Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Lord Krishna :કયા કૃષ્ણ ગમે? રાસલીલાવાળા કૃષ્ણ? કે પછી ગીતાકાર શ્રીકૃષ્ણ?

શ્રીકૃષ્ણના જીવનનો મધ્યવર્તી વિચાર છે અનાસક્તિ
lord krishna  કયા કૃષ્ણ ગમે  રાસલીલાવાળા કૃષ્ણ  કે પછી ગીતાકાર શ્રીકૃષ્ણ
Advertisement

Lord Krishna : ઘણાને ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલામાં વધારે રસ પડે છે. મને પણ બાળપણમાં કૃષ્ણની બાળલીલામાં ખૂબ રસ પડતો હતો. પુખ્ત થયા પછી ખબર પડી કે સાચો હિન્દુ કૃષ્ણની બાળલીલા અને રાસલીલામાં જ રચ્યોપચ્યો રહે તો તે ઘણું બધું ગુમાવે છે. કૃષ્ણનું જે ઓજસ્વી, પ્રતાપી અને સૌથી આકર્ષક સ્વરૂપ છે તે ગીતાકાર અને મહાભારતના વિષ્ટિકાર કૃષ્ણનું.

ઓરિજિનલ જે કૃષ્ણ છે તે જ મહાભારતના કૃષ્ણ

શ્રીકૃષ્ણની ભક્તિ કરવી એ કોઈ કાચાપોચાનું કામ નથી, વેવલાઓનું કામ નથી. જેમનામાં શૌર્ય નથી, ખમીર નથી ને સાહસિક બનીને કામ કરવાની વૃત્તિ નથી તેઓ તમને કૃષ્ણની બાળલીલા – રાસલીલામાં રચ્યાપચ્યા રહેવાની પ્રેરણા આપતા રહે છે. ઓરિજિનલ જે કૃષ્ણ છે તે મહાભારતના કૃષ્ણ છે, ગીતાકાર કૃષ્ણ છે. એ પછી હજારો વર્ષ બાદ કૃષ્ણના જીવનચરિત્રમાં અસંખ્ય આડકથા વણાઈ – પુરાણોના જમાનામાં. જનમાનસમાં આ પુરાણોની કૃષ્ણકથાઓ જડાઈ ગઈ, મૂળ પુરુષ પાછળ ધકેલાઈ ગયા.

Advertisement

સ્વામી વિવેકાનંદ કૃષ્ણ (Lord Krishna ) વિષે કહે છે : ‘હાલ તુરતને માટે વૃંદાવનના શ્રીકૃષ્ણને દૂર રાખી દો, અને સિંહનાદથી ગીતાનું જ્ઞાન ગરજી રહેલા શ્રીકૃષ્ણની ઉપાસના ચારે તરફ ફેલાવી દો… અત્યારે આપણને સૌથી વધુ જરૂર એવા પરાક્રમી વીરના આદર્શની છે કે જેની નસોમાં પગથી માથા સુધી રજોગુણનો અતિશય જોમદાયક પ્રભાવ હોય, જે સત્યને જાણવા માટે હિંમતપૂર્વક મરણને ભેટવા તૈયાર હોય, ત્યાગ જેનું બખ્તર હોય અને તલવાર જેનું જ્ઞાન હોય. જીવનસંગ્રામમાં અત્યારે આપણે માટે બહાદુર યોદ્ધાની ભાવના આવશ્યક છે, નહિ કે જગતને પ્રમોદ-ઉદ્યાન સમજીને પ્રેમકેલી કરતા પ્રેમીની!’.

Advertisement

ઈ.સ. ૧૮૯૭માં સ્વામી વિવેકાનંદ પોતાના કલકત્તાના ટૂંકા ગાળાના નિવાસ દરમિયાન મોટે ભાગે આલમ બજારમાં આવેલા શ્રીરામકૃષ્ણ મઠના મકાનમાં રહેતા હતા. આ સમય દરમિયાન સાધના માટે તૈયાર થતા કેટલાક યુવાનો તેમને મળ્યા અને બ્રહ્મચર્ય તેમ જ સંન્યાસની પ્રતિજ્ઞા એમણે લીધી. આ યુવાનોને ભાવિ કાર્ય માટે તાલીમ આપવા સ્વામી વિવેકાનંદે ગીતા અને વેદાંતના વર્ગો શરૂ કર્યા તેમ જ એમને ધ્યાન – સાધનાની દીક્ષા આપી.

ભક્તિ એટલે સંપૂર્ણ શ્રદ્ધાનું આરોપણ

ભક્તિ એટલે વેવલાવેડા નહીં પણ ભક્તિ એટલે સંપૂર્ણ શ્રદ્ધાનું આરોપણ. ભક્તિ એટલે માત્ર લાલાને જમાડવો, ઝુલાવવો, સુવડાવવો એટલી જ ક્રિયાઓ નહીં. પણ ભક્તિ એટલે નિરાકાર બ્રહ્મની શક્તિને શરણે જઈ એ શક્તિ પર અખંડ ભરોસો રાખવો. કૃષ્ણનું ભજન કરવું એટલે માત્ર મજીરાં લઈને મંડી પડવું એવું નહીં પણ કૃષ્ણ રાજી થાય એવી પ્રવૃત્તિઓમાં ધ્યાન પરોવવું. ભગવાન ક્યારે રાજી થાય? માત્ર તમારાં દીવા – આરતીથી? માત્ર તમે ધરાવેલા પ્રસાદથી? ના. માનસિક, બૌદ્ધિક, શારીરિક રીતે તમે એને ગમે એ પ્રકારનાં કામોમાં લીન રહો એનાથી એ પ્રસન્ન થાય.

ભક્તિયોગનું ખોટું ઈન્ટરપ્રીટેશન

ગીતાના બારમા અધ્યાય નામે ભક્તિયોગનું ખોટું ઈન્ટરપ્રીટેશન કરીને ભક્તિ એટલે વેવલાવેડા એવું સ્થાપિત કરવામાં આવ્યું. ગાંધીજીએ પણ નોંધવું પડ્યું કે, ‘લૌકિક કલ્પનામાં ભક્ત એટલે વેવલો, માળા લઈને જપ જપનાર, સેવાકર્મ કરતાં પણ તેની માળામાં વિક્ષેપ આવે, તેથી તે ખાવાપીવા વગેરે ભોગ ભોગવવાને સમયે જ માળાને હાથમાંથી મૂકે, ઘંટી ચલાવવાને સારું કે દરદીની સારવાર કરવાને સારું કદી નહીં.’ (‘અનાસક્તિયોગ’ની પ્રસ્તાવનામાં).

ભક્તિના ખોટા અર્થઘટનની સાથોસાથ રાધા અને રુક્મણી અને દ્રૌપદી અને રાસલીલાવાળા કૃષ્ણ પણ જનમાનસમાં છવાઈ ગયા. કૃષ્ણનો પ્રેમ, કૃષ્ણની કાળજી અને કૃષ્ણની મૈત્રીનાં ખોટાં અર્થઘટનો કરી કરીને એક આખી ઈન્ડસ્ટ્રી ઊભી થઈ ગઈ. આ આપણા ભગવાન છે. જરા તો સમજીએ અને મર્યાદા રાખીએ.

 ‘ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવદ્ ગીતા’

સ્વામી વિવેકાનંદે સાન ફ્રાન્સિસ્કોમાં ૨૮ મે, ૧૯૦૦ના દિવસે આપેલા ભાષણના શબ્દો: ‘આ જગતમાં આપણા સૌના માટે જીવન એ સતત યુદ્ધ છે… ઘણી વખત એવો પ્રસંગ ઊભો થાય છે જ્યારે આપણી દુર્બળતા અને નામર્દાઈને આપણે ક્ષમા અને ત્યાગ તરીકે વટાવીએ છીએ. ભિખારીના ત્યાગની કોઈ કિંમત નથી. સામો પ્રહાર કરી શકે તેવી વ્યક્તિ સહન કરી લે તો જ તેની કિંમત છે; સંપત્તિવાન વ્યક્તિ જો ત્યાગ કરે તો તેનું મૂલ્ય છે. આપણે જાણીએ છીએ કે આળસ અને નામર્દાઈને લીધે ઘણી વાર આપણે જીવનસંગ્રામનો ત્યાગ કરીએ છીએ, અમે બહાદુર છીએ – એવી માન્યતાથી આપણા મનને મનાવી લેવા પ્રયાસ કરીએ છીએ. (એટલે જ) આ અર્થપૂર્ણ શ્ર્લોકથી ગીતાની શરૂઆત થાય છે: ‘હે અર્જુન, ઊભો થા! આ હૃદયની દીનતા, આ નિર્બળતા છોડી દે! ઊભો થા અને યુદ્ધ કર’ (૨:૩).

સાચા શ્રીકૃષ્ણ કયા?

સાચા શ્રીકૃષ્ણ કયા(Lord Krishna),? કયા શ્રીકૃષ્ણ તમારા આરાધ્ય દેવ હોવા જોઈએ અને કયા શ્રીકૃષ્ણ તમારા માટે રિલેવન્ટ છે? આ બધાના જવાબ સ્વામી વિવેકાનંદ આપે છે: ‘બાળક હતો ત્યારથી હું શ્રીકૃષ્ણના જીવન વિશે સાંભળતો આવ્યો છું… એ દંતકથાઓ તો શોભારૂપ છે. તમે જોશો કે જીવનચરિત્ર સામે સુસંગત થાય તેવી રીતે દંતકથાઓ સુધારીને રજૂ કરવામાં આવે છે… તમે આ બધી કથાઓનો વિચાર કરીને તેમાંનો સાર કાઢો છો… તમે જોશો કે શ્રીકૃષ્ણના જીવનનો મધ્યવર્તી વિચાર છે અનાસક્તિ. એને કશાની જરૂર નથી; એને કશાની આકાંક્ષા નથી. એ કર્મની ખાતર કર્મ કરે છે – આ જ શ્રીકૃષ્ણનું ચરિત્ર હોવું જોઈએ.’

જે પ્રતાપી છે, વ્યવહારુ પણ છે અને આદર્શવાદી પણ

કયા શ્રીકૃષ્ણનું મહત્ત્વ છે અને શ્રીકૃષ્ણના નામે જોડી કાઢવામાં આવેલી કઈ કથાઓ નગણ્ય છે એની સ્પષ્ટતા તમારા મનમાં હવે થઈ ચૂકી છે. તો હવે સંકલ્પ કરવાનો કે શ્રીકૃષ્ણનું સાચું સ્વરૂપ પામવા માટે કયા ગ્રંથનું પારાયણ કરવાનું છે. તમારે તમારા હૃદયમાં કયા શ્રીકૃષ્ણની છબિ સંઘરવી છે? રાસલીલાવાળા કૃષ્ણની? કે પછી ગીતાકાર શ્રીકૃષ્ણની?  જે પ્રતાપી છે, વ્યવહારુ પણ છે અને આદર્શવાદી પણ છે, જેમનામાં કરુણા છે અને દૃઢતા પણ છે. જેમનામાં જ્ઞાન, સમજણ અને ડહાપણનો ભંડાર છે અને જેમનામાં આ સંસારનાં તમામ સુખ માણવાની, તમામ કષ્ટ સહન કરવાની ક્ષમતા છે, એવું સામર્થ્ય છે.

અદ્ભુત કર્મશીલતા અને બુદ્ધિ તથા હૃદયનો સુમેળ

‘હું જાણું છું ત્યાં સુધી Lord Krishna શ્રીકૃષ્ણ સૌથી વિશેષ સંપૂર્ણ ચારિત્ર્યવાળા હતા. બુદ્ધિ, હૃદય અને કર્મ એમનામાં સમાન રીતે અદ્ભુત વિકાસ પામેલાં હતાં. એમના જીવનની દરેક ક્ષણ કર્મથી ભરેલી છે. એ કર્મ કાં તો ગૃહસ્થ તરીકે, કાં યોદ્ધા તરીકે, કાં મંત્રી તરીકે કે પછી બીજા કંઈ રૂપમાં હોય છે. ગૃહસ્થ તરીકે, વિદ્વાન તરીકે, કવિ તરીકે એ મહાન છે. ગીતા અને અન્ય ગ્રંથોમાં એમની આ બધી જાતની અદ્ભુત કર્મશીલતા અને બુદ્ધિ તથા હૃદયનો સુમેળ આપણને જોવા મળે છે. 

આ પણ વાંચો :Sanand : ગુજરાતમાં પ્રથમવાર બગલામુખી માતાનાં 108 કુંડીનાં મહાયજ્ઞનું આયોજન, વાંચો વિગત

Tags :
Advertisement

.

×