અભિનેત્રી Sulakshana Pandit નું 71 વર્ષની વયે નિધન, ગાયન અને અભિનયનો એક યુગ સમાપ્ત!
- અભિનેત્રી Sulakshana Pandit નું 71 વર્ષની વયે નિધન
- કાર્ડિયાક અરેસ્ટના કારણે દુનિયાએ કહ્યું અલવિદા
- મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
- 12 જુલાઈ 1954ના રોજ મધ્યપ્રદેશમાં જન્મ્યા હતા
- 1970-80ના દાયકામાં અનેક ફિલ્મોમાં કામ કર્યુ હતું
- ગાયન અને અભિનયમાં આગવી ઓખળ બનાવી હતી
- 7 વર્ષની ઉંમરે સુલક્ષણા પંડિતે ગાવાનું શરૂ કર્યુ હતું
Sulakshana Pandit Death : હિન્દી ફિલ્મ જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 1970 અને 80ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી અને બહુમુખી ગાયિકા સુલક્ષણા પંડિત (Sulakshana Pandit) નું 71 વર્ષની વયે નિધન થયું છે. કાર્ડિયાક અરેસ્ટના કારણે 6 નવેમ્બરની રાત્રે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના ભાઈ, પ્રખ્યાત સંગીતકાર લલિત પંડિતે આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે, જેના કારણે બોલિવૂડમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આજે 7 નવેમ્બરના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
એક અસાધારણ કારકિર્દી
સુલક્ષણા પંડિત (Sulakshana Pandit) નો જન્મ 12 જુલાઈ 1954ના રોજ મધ્યપ્રદેશમાં એક અત્યંત સંગીતમય અને પ્રતિભાશાળી પરિવારમાં થયો હતો. તેમના કાકા બીજા કોઈ નહીં પણ ભારતીય શાસ્ત્રીય સંગીતના સુપ્રસિદ્ધ ગાયક પંડિત જસરાજ હતા. તેમના ભાઈઓ જતીન-લલિત પણ જાણીતા સંગીતકારો છે, અને બહેન વિજેતા પંડિત એક અભિનેત્રી છે. સુલક્ષણાની પ્રતિભા બાળપણથી જ દેખાતી હતી. તેમણે માત્ર 7 વર્ષની નાની ઉંમરે ગાવાનું શરૂ કર્યું અને 9 વર્ષની ઉંમરે સંગીતની યાત્રા શરૂ કરી. તેમણે 1967માં પ્લેબેક સિંગિંગમાં પગ મૂક્યો. તેમની ગાયકીની સફરનો સૌથી મોટો મુકામ 1975માં આવ્યો, જ્યારે તેમને ફિલ્મ "સંકલ્પ" ના ગીત "તુ હી સાગર હૈ તુ હી કિનારા" માટે પ્રતિષ્ઠિત ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા પ્લેબેક એવોર્ડ મળ્યો. તેમનો મધુર અવાજ અને શાસ્ત્રીય સંગીતની તાલીમ તેમને અન્ય ગાયિકાઓથી અલગ પાડે છે.
Sulakshana Pandit ની બહુમુખી પ્રતિભા
જણાવી દઇએ કે, સુલક્ષણા પંડિતે પ્લેબેક સિંગિંગમાં અસાધારણ સફળતા મેળવ્યા બાદ અભિનયના ક્ષેત્રે પણ પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો. 1970 અને 1980ના દાયકા દરમિયાન, તેમણે એક સક્ષમ અભિનેત્રી તરીકે બોલિવૂડમાં મજબૂત ઓળખ બનાવી. તેમની કારકિર્દીનો વિશેષ ગુણ તેમની બહુમુખી પ્રતિભા હતી; તેઓ ગાયન અને અભિનય બંનેમાં સમાન રીતે પારંગત હતા. 'ઉલઝાન', 'સંકોચ', 'અપનાપન', અને 'હેરા ફેરી' જેવી ફિલ્મોમાં તેમના અભિનયને ખૂબ વખાણવામાં આવ્યો હતો. જોકે, પડદા પરની આ સફળતા છતાં, પાછળથી તેમને વ્યાવસાયિક કારકિર્દી અને અંગત જીવનમાં ગંભીર પડકારોનો સામનો કરવો પડ્યો હતો, જે તેમની સફરનો એક જટિલ ભાગ રહ્યો.
અંગત જીવનની અનકહી કહાની
સુલક્ષણા પંડિતનું અંગત જીવન હંમેશા ચર્ચામાં રહ્યું છે. તેમણે ક્યારેય લગ્ન કર્યા નહીં, અને તેનું કારણ હતું મહાન અભિનેતા સંજીવ કુમાર પ્રત્યેનો તેમનો Untold પ્રેમ. એવું કહેવાય છે કે સુલક્ષણા સંજીવ કુમારના પ્રેમમાં હતા, પરંતુ સંજીવ કુમારે આ સંબંધનો સ્વીકાર ન કરતા તેમનું દિલ તૂટી ગયું. આ અંગત દુઃખની તેમના જીવન પર ઊંડી અસર પડી હતી. આ એક કરુણ સંયોગ છે કે સુલક્ષણા પંડિતે 6 નવેમ્બરના રોજ દુનિયાને અલવિદા કહી, જે તારીખે સંજીવ કુમારની પણ પુણ્યતિથિ હોય છે.
અંતિમ સમયના પડકારો અને વિદાય
કારકિર્દીના અંતિમ તબક્કામાં, સુલક્ષણા પંડિતને સ્વાસ્થ્ય સમસ્યાઓ અને આર્થિક પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો. એક સમયે જે કલાકારનો મધુર અવાજ લાખો લોકોના દિલ પર રાજ કરતો હતો, તે અંતિમ વર્ષોમાં એકલતા અને મુશ્કેલીઓ સાથે જીવ્યા. સુલક્ષણા પંડિતનું નિધન એ માત્ર એક અભિનેત્રી કે ગાયિકાની વિદાય નથી, પરંતુ ભારતીય ફિલ્મ અને સંગીત ઉદ્યોગના એક પ્રતિભાશાળી યુગનો અંત છે. તેમની કલા અને તેમના ગીતોની ધૂન તેમના ચાહકો દ્વારા હંમેશા યાદ રાખવામાં આવશે.
આ પણ વાંચો : વૃંદાવનમાં ગીતા રબારીએ પ્રેમાનંદ મહારાજજી સમક્ષ ગાયું કૃષ્ણ ભજન