછે છે કે તો સતી સ્ત્રી કોણ હોય?
પિંગલા કહે છે, "રાજન, સતી સ્ત્રી તો પતિના મૃત્યુના સમાચાર સાંભળતાં જ ફાટી પડે એને કહેવાય.
લોકનો દુહો:
કોઈ કટારી કર ગ્રહે, કોઈ મરે વિષ ખાય
(પણ) પ્રીત ઉન્હીસે કીજીયે, (જેનો) હાય કહે જીવ જાય
રાજાએ આ વાત દાઢે રાખી. થોડાક દિવસો પછી ભર્તુહરી અને નાનો ભાઈ વિક્રમાદિત્ય જંગલમાં શિકારે ગયા. રાજાને પિંગલાની પરીક્ષા કરવાનું મન થઈ આવ્યું ને નાના ભાઈને કીધું, "મહેલે જા અને તારા ભાભીને મારા મૃત્યુના સમાચાર આપજે!"
વિક્રમાદિત્યની અતિ આનાકાની છતાં ભર્તુહરી ન માન્યા ને મહેલે પહોંચીને પિંગલાને ભર્તુહરીના મૃત્યુના સમાચાર આપ્યા.
પિંગલા આટલું સાંભળતા જ "હાય" કરીને જમીન પર ઢળી પડી ને તરત જ દેહ છોડ્યો.
પરીક્ષા થાતાં થઈ ગઈ પણ હવે ભર્તુહરીને પછતાવાનો પાર ન રહ્યો !
Raja Bhartruhari-મહિનાઓ વીત્યા પણ ભર્તુહરી રટણ મૂકતા નથી
ભર્તુહરી 'મારી પિંગલા' , 'મારી પિંગલા' નાં રટણે ચડ્યા. એક દિવસ, બે દિવસ, આમ મહિનાઓ વીત્યા પણ ભર્તુહરી રટણ મૂકતાં નથી.
આ બાજુ સોરઠના ગરવા ગિરનારની તળેટીમાં નવનાથની ધૂણી ધખે છે ને એમાં મચ્છંદર ગોરખનાથને ઉજ્જૈન જઈને ભર્તુહરીને ચેતવવા આજ્ઞા કરે છે.
ગોરખનાથ ઉજ્જૈન પહોંચ્યા ખરા પણ ભર્તુહરી તો પિંગલાની રાખના ઢગલાંની સામે 'મારી પિંગલા' , 'મારી પિંગલા' નું રટણ કર્યા કરે છે. કોઈ સામે જોતા નથી, કોઈને બોલાવતા નથી.
ગોરખનાથે યુક્તિ કરી ને માટીની હાંડલી લઈને ફોડી નાખી. પછી પોતે 'મારી મટકી', ' મારી મટકી' એવું રટણ ચાલુ કર્યુ.
ભર્તુહરીનું ધ્યાન હવે એના પર ગયું ને ગોરખનાથ પાસે જઈને બોલ્યા, "અરે મહારાજ, આ શું રટણ કરો છો - મારી માટલી, મારી માટલી! આવી બીજી જોઈએ એટલી માટલી હું તમને અપાવું."
ત્યારે ગોરખનાથ બોલ્યા, " તો તમે શું મારી પિંગલા મારી પિંગલા રટણ કરો છો?" વળી ભર્તુહરીને પિંગલા સાંભરી.
ત્યારે ગોરખનાથે રાખના ઢગલામાં પ્રાણ પૂર્યો; એ વખતે જ નગરની એક નર્તેકીનો જીવ જતો હતો; ગોરખનાથે સિદ્ધિ વિદ્યાથી એ જીવ આ રાખમાં પૂર્યો અને પિંગલા પ્રગટ થઈ. ત્યારે ભર્તુહરીને નવા અવતારે પિંગળા મળી.
વીજળીના ચમકારે મોતી પરોવાયું
એક વખત એક યોગીએે રાજાને અમરફળ આપ્યું, એને વિચાર્યુ કે પિંગળાને આપી દઉં! પણ આ તો સતી પિંગળા નહોતી, માત્ર શરીર જ પિંગળાનું હતું. નર્તકી રૂપે રાજ્યનો સૈનિક એનો પ્રેમી હતો એટલે એ ફળ એને પોતાના પ્રેમી- સૈનિકને આપ્યું. ભર્તુહરીની એક દાસી એ સૈનિકની પ્રેમિકા હતી એટલે એ ફળ દાસીને મળ્યું! દાસીએ વિચાર્યુ કે પોતે અમરત્વ પામીને શું કરશે, નગરના રાજાને મળે તો પ્રજા સુખી થાય એટલે પોતે જઈને એ ફળ રાજા ભર્તુહરીને આપ્યું. આમ, આખું ચક્ર રાજાને સમજાઈ ગ્યું અને બસ! વીજળીના ચમકારે મોતી પરોવાયું. સાંપ કાંચળી ઉતારે એમ ભર્તુહરીએ સંસારની માયા ઉતારીને મૂકી દીધી. ભેખ પેર્યો ને હાલી નીકળ્યાં. પેલી ભિક્ષા પોતાની જ પત્ની, એક વખતે જે પ્રાણપ્રિયા હતી એવી પિંગલા પાસેથી લીધી. 'ને ભજન રચાયું;
'ભિક્ષા દે દે મૈયા પિંગલા..' અને પિંગલાએ કૈંક કાલાવાલાં કર્યા;
"ભેખ રે ઉતારો રાજા ભરથરી.. ક્યો તો રાજા મહેલમા મઢી બનાવું,
લીલુડાં વાંસથી સજાવું પણ ભેખ ઉતારો.
"કુંવારી કન્યાને રાજા વર ઘણાં, આ પરણીને લગાડ્યાં તમે પાપ રે..."
પણ નિયતિ આ જ હતી. અને ભર્તુહરીએ સંસાર છાંડ્યો.
પણ હવે તો;
એક દિન વે રહા, બીચ ન સોહે હાર
આજ કુછ એૈસા હુઆ, પડ ગયે લાખ પહાડ
એટલે કે; એક વખતે રાજા ભર્તુહરીને પિંગલા ઉપર એટલો મોહ હતો, પ્રેમ હતો કે બંને વચ્ચે મોતીની માળા પર અડચણ લાગતી પણ એવો સમય આવ્યો કે લાખ પહાડો જેટલું અંતર બંને વચ્ચે ઊભુ થયું.
અમે ભોગો નથી ભોગવ્યા, ભોગોએ અમને ભોગવી લીધા
"ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તાઃ" અમે ભોગો નથી ભોગવ્યા, ભોગોએ અમને ભોગવી લીધા છે
લોકનો એક દુહો છે;
રાજા ચારણ 'ને વાણિયો, ચોથી નાનકડી નાર
એતાં ભક્તિ ના લગે, (અને) લાગે તો બેડો પાર
રાજા, ચારણ, વાણિયો અને ચોથી અંગે અંગમાં જોબન સળાવા લેતું હોય એવી નાનકડી નારને ભક્તિ લાગે નય. પણ જો તાર લાગ્યો, ચમકારો થઈ ગ્યો તો પછી પાછા વળવાનો રસ્તો નથી, એનો બેડો પાર.
આ પણ વાંચો : Magh Mela : સંગમ નગરી પ્રયાગરાજમાં પ્રારંભ થયો માઘ મેળો, 30 લાખ ભક્તો પવિત્ર સ્નાન કરે તેવી શક્યતા


