લોકપ્રિય અભિનેતા તન્મય વેકરિયાના પિતા અરવિંદ વેકરિયાનું અવસાન
મનોરંજન જગતમાંથી એક અત્યંત માઠા સમાચાર સામે આવ્યા છે. તારક મહેતા શો માં પોતાની અનોખી એક્ટિંગથી દર્શકોને હસાવતા કલાકાર તન્મય વેકરિયાના પિતા હવે આ દુનિયામાં રહ્યા નથી. તન્મય વેકરિયા માટે આ સમય માનસિક રીતે અત્યંત કઠિન અને આઘાતજનક માનવામાં આવી રહ્યો છે. હજુ ગત વર્ષે ઓક્ટોબર 2025 માં જ તન્મયના માતાનું અવસાન થયું હતું. માતાના નિધનના આઘાતમાંથી પરિવાર હજુ માંડ બહાર આવ્યો હતો, ત્યાં જ પિતાનું પણ છત્ર છીનવાઈ જતાં તન્મય વેકરિયા સંપૂર્ણપણે ભાંગી પડ્યા છે .
લાંબા સમયથી બીમાર હતા અરવિંદ વેકરિયા
અરવિંદ વેકરિયા લાંબા સમયથી ઉંમર સંબંધિત બીમારીઓથી પીડાઈ રહ્યા હતા. સોશિયલ મીડિયા પર ફેન્સ અને કલા જગતના લોકો તન્મય અને તેના પરિવારને આ મુશ્કેલ સમયમાં સાંત્વના પાઠવી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ સોશિયલ મીડિયાના માધ્યમથી દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને વેકરિયા પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
સેટ પર પિતાની નાજુક તબિયત અંગે વાત કરતા ભાવુક થયો હતો અભિનેતા તન્મય વેકરિયા
અરવિંદ વેકરિયાના અવસાનના થોડા દિવસો પહેલા જ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના શૂટિંગ સેટ પરથી તન્મય વેકરિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં તન્મય પોતાના પિતાની ગંભીર તબિયત વિશે વાત કરતાં-કરતાં સેટ પર જ અત્યંત ભાવુક થઈ ગયો હતો અને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે સમયે શો ના નિર્માતા અસિત કુમાર મોદી તેની પડખે ઊભા રહીને તેને શાંત રાખતા અને સાંત્વના આપતા જોવા મળ્યા હતા.
એક પ્રોફેશનલ આર્ટિસ્ટ હોવાના નાતે તન્મય પિતાની માંદગી વચ્ચે પણ સતત શૂટિંગ કરી રહ્યો હતો જેથી એપિસોડના ટેલિકાસ્ટમાં કોઈ અડચણ ન આવે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ચાહકો સતત તેના પિતાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા હતા, પરંતુ વિધાતાના લેખ કંઈક અલગ જ હતા.
'શક્તિમાન' અને 'તારક મહેતા' માં ભજવી હતી યાદગાર ભૂમિકા
અરવિંદ વેકરિયા માત્ર તન્મય વેકરિયાના પિતા તરીકે જ નહીં, પરંતુ પોતાની આગવી એક્ટિંગ સ્કીલ્સના કારણે ગુજરાતી રંગભૂમિ (થિયેટર) પર એક મોટું નામ ધરાવતા હતા (Gujarati Theatre Actor Arvind). તેમણે અનેક લોકપ્રિય ગુજરાતી નાટકો અને ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. તેમને ખાસ કરીને 'યશોદા' અને 'છાનુ ચમકલો' જેવા સુપરહિટ નાટકોમાં તેમના શાનદાર અભિનય માટે યાદ કરવામાં આવે છે. આ ઉપરાંત તેઓ પ્રખ્યાત ગુજરાતી ફિલ્મ 'રૂપિયો નાચ નાચાવે' માં પણ મહત્વના રોલમાં જોવા મળ્યા હતા. નેશનલ ટેલિવિઝન પર ભારતનો આઇકોનિક સુપરહીરો શો 'શક્તિમાન' માં પણ તેમણે નાનકડી પણ યાદગાર ભૂમિકા ભજવી હતી.
અરવિંદ વેકરિયાએ તારક મહેતામાં આપ્યો હતો ગેસ્ટ અપિરિન્યસ
ખાસ વાત એ છે કે, અરવિંદ વેકરિયાએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો માં પણ એક નાનકડો ગેસ્ટ અપીરિયન્સ આપ્યો હતો (Bagha Father Arvind Vekaria). શો ના એક પ્રખ્યાત ટ્રેકમાં જ્યારે આત્મા રામ તુકારામ ભીડેને પૈસાની અર્જન્ટ જરૂર પડે છે અને તેઓ પોતાની પત્ની માધવીના સોનાના દાગીના ગિરવી રાખવા માટે એક સોની (ઝવેરી) ની દુકાને જાય છે, તે ઝવેરીનો રોલ અરવિંદ વેકરિયાએ જ પ્લે કર્યો હતો. ભીડે સાથેના સીન્સમાં તેમની એક્ટિંગ અને ડાયલોગ ડિલિવરીને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.
વર્તમાન સમયમાં શો ની અંદર ચાલી રહી છે 'બાઘા અને બાવરી' ના સંબંધોની મુખ્ય વાર્તા
ચોગાનમાં એવી ચર્ચા છે કે હાલના દિવસોમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલમાં તન્મય વેકરિયા એટલે કે બાઘાના કેરેક્ટરની આસપાસ જ મુખ્ય વાર્તા ચાલી રહી છે. ટીવી પર બતાવવામાં આવી રહ્યું છે કે બાઘાની લવ લાઈફમાં મોટો ભૂકંપ આવ્યો છે. તેની મંગેતર બાવરીના બાળપણનો એક અમીર મિત્ર વાર્તામાં એન્ટ્રી લે છે અને તે બાઘાને બાવરીની જિંદગીમાંથી દૂર થઈ જવા માટે મોટી રકમની ઓફર કરે છે. આ રોલ અને ડ્રામા વચ્ચે રિયલ લાઈફમાં પિતાનું અવસાન થતાં તન્મય થોડા દિવસો માટે શૂટિંગમાંથી બ્રેક લે તેવી સંભાવના છે.
આ પણ વાંચો : Shraddha Kapoor Eetha Teaser : “નાચતે હુએ મરી તો મિસાલ બન જાઉંગી...” શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘Eetha’નું ટીઝર તમે જોયું...