Sushant Singh Death Anniversary : બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આજે છઠ્ઠી પુણ્યતિથિ છે. વર્ષ 2020માં દુનિયાને અલવિદા કહેનાર સુશાંતને યાદ કરી તેની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી છે. તેમણે ભાઈની યાદો અને જીવનના મૂલ્યોને યાદ કરતા દિલ સ્પર્શી સંદેશ લખ્યો છે.
સુશાંત સિંહ રાજપૂતની છઠ્ઠી પુણ્યતિથિ, બહેન શ્વેતાની ભાવુક પોસ્ટે ચાહકોને કર્યા ભાવુક
બોલિવૂડના લોકપ્રિય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને દુનિયા છોડીને છ વર્ષ પૂર્ણ થયા છે. અભિનેતાની છઠ્ઠી પુણ્યતિથિ પર પરિવાર, ફિલ્મ જગત અને તેમના લાખો ચાહકો તેમને યાદ કરી રહ્યા છે. આ ખાસ દિવસે સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પર ભાઈની કેટલીક તસવીરો શેર કરી હતી. આ સાથે તેમણે એક ભાવુક સંદેશ લખ્યો હતો, જેમાં સુશાંતના વિચારો, તેમની જિજ્ઞાસા અને માનવતા ભરેલા સ્વભાવને યાદ કર્યા હતા.
‘ભાઈની યાદો અને વિચારો આજે પણ સાથે છે’, શ્વેતાએ શેર કર્યો ભાવુક સંદેશ
શ્વેતાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે છ વર્ષ વીતી ગયા હોવા છતાં સુશાંતની યાદો અને તેમના વિચારો આજે પણ પરિવાર સાથે છે. તેમણે જણાવ્યું કે સુશાંત હંમેશા નવી વસ્તુઓ શીખવા માટે ઉત્સુક રહેતા હતા અને દરેક વ્યક્તિ પ્રત્યે સન્માન અને દયાની ભાવના રાખતા હતા. તેમના અનુસાર, સુશાંતે શીખવ્યું હતું કે સફળતા ત્યારે જ મહત્વપૂર્ણ બને છે જ્યારે તેમાં માનવતા અને કરુણા જોડાયેલી હોય. શ્વેતાએ વધુમાં લખ્યું કે પ્રેમ, જ્ઞાન, આશા અને સારા વિચારો ક્યારેય ખતમ થતા નથી. જ્યારે કોઈ વ્યક્તિ જીવનમાં આ મૂલ્યો અપનાવે છે ત્યારે સુશાંતની શીખ જીવંત રહે છે.
સુશાંતના જીવનના મૂલ્યોને યાદ કરી ચાહકોને આપ્યો ખાસ સંદેશ
શ્વેતાએ પોતાના ભાઈને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે સાચી શ્રદ્ધાંજલિ માત્ર દુઃખ વ્યક્ત કરવી નહીં પરંતુ તેમના વિચારોને જીવનમાં ઉતારવી છે. તેમણે ચાહકોને સંદેશ આપ્યો કે સુશાંત પાસેથી જિજ્ઞાસુ બનવું, દયાળુ રહેવું, સતત શીખતા રહેવું અને મોટા સપના જોવાની પ્રેરણા મળે છે. આ ભાવુક પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને ચાહકો પણ કોમેન્ટ દ્વારા સુશાંતને યાદ કરી રહ્યા છે.
14 જૂન 2020ના રોજ થયું હતું સુશાંતનું નિધન
ઉલ્લેખનીય છે કે 14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત મુંબઈ સ્થિત પોતાના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના નિધનના સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહિત સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સુશાંત સિંહ રાજપૂતે ટેલિવિઝનથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને બાદમાં ફિલ્મોમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. તેમની ફિલ્મો અને અભિનય આજે પણ ચાહકોના દિલમાં જીવંત છે.
આ પણ વાંચો : Rao Bahadur teaser release: રાવ બહાદુરનું ધમાકેદાર ટિઝર આઉટ, સત્ય દેવના પાવરફુલ લુકથી ચાહકો થયા ફિદા