Govinda : બોલિવૂડનો અપ્રતિમ કલાકાર
- Govinda : જેની એક સ્માઈલ પર બોલિવૂડના નિર્દેશકોનું નસીબ ટકતું, એવા સુપરસ્ટાર ગોવિંદાના પતન પાછળ કયા રહસ્યો છુપાયેલા છે? દિલીપકુમારના વખાણથી લઈને ગાયત્રી ઉપાસના અને અંધશ્રદ્ધાની એ પાતળી રેખા સુધી—ગોવિંદા
Govinda : હિન્દી સિનેમાના Method Actingના માંધાતા 'અભિનય સમ્રાટ' દિલીપકુમારે-Dilipkumar જ્યારે ગોવિંદા માટે એમ કહ્યું હતું કે, "આ છોકરામાં અભિનયની એવી સહજતા છે જે શીખવી શકાતી નથી," ત્યારે સમજાઈ ગયું હતું કે ગોવિંદા-Govinda માત્ર મનોરંજનનું સાધન નથી, પણ એક સંસ્થા છે. ગોવિંદાએ જે ઊર્જા અને 'ટાઈમિંગ' પડદા પર પિરસી, તેણે બોલિવૂડ-Bollywood માં સફળતાના નવા માપદંડ સ્થાપ્યા. આજે જે ડેવિડ ધવન-David Dhawanને આપણે 'કોમેડીના કિંગ' તરીકે ઓળખીએ છીએ, તેમના સફળતાના મહેલનો પાયો ગોવિંદાની બેનમૂન અદાકારી પર ચણાયો છે. ડેવિડ ધવન જેવા અનેક નિર્દેશકોનું નસીબ ગોવિંદાના અભિનય અને તેના લયબદ્ધ Stepping પર ટકેલું હતું. ગોવિંદાએ માત્ર યંત્રવત હિરોઈજમ નથી કર્યું પણ એણે જેટલી ફિલ્મો કરી એમાં નિર્દેશકના વિઝનમાં પ્રાણ ફૂંક્યા છે.
Govinda : એક અસાધારણ પ્રતિભાનું કરુણ પતન
હિન્દી સિનેમાના ઇતિહાસમાં ગોવિંદા એક એવું નામ છે જેણે 'સ્ટારડમ''Stardom'ની વ્યાખ્યા બદલી નાખી હતી. 90ના દાયકામાં જ્યારે ખાન ત્રિપુટી પોતાનું સ્થાન જમાવી રહી હતી, ત્યારે વિરારનો આ છોકરો પોતાની અનોખી શૈલી, લયબદ્ધ નૃત્ય અને ગજબના કોમિક ટાઈમિંગથી આખા બોલિવૂડ પર રાજ કરતો હતો. પરંતુ, આટલી વિરાટ સફળતા છતાં તેમનું કરિયર કેમ વેરવિખેર થઈ ગયું? તેની પાછળ માત્ર નસીબ નહીં, પણ કેટલાક ગંભીર વ્યવહારિક અને મનોવૈજ્ઞાનિક કારણો જવાબદાર હતા.
Govinda : વ્યવસાયિક શિસ્તનો અભાવ: સમય સાથેનો સંઘર્ષ
કલાકાર ગમે તેટલો મહાન હોય, સિનેમા એ સામૂહિક કળા-Team Work છે. ગોવિંદાની સૌથી મોટી નબળાઈ તેમની 'અનપ્રોફેશનલ' કાર્યશૈલી હતી. સેટ પર કલાકો મોડા આવવું એ તેમની ઓળખ બની ગઈ હતી. વિવેચકોના મતે, ગોવિંદાએ ક્યારેય સમયને માન આપ્યું નહીં, પરિણામે સમયની ગતિએ તેમને પાછળ છોડી દીધા. મોટા બેનરો અને શિસ્તબદ્ધ નિર્દેશકોએ તેમની પ્રતિભા હોવા છતાં તેમનાથી અંતર જાળવવાનું શરૂ કર્યું.
સર્જનાત્મક એકવિધતા અને ડેવિડ ધવન સાથેનો વિચ્છેદ
ગોવિંદા અને ડેવિડ ધવન-David Dhawan ની જોડીએ 'મસાલા ફિલ્મ'ની એક નવી ફોર્મ્યુલા વિકસાવી હતી. પરંતુ, કલાકાર તરીકે ગોવિંદા એ ફોર્મ્યુલામાં એટલા કેદ થઈ ગયા કે તેમણે પોતાની સ્પેસમાંથી બહાર નીકળવાનો પ્રયાસ ન કર્યો. જ્યારે ડેવિડ ધવને સમયની માંગ પારખીને પોતાની શૈલી બદલી, ત્યારે ગોવિંદા જૂની સફળતાના નશામાં જ રહ્યા. અહમના ટકરાવમાં આ જોડી તૂટી અને ગોવિંદાએ પોતાનો સૌથી મજબૂત કિલ્લો ગુમાવ્યો.
આધ્યાત્મિક આસ્થા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી રેખા
ગોવિંદાના વ્યક્તિત્વનું સૌથી જટિલ પાસું તેમની ધાર્મિક માન્યતાઓ છે. બહુ ઓછા અભિભાવકો એ જાણે ચ્હે કે ગોવિંદા મા ગાયત્રીના પરમ ઉપાસક છે; કારમી ગરીબીભર્યા પ્રારભિક જીવનમાં ગોવિંદાએ ગાયત્રી અનુષ્ઠાન કરેલાં ચ્હે. તેમની ભક્તિમાં શુદ્ધતા અને સાત્વિકતા છે જે પ્રશંસનીય છે.
વિવેચકો નોંધે છે કે આ આસ્થા ઘણીવાર અંધશ્રદ્ધામાં પરિવર્તિત થઈ જતી. જ્યોતિષીઓના કહેવા પર ફિલ્મોની પસંદગી કરવી, મુહૂર્ત માટે શૂટિંગ રોકવા કે નસીબના ભરોસે બેસી રહેવું – આ બાબતોએ તેમના વ્યાવસાયિક નિર્ણયોને પ્રભાવિત કર્યા. એક તરફ ગાયત્રી મંત્રની સાધના તેમને આંતરિક બળ આપતી, તો બીજી તરફ અંધશ્રદ્ધાએ તેમના તાર્કિક વિચારવાની શક્તિને મર્યાદિત કરી દીધી.
ફિઝિકલ ટ્રાન્સફોર્મેશનમાં નિષ્ફળતા
90ના દાયકાનો હીરો 'લાઉડ' હતો, પણ 21મી સદીનો હીરો 'ફિટ અને સબલ' (Subtle) બન્યો. ગોવિંદાએ બદલાતા સિનેમાના સૌંદર્યશાસ્ત્ર (Aesthetics) ને સ્વીકાર્યું નહીં. વધતું વજન અને લુક્સ પ્રત્યેની બેદરકારીને કારણે તેઓ માત્ર એક ખાસ પ્રકારના રોલ પૂરતા મર્યાદિત થઈ ગયા. જ્યારે અમિતાભ બચ્ચને 'મોહબ્બતેં' થી પોતાની ઈમેજ બદલી, ત્યારે ગોવિંદા હજુ પણ 'હીરો નંબર 1' ના હેંગઓવરમાં જ રહ્યા.
કરિયરના સંક્રાંતિકાળમાં રાજનીતિમાં પ્રવેશવો એ ગોવિંદા માટે આત્મઘાતી સાબિત થયો. સંસદસભ્ય તરીકેની જવાબદારી અને ફિલ્મી ગ્લેમર વચ્ચે તેઓ તાલમેલ ન બેસાડી શક્યા. આ ગાળામાં તેમણે જનતાનો વિશ્વાસ ગુમાવ્યો અને ઇન્ડસ્ટ્રીમાં પોતાની પકડ પણ ગુમાવી.
ઉગતો જ રહેતો સૂર્ય
કોઈપણ કલાકારનું કરિયર તેના ફિલ્મી આંકડાઓથી નહીં, પણ તેના પ્રભાવથી મપાય છે. ગોવિંદાના કરિયરમાં કદાચ વ્યાવસાયિક ઓટ આવી હોઈ શકે, પરંતુ તેની કળા ક્યારેય ક્ષીણ થઈ નથી. આજે પણ જ્યારે કોઈ નવો કલાકાર પડદા પર કોમેડી કે ડાન્સની શિખર સર કરવા માંગે છે, ત્યારે તેણે ગોવિંદાની પાઠશાળામાંથી પસાર થવું જ પડે છે.
જે વ્યક્તિના હૃદયમાં મા ગાયત્રીનો અખંડ દીવો પ્રજ્વલિત હોય અને જેના કંઠમાં મંત્રોની શક્તિ હોય, તે ક્યારેય પરાજિત ન હોઈ શકે.
ગોવિંદા એ હિન્દી સિનેમાના આકાશનો એવો સૂર્ય છે જે વાદળો પાછળ ભલે ઢંકાયો હોય, પણ તે આથમ્યો તો નથી જ. તેની શૈલી આજે પણ 'મિથ' બનીને જીવે છે. સમયના વહેણ કદાચ ભૂમિકાઓ બદલી શકે, પણ જેણે પેઢીઓની પેઢીઓને ખડખડાટ હસાવ્યા હોય, એવો 'અભિનય સમ્રાટનો લાડકો' ક્યારેય આથમતો સૂર્ય ન હોઈ શકે. ગોવિંદા હતા, છે અને રહેશે - અવિરત, અણનમ અને અદ્વિતીય!
આ પણ વાંચો : Hollywood ફિલ્મ Michael નું બોક્સ ઓફિસ પર રાજ, ત્રણ હિન્દી ફિલ્મો રઝળી


