Ambaji : અંબાજીમાં શક્તિ પરંપરાનું પુનર્જાગરણ: સ્થાપિત થશે ૧૬ ફૂટનું દિવ્ય ત્રિશૂલ
Ambaji : આરાસુરની પહાડીઓમાં બિરાજમાન જગતજનની મા અંબાના દર્શન કાજે જતાં યાત્રાળુઓ માટે 'ત્રિશૂળિયા ઘાટ'-Trishulia Ghat એ માત્ર એક માર્ગ નથી, પરંતુ શ્રદ્ધા અને કસોટીનું પ્રતીક છે. અંબાજીના પવિત્ર યાત્રાધામની સમીપ આવેલો આ ઘાટ તેના વળાંકદાર માર્ગો અને કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે, પરંતુ તેનું આધ્યાત્મિક મહત્વ વિશેષ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ એ જ ક્ષેત્ર છે જ્યાં આદ્યશક્તિની રક્ષણ શક્તિનો પ્રભાવ વ્યાપેલો છે. યાત્રાળુઓ જ્યારે આ પડકારજનક ઘાટ પસાર કરે છે, ત્યારે તેમને મા અંબાના આશીર્વાદનો સાક્ષાત્ અનુભવ થાય છે.
આ જ દિવ્ય સ્થાનની પવિત્રતામાં અભિવૃદ્ધિ કરવા અને ભારતની પ્રાચીન શક્તિ પરંપરાને ઉજાગર કરવાના હેતુથી, હવે અહીં ઉત્તરકાશીની ૧૫૦૦ વર્ષ જૂની પરંપરાનું પુનર્જાગરણ થવા જઈ રહ્યું છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ, ત્રિશૂળિયા ઘાટ પર ૧૬ ફૂટ ઊંચા ભવ્ય 'અખંડ શક્તિ ત્રિશૂળ'ની સ્થાપના કરવામાં આવશે, જે ભક્તો માટે અભય અને શક્તિનું નવું કેન્દ્ર બનશે.
Ambaji : મુખ્ય વિગતો અને અમદાવાદમાં દર્શનનો લ્હાવો
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ-Arasuri Ambaji Mata Devasthan Trust અને અમદાવાદના 'જય ભોલે ગ્રુપ'ના સહયોગથી તૈયાર કરાયેલા આ દિવ્ય ત્રિશૂલને અંબાજીમાં સ્થાપિત કરતા પૂર્વે ભક્તોના દર્શન માટે અમદાવાદ ખાતે રાખવામાં આવશે.
ઉદ્ઘાટન: બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને અંબાજી ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલ ૧૭ જાન્યુઆરીએ આ ત્રિશૂલને દર્શન માટે ખુલ્લું મુકશે.
દર્શનનો સમય: ૧૮ થી ૨૧ જાન્યુઆરી ૨૦૨૬, બપોરે ૦૩:૦૦ થી સાંજે ૦૮:૦૦ વાગ્યા સુધી.
સ્થળ: અમદાવાદ એન્જિનિયર્સ, સી-૧-બી, ૪૩૧૮, રોડ નં. ૪-યુ, ફેઝ-૪, જીઆઈડીસી, વટવા, અમદાવાદ.
Ambaji પૌરાણિક મહત્વ અને વિશેષતા
આ ત્રિશૂલ ઉત્તરકાશીના વિશ્વનાથ મંદિર પાસે ભાગીરથી નદીના કિનારે આવેલા આદ્યશક્તિના પવિત્ર અખંડ શક્તિ ત્રિશૂલની આબેહૂબ પ્રતિકૃતિ છે. દેવી મહાત્મ્ય અનુસાર, મહિષાસુરના સંહાર માટે ભગવાન શિવે માતા જગદંબાને જે દિવ્ય ત્રિશૂલ અર્પણ કર્યું હતું, તે જ શક્તિ અને આધ્યાત્મિક ચેતનાના પ્રતીક રૂપે આ ત્રિશૂલની સ્થાપના કરવામાં આવી રહી છે.
ત્રિશૂલની ખાસિયતો:
ઊંચાઈ: ૧૬ ફૂટ
વજન: આશરે ૬૦૦ કિલો
પ્રેરણા સ્ત્રોત: ઉત્તરકાશીની ૧૫૦૦ વર્ષ જૂની પરંપરા
ત્રિશૂલિયા ઘાટનું મહત્વ અને સ્થાપનાનો હેતુ
અંબાજી જતા યાત્રાળુઓ માટે ત્રિશૂલિયા ઘાટ એક મહત્વનું અને પડકારજનક સ્થળ છે. અહીં ચઢાણવાળો માર્ગ હોવાથી તે શક્તિ અને સાહસનું પ્રતીક મનાય છે. આ ઘાટ પર દિવ્ય ત્રિશૂલની સ્થાપના પાછળનો મુખ્ય હેતુ યાત્રાળુઓમાં આત્મવિશ્વાસ, નિર્ભયતા અને આધ્યાત્મિક શક્તિનો સંચાર કરવાનો છે. આ સ્થાપનાથી અંબાજીનો પવિત્ર યાત્રામાર્ગ શ્રદ્ધાળુઓ માટે વધુ આશીર્વાદમય અને સુરક્ષિત બની રહેશે
આ પણ વાંચો :Ahmedabad: ઉત્તરાયણની સવારે નગરદેવી ભદ્રકાળીના શરણમાં શ્રદ્ધાળુઓનું મહેરામણ, જુઓ


