હિન્દી સિનેમામાં જ્યારે સુવર્ણ યુગની વાત નીકળે, ત્યારે સંગીતકારોની અનેક જોડીઓ નજર સામે આવે. પરંતુ, જે જોડીએ કોઈ પણ જાતની શાસ્ત્રીય કે વિધિવત તાલીમ વગર માત્ર પોતાના ગજબા અને કુદરતી સૂઝબૂઝથી ત્રણ દાયકા સુધી બોલિવૂડ પર રાજ કર્યું, તે જોડી એટલે કલ્યાણજી-આણંદજી. એક તરફ મોટા મોટા સંગીત માર્તંડો હતા, ત્યારે બીજી તરફ આ બે કચ્છી ભાઈઓએ પોતાની આગવી ધૂનોથી આખા ભારતને ઘેલું લગાડ્યું હતું.
Geet Goshti : કચ્છી વાણિયાનો કસબ: તાલીમ વગરનું તેજ
આ સંગીત બેલડીની સૌથી આશ્ચર્યજનક અને પ્રેરણાદાયી હકીકત એ છે કે, કલ્યાણજીભાઈ કે આણંદજીભાઈએ સંગીતની કોઈ વિધિવત તાલીમ (Formal Training) લીધી નહોતી. તેઓ મૂળ કચ્છના કુંભારિયા ગામના જૈન વણિક પરિવારમાંથી આવતા હતા. તેમના પિતા વીરજી શાહ મુંબઈમાં કરિયાણાની દુકાન ચલાવતા હતા.
કહેવાય છે કે Kalyanji-Anandji ના લોહીમાં વેપાર હોવા છતાં, આ બે ભાઈઓના આત્મામાં સંગીત વસેલું હતું. પિતાની કરિયાણાની દુકાને આવતા ગ્રાહકો પાસેથી ઉધારી પેટે મળેલા વાજિંત્રો (જેમ કે હાર્મોનિયમ) પર રમી-રમીને તેઓ સંગીત શીખ્યા હતા. કોઈ ગુરુ વગર, માત્ર એકલવ્યની જેમ સાંભળીને અને રિયાઝ કરીને તેમણે લય-તાલ પર મહારત મેળવી હતી. આ તેમની શુદ્ધ 'ગોડ ગિફ્ટ' હતી કે તાલીમ વગર પણ તેઓ સાજ અને અવાજના એવા પારખુ બન્યા કે મોટા ગજાના સિંગર્સ પણ તેમની પાસે ગાવા માટે લાઈન લગાવતા.
Geet Goshti : 'નાગિન'ની અમર ધૂન: જેના વગર આજે પણ વરઘોડો અધૂરો છે!
કલ્યાણજી-આણંદજીને સૌથી વધુ લોકપ્રિયતા 1954માં આવેલી ફિલ્મ 'નાગિન' થી મળી હતી. આ ફિલ્મનું ગીત "મન ડોલે મેરા તન ડોલે..." અને તેની 'બીન'ની ધૂન આજે પણ એટલી જ લોકપ્રિય છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, આજે પણ ભારતના કોઈ પણ ખૂણે જ્યારે વરઘોડો નીકળે, ત્યારે બેન્ડવાળા 'નાગિન'ની ધૂન વગાડે જ છે. આ ધૂન વગર આજે પણ લગ્નની સીઝન કે વરઘોડો અધૂરો ગણાય છે. આ આઈકોનિક ધૂન લંડનથી મંગાવવામાં આવેલા 'ક્લેવાયલોન' (Clavioline) નામના ઈલેક્ટ્રોનિક વાદ્યની મદદથી તૈયાર કરવામાં આવી હતી, જેણે આ જોડીને અમર બનાવી દીધી.
250 થી વધુ ફિલ્મોમાં જાદુઈ સંગીત
આ બેલડીએ 'નાગિન', 'ઉપકાર', 'છલિયા', 'સરસ્વતીચંદ્ર', 'સફર' અને 'ડોન' જેવી 250 થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. તેમના સંગીતમાં એક અનોખી દેશી માટીની સુગંધ અને આધુનિકતાનું મિશ્રણ હતું.
તેમના કેટલાક અમર ગીતો:
- મન ડોલે મેરા તન ડોલે મેરે દિલ કા ગયા કરાર
- ઓ નીંદ ના મુઝ કો આયે દિલ મેરા ઘબરાયે
- ગોરી તોરે નૈના હૈ જાદુ ભરે હો હમ પે ચુપ-ચુપ
- દિલ લેકે જાતે હો કહા હમ તો ખડે હૈ યહાં
- દિલ લૂટને વાલે જાદુગર અબ મૈંને તુમ્હેં પહચાના
- ચાહે પાસ હો ચાહે દૂર હો મેરે સપનોં કી તુમ
- યે સમા સમા હૈ યે પ્યાર કા કિસી કા ઇન્તઝાર
- ગલી ગલી મેં ફિરતા હૈ તૂ ક્યોં બનકે બંજારા
- છોડ દે સારી દુનિયા કિસી કે લિયે યે મુનાસિફ
- મેરા જીવન કોરા કાગઝ કોરા હી રહ ગયા જો
સેવ અને સમર્પણનો વારસો
કલ્યાણજી-આણંદજી (Kalyanji-Anandji)માત્ર સંગીતકાર જ નહીં, પણ ઉમદા માનવીઓ પણ હતા. તેમણે મનહર ઉધાસ, કુમાર સાનુ અને સાધના સરગમ જેવા અનેક કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. તેઓ હસતા-હસતા કહેતા, "અમે સંગીત ભણ્યા નથી, પણ સંગીતને જીવ્યા છીએ." આજે કલ્યાણજીભાઈ આપણી વચ્ચે નથી, પણ આણંદજીભાઈના આશીર્વાદ અને તેમની અમર ધૂનો આજે પણ દરેક ગુજરાતીના હૃદયમાં ગુંજે છે.
આ પણ વાંચો : Geet Goshti : કિશોર કુમારે મન્ના ડેને આપી એક રૂપિયાની દક્ષિણા !