મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી હતી અભિનેત્રી
મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટીવી અને ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી સંચિતા ઉગાલેનું અવસાન થયું છે. સંચિતાના અચાનક નિધનથી તેમના પરિવાર, મિત્રો અને ફેન્સમાં શોકની લાગણી જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ, મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં રહેતી સંચિતા ઉગાલે પોતાના માતા-પિતા અને 15 વર્ષની બહેન સાથે રહેતી હતી. રવિવાર સાંજે ઘરમાં એકલી હતી ત્યારે આ દુઃખદ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
પોલીસે શરૂ કરી તપાસ, મોતનું કારણ હજુ અકબંધ
ઘટના બાદ પરિવારજનો દ્વારા સંચિતાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ મામલે અકસ્માત મોતનો કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. હાલ સુધી અભિનેત્રીના આ પગલાં પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરિવાર તરફથી પણ કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
‘છાવા’થી મળી ઓળખ, અનેક લોકપ્રિય શોમાં કર્યું કામ
સંચિતા ઉગાલેએ ટેલિવિઝન જગતમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. તેઓ લોકપ્રિય શો ‘કુમકુમ ભાગ્ય’માં જોવા મળી હતી, જેમાં તેમના અભિનયને દર્શકો દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો. આ સિવાય તેમણે ‘વાગલે કી દુનિયા’ જેવા જાણીતા ટીવી શોમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની એક્ટિંગને કારણે તેઓ ટીવી દર્શકોમાં લોકપ્રિય બન્યા હતા.
વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’માં ભજવ્યું હતું તારાબાઈનું પાત્ર
સંચિતા ઉગાલેને મોટા પડદા પર પણ કામ કરવાની તક મળી હતી. તેમણે અભિનેતા વિકી કૌશલની ઐતિહાસિક ફિલ્મ ‘છાવા’માં તારાબાઈના યુવા પાત્રની ભૂમિકા ભજવી હતી. આ પાત્ર દ્વારા તેમને ફિલ્મ દર્શકોમાં પણ ઓળખ મળી હતી. આ સિવાય તેઓ અન્ય ફિલ્મ અને સ્ટ્રીમિંગ પ્રોજેક્ટ્સમાં પણ કામ કરી ચૂક્યા હતા.
અભિનેત્રીના નિધનથી ફેન્સમાં દુઃખની લાગણી
સંચિતા ઉગાલેના અચાનક નિધન બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ અને કલાકારો દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ઘણા લોકોએ તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.નાની ઉંમરમાં અભિનેત્રીના અવસાનથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. હવે પોલીસ તપાસ બાદ જ ઘટનાના કારણ અંગે વધુ માહિતી સામે આવશે.
આ પણ વાંચો : Thalapathy Vijay Update : છૂટાછેડાની ચર્ચા વચ્ચે વિજય-સંગીતાએ ફરી શરૂ કરી વાતચીત? સંબંધોમાં સુધારાની ચર્ચા