Controversy : મારી હત્યાનું કાવતરું..." આશુતોષ બ્રહ્મચારીના દાવા પર જગદગુરુ રામભદ્રાચાર્યએ આપ્યો સણસણતો જવાબ
Jagadguru Rambhadracharya-Ashutosh Brahmachari Maharaj Controversy : તુલસી પીઠાધીશ્વર જગદગુરુ રામભદ્રાચાર્ય (Jagadguru Rambhadracharya) અને આશુતોષ બ્રહ્મચારી મહારાજ (Ashutosh Brahmachari Maharaj) વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે ગંભીર સ્વરૂપ લઈ રહ્યો છે. બંને તરફથી એકબીજા પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે, જેના કારણે ધાર્મિક અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.
રામભદ્રાચાર્યની કડક પ્રતિક્રિયા
જગદગુરુ રામભદ્રાચાર્યએ એક વીડિયો જાહેર કરીને જણાવ્યું કે, આશુતોષ બ્રહ્મચારી તેમની અને તેમના ઉત્તરાધિકારીની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે આશુતોષ કાવતરું ઘડી રહ્યા છે અને તેમના નિવેદનોને કારણે તેઓ માનસિક રીતે અસ્વસ્થ અનુભવી રહ્યા છે. રામભદ્રાચાર્યએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેમને ડર લાગવા લાગ્યો છે અને તેઓ આશંકા વ્યક્ત કરે છે કે કોઈ મોટું ષડયંત્ર (Conspiracy) રચાઈ શકે છે. તેમણે આ ઘટનાની નિંદા કરતા કહ્યું કે આવી બાબતોની યોગ્ય તપાસ થવી જોઈએ અને કાયદાકીય રીતે જે પણ યોગ્ય કાર્યવાહી હોય તે થવી જોઈએ.
આશુતોષ બ્રહ્મચારીના ગંભીર આરોપો
બીજી તરફ, આશુતોષ બ્રહ્મચારી મહારાજે ફેસબુક વીડિયો દ્વારા દાવો કર્યો કે રામભદ્રાચાર્યના ઉત્તરાધિકારી રામચંદ્ર દાસ (Ramchandra Das) તેમની હત્યા કરાવવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે આ અંગે પોતાના પાસે પુરાવા હોવાનો પણ દાવો કર્યો છે. આશુતોષ બ્રહ્મચારી મહારાજે વધુમાં કહ્યું કે રામચંદ્ર દાસ છેતરપિંડી (Fraud) અને અનેક વિવાદોમાં સામેલ રહ્યા છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે ભૂતકાળમાં કેટલાક ગંભીર કેસોમાં તેમનું નામ જોડાયેલું રહ્યું છે અને તેમના પર ઘણા કેસ નોંધાયેલા છે.
રામચંદ્ર દાસ કોણ છે?
રામચંદ્ર દાસ (Ramchandra Das) પ્રખ્યાત સંત જગદગુરુ રામભદ્રાચાર્ય (Jagadguru Rambhadracharya)ના સત્તાવાર ઉત્તરાધિકારી તરીકે ઓળખાય છે અને તેઓ તુલસી પીઠાધીશ્વર (Tulsi Peethadhishwar)નું પદ સંભાળે છે. તેમનું મૂળ નામ જય મિશ્રા (Jay Mishra) છે અને તેઓ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ (Pratapgarh, Uttar Pradesh) જિલ્લાના રહેવાસી છે. માહિતી મુજબ તેઓ બાળપણથી જ જગદગુરુ રામભદ્રાચાર્યની સેવા સાથે જોડાયેલા રહ્યા છે અને લાંબા સમયથી તેમની નજીકના શિષ્ય તરીકે કાર્યરત રહ્યા છે. હાલમાં તેઓ આશુતોષ બ્રહ્મચારી દ્વારા લગાવવામાં આવેલા વિવિધ આરોપોને કારણે ચર્ચામાં આવ્યા છે, જેના કારણે તેમનું નામ જાહેર ચર્ચાનો વિષય બન્યું છે. આ સમગ્ર વિવાદ વચ્ચે જગદગુરુ રામભદ્રાચાર્યએ આ આરોપોને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે આ પ્રકારના નિવેદનો તેમની તથા તેમના ઉત્તરાધિકારીની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ છે.
રામચંદ્ર દાસે પોતાના પર લાગેલા આરોપ પર આપી પ્રતિક્રિયા
જગદગુરુ રામભદ્રાચાર્યના સત્તાવાર ઉત્તરાધિકારી રામચંદ્ર દાસે પોતાના પર લાગેલા તમામ આરોપોને સદંતર પાયાવિહોણા ગણાવીને આશુતોષ બ્રહ્મચારી મહારાજ સામે આકરો પ્રહાર કર્યો છે. રામચંદ્ર દાસે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ચેટને તદ્દન નકલી ગણાવતા સ્પષ્ટ કર્યું છે કે, તેઓ 13 વર્ષની નાની ઉંમરથી જ ગુરુદેવની સેવામાં સમર્પિત રહ્યા છે અને તેમની છબી ખરાબ કરવાના હેતુથી જ આવા ગંભીર કાવતરાં રચાઈ રહ્યા છે. આ સમગ્ર વિવાદના દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે તેમણે પોતાનો મોબાઈલ ફોન તપાસ માટે સોંપવાની તૈયારી દર્શાવી છે અને ભારત સરકારને આ મામલે સીબીઆઈ (CBI) અથવા સીઆઈડી (CID) જેવી ઉચ્ચ સ્તરીય એજન્સીઓ પાસે તટસ્થ તપાસ કરાવવાની જોરદાર અપીલ કરી છે. આ સાથે જ તેમણે આશુતોષ બ્રહ્મચારીની ગુનાહિત પૃષ્ઠભૂમિ પર સવાલો ઉઠાવતા દાવો કર્યો છે કે, સામૂહિક દુષ્કર્મ સહિત અસંખ્ય ગંભીર ધારાઓ હેઠળ 28 થી વધુ કેસ ધરાવતો આવો અપરાધિક પ્રવૃત્તિ વાળો વ્યક્તિ અગાઉ પણ અન્ય સંતો વિરુદ્ધ નકલી કેસ દાખલ કરાવી ચૂક્યો છે. પીઠના ઉત્તરાધિકારી તરીકે સંસ્થાની ગરિમા જાળવવાની પોતાની ફરજ ગણાવતા રામચંદ્ર દાસે આગ્રહ કર્યો છે કે, સનાતન ધર્મના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચાડતા આવા તત્વો સામે તંત્ર દ્વારા કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
ગુરુ–શિષ્ય સંબંધ અને વિવાદિત દાવા
આ વિવાદમાં વધુ એક મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે આશુતોષ બ્રહ્મચારી પોતાને રામભદ્રાચાર્યના શિષ્ય ગણાવે છે, જ્યારે રામભદ્રાચાર્ય કહે છે કે તેમને તેમની આવી કોઈ ખાસ જાણકારી નહોતી. તેમણે જણાવ્યું કે તેઓ દેશ-વિદેશમાં કથા (Kathavachan) માટે જાય છે અને આવી સ્થિતિ વિશે તેમને પહેલાંથી જાણ નહોતી. રામભદ્રાચાર્યએ જણાવ્યું કે જો કોઈ શિષ્ય પોતાના ગુરુ વિરુદ્ધ આવા ગંભીર આરોપો લગાવે તો તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ બાબત છે.
આશ્રમ, સંપત્તિ અને અન્ય આરોપો
આશુતોષ બ્રહ્મચારીએ વધુમાં આરોપ લગાવ્યો કે રામચંદ્ર દાસ આશ્રમોની સંપત્તિ અને પ્રવચનોથી મળેલા નાણાંના ઉપયોગમાં ગેરરીતિ કરે છે. તેમણે એવો પણ દાવો કર્યો કે આ નાણાં ગુજરાતમાં તેમના સંબંધિત વ્યક્તિઓ સુધી પહોંચે છે અને તેનો ઉપયોગ સોનાના વ્યવસાય (Gold Business)માં થાય છે. સાથે જ મથુરા સ્થિત આશ્રમો પર કબજો અને નકલી દસ્તાવેજો તૈયાર કરવાના આરોપો પણ તેમણે લગાવ્યા છે.
કાયદાકીય કેસો અને તપાસનો ઇતિહાસ
આ વિવાદ માત્ર હાલનો નથી. અગાઉ પણ આશુતોષ બ્રહ્મચારી દ્વારા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ (Shankaracharya Avimukteshwaranand) વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોક્સો (POCSO) સંબંધિત કેસો, પોલીસ ફરિયાદો અને કોર્ટ કાર્યવાહીનો પણ ઉલ્લેખ આ વિવાદમાં થાય છે. કોર્ટ કાર્યવાહી દરમિયાન કેટલાક આરોપો અને બચાવ બંને તરફથી રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં જામીન અને સુપ્રીમ કોર્ટ સુધી મામલો પહોંચ્યો હતો. આપને જાણીને નવાઈ લાગશે કે આશુતોષ મહારાજ સામે 21 કેસ નોંધાયેલા છે.
હાલની સ્થિતિ
હાલમાં બંને પક્ષો તરફથી સતત ગંભીર નિવેદનો આવી રહ્યા છે, જેના કારણે વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે. એક તરફ રામભદ્રાચાર્ય પોતાની સુરક્ષા અને છબી અંગે ચિંતિત છે, તો બીજી તરફ આશુતોષ બ્રહ્મચારી મોટા સ્તરના કાવતરાંના આરોપો લગાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલો હવે માત્ર ધાર્મિક વિવાદ ન રહીને કાયદાકીય અને રાજકીય ચર્ચાનો વિષય પણ બની ગયો છે. આગામી સમયમાં તપાસ અને અધિકૃત કાર્યવાહી શું દિશામાં જાય છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો : શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના આશ્રમમાં બાળકોના યૌન શોષણનો આરોપ લાગ્યો! POCSO કોર્ટમાં અરજી