Versatile singing of Asha Bhosle : સૂરોનું આકાશ હવે સૂનું
- Versatile singing of Asha Bhosle : સૂર, સંઘર્ષ અને સાહસના સપ્તક સમાન આશા ભોંસલેની જીવનગાથા. પિતાના અવસાનથી લઈને પ્લેબેક સિંગિંગમાં ક્રાંતિ લાવવા સુધીની આશાતાઈની રોમાંચક સફર અને સંગીતના એક અજોડ યુગનો અંત. વાંચો, એક અવાજ જે ક્યારેય વિસરાશે નહીં.
Versatile singing of Asha Bhosle : ભારતીય સંગીત જગતમાં આશા ભોંસલે એટલે માત્ર એક ગાયિકાનું નામ નહીં, પણ સાત દાયકા સુધી ગુંજેલો જીવંત અને અદભૂત ઈતિહાસ. તેમના વિશે ઘણું લખાયું છે, ઘણું ચર્ચાયું છે, પણ તેમની પ્રતિભા એવા મહાસાગર જેવી છે કે જેનો દરેક કિનારો નવો અનુભવ કરાવે છે. આજે જ્યારે સૂર અને તાલનો આ યુગ આથમી ગયો છે, ત્યારે એ સ્મૃતિઓ ફરી તાજી થાય છે જેણે ભારતીય પ્લેબેક સિંગિંગની વ્યાખ્યા બદલી નાખી.
Versatile singing of Asha Bhosle : સંગીત માત્ર અભિવ્યક્તિ નહીં પણ સાધના
૧૯૩૩માં આશાતાઈનો જન્મ એવા પરિવારમાં થયો જ્યાં સંગીત વારસામાં હતું. પિતા દીનાનાથ મંગેશકર આ વારસાના સ્તંભ હતા, પણ તેમના અવસાન સાથે જ ઘરની સુરક્ષાનું માળખું વેરવિખેર થઈ ગયું. જે બચ્યું હતું તે હતું - શિસ્ત, અભ્યાસ અને એક અનિશ્ચિત ભવિષ્ય. સાંગલી જેવા સાંસ્કૃતિક વાતાવરણમાં સંગીત માત્ર અભિવ્યક્તિ નહીં પણ સાધના હતી.
પરિવારમાં લતા મંગેશકર, મીના ખાદીકર, ઉષા અને હૃદયનાથ વચ્ચે સંગીત વહેંચાયેલું હતું, પણ દરેકની પોતાની દિશા હતી. પિતાની નાટ્ય મંડળીના મુશ્કેલ સમય અને તેમના મૃત્યુ પછી આશા ભોંસલેએ ખૂબ નાની ઉંમરે ગાવાનું શરૂ કર્યું. આ કોઈ સપનું નહોતું, પણ એક 'જરૂરિયાત' હતી. મુંબઈના સ્ટુડિયોમાં અવાજને કોઈ બીજાના ચહેરાની ઓળખ બનાવવાનો શ્રમ અહીંથી જ શરૂ થયો.
Versatile singing of Asha Bhosle : એક અસ્થિર અવાજનું ઘડતર
લતા મંગેશકર(Lata Mangeshkar)ની હાજરીએ આ સફરને વધુ જટિલ બનાવી હતી. લતાજીનો અવાજ એક આદર્શ બની ચૂક્યો હતો, ત્યારે સરખામણી સ્વાભાવિક હતી. આશાતાઈએ અનુકરણને બદલે પોતાનો અલગ રસ્તો પસંદ કર્યો. આ રસ્તો સીધો નહોતો; તેમાં ઠોકર હતી, અસ્વીકાર હતો અને લાંબા સમય સુધી ઓળખનો અભાવ હતો. પણ આ જ સંઘર્ષમાં તેમની ગાયકીનો અસલ સ્વભાવ તૈયાર થયો. તેમણે એ ગીતો ગાયા જે બીજા ગાયકો ટાળતા હતા. "પિયા તુ અબ તો આજા" અને "દમ મારો દમ" જેવા ગીતોએ સાબિત કર્યું કે પ્લેબેક સિંગિંગ માત્ર સંયમિત જ નહીં, પણ જોખમી અને મોકળું પણ હોઈ શકે છે.
સહયોગ અને પુનઃનિર્માણ
આશાતાઈની કારકિર્દી એ સંગીતકારો વગર અધૂરી છે જેમની સાથે તેમણે કામ કર્યું:
ઓ.પી. નૈયર: જેમની સાથે અવાજે એક ખાસ લય અને ચમક પકડી.
આર.ડી. બર્મન: જેમની સાથે જેઝ, લેટિન અને નવા ધ્વનિ પ્રયોગો કર્યા.
ગુલઝાર: જેમની સાથે અવાજમાં ઠેરાવ આવ્યો અને 'ઓછું કહીને ઘણું કહેવાની' કળા ખીલી.
ખય્યામ, સચિન દેવ બર્મન, અને એ.આર. રહેમાન: દરેક સાથે તેઓ બદલાયા, પણ પોતાની મૂળભૂત ઓળખ જાળવી રાખી. હેલન સાથેનો તેમનો સંબંધ વિશેષ હતો; ત્યાં અવાજ અને દેહ એકાકાર થઈ જતા હતા.
પ્રચુરતાનો બોજ અને વ્યાપ
હજારો ગીતો, અનેક ભાષાઓ અને દાયકાઓ સુધી ફેલાયેલો તેમનો વિસ્તાર ચકિત કરી દે તેવો છે. સંખ્યા તો માત્ર આંકડા છે, પણ તેની પાછળનો શ્રમ અને ધીરજ અકલ્પનીય છે. તેમની ઓળખ કોઈ એક ભાવ, એક છબી કે એક અભિનેત્રી સુધી સીમિત ન રહી. તેઓ રેડિયોમાં હતા, પડદા પર હતા, લગ્ન-પ્રસંગોમાં હતા અને એકલતાની સાંજમાં પણ હતા. તેમની ઓળખ તેમના ફેલાવમાં હતી.
તેમની ગાયકીમાં જે સહજતા દેખાય છે, તે વાસ્તવમાં સખત શિસ્ત અને અભ્યાસનું પરિણામ છે. "ઇન આંખો કી મસ્તી" જેવા ગીતોમાં અવાજ સંયમિત થઈ જાય છે, જ્યારે ફિલ્મી ગીતોમાં એ ખીલી ઉઠે છે. આ બંને છેડાઓને અપનાવવાનું કૌશલ્ય જ તેમની સાચી ઓળખ બની. તેઓ ગીતની જરૂરિયાત મુજબ માત્ર ટેકનિકલી જ નહીં, પણ ભાવનાત્મક રીતે પણ પોતાને બદલી શકતા.
સન્માન અને તેની મર્યાદાઓ
દાદાસાહેબ ફાળકે એવોર્ડ(Dadasaheb Phalke Award), પદ્મ વિભૂષણ અને ગ્રેમી નોમિનેશન(Grammy nomination) જેવા અનેક સન્માનો તેમને મળ્યા. પણ પુરસ્કારો કોઈ કલાકારની કદર છે પણ એની કળાનું મૂલ્યાંકન નથી જ. ખરું સન્માન તો આશાતાઈનો અવાજ લોકોના જીવનનો હિસ્સો બની ચૂક્યો હતો તે હતું.
છેલ્લા વર્ષોમાં તેમની જાહેર ઉપસ્થિતિ ધીમે-ધીમે ઓછી થતી ગઈ. એ કોઈ અચાનક આવેલો બદલાવ નહોતો, પણ એક ધીમી પ્રક્રિયા હતી. તેમનું જવું એ એક લાંબી યાત્રાના અંતિમ બિંદુ જેવું લાગે છે, જેમ કોઈ સૂર ધીમે-ધીમે ક્ષીણ થતો જાય અને અંતે શાંત થઈ જાય.
એક અધૂરું પ્રસ્થાન
આશા ભોંસલેના જીવન વિશે લખતી વખતે તેનો અંત નક્કી કરવો મુશ્કેલ છે. તેમનું જીવન કોઈ એક વાર્તામાં નથી સમાતું. તેમના માટે કહી શકાય:
"જો ખત્મ હો કિસી જગહ, યે એસી સિલસિલા નહીં..."
આશાતાઈ ગયા નથી; તેઓ તો તેમનાં ગીતોથી આપણાં જીવનમાં શ્વાસોશ્વાસની જેમ વણાઈ ગયા છે. તેમણે પ્લેબેક સિંગિંગમાં જે જટિલતા અને મોકળાશ ઉમેરી, તેણે શ્રોતાઓની રૂચિ ને જ બદલી નાખી.
અલવિદા આશાતાઈ! અવાજ ક્યારેય જાય જ નહીં.... તે સ્મૃતિપટ વજ્રની લકીરની જેમ અંકાઇ ગયાં છે. એમનાં ગાયેલ ગીતો કાલાતીત છે. અમર છે.


