AI vs. Humanity: બેંગલુરુમાં IT યુગલના આપઘાતે AI ક્રાંતિની કાળી બાજુ ઉઘાડી કરી
. AI Tools ને કારણે અમેરિકામાં નોકરી ગુમાવ્યા બાદ ભાનુચંદ્ર સતત તણાવમાં હતા, જે અંતે આપઘાતનું કારણ બન્યું
. IT કંપનીઓ AI માં રોકાણ વધારવા માટે હજારો કર્મચારીઓની છટણી કરી રહી છે
. ભારતમાં આઈટી ક્ષેત્રે વધતા આપઘાતના કેસો ચિંતા વધારનારા
AI vs. Humanity: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence - AI) એક ક્રાંતિ છે. પણ આ ક્રાંતિમાં બેકારીનું જોખમ ઘણાં જીવ પણ લઈ શકે છે. તેને લઈને દુનિયાભરની સરકારોએ યુવાવર્ગની ચિંતા કરીને કોઈ માર્ગ અવશ્ય શોધવો પડશે. આ માત્ર ભય સુધી મર્યાદીત બાબત નથી.
એક આપઘાત AI ક્રાંતિ સામે લાલબત્તી
31 માર્ચ, 2026ના રોજ ભારતની આઈટી (IT) રાજધાની ગણાતા બેંગાલુરુ (Bengaluru) ના કોઠાનૂર વિસ્તારના એક હાઈ-રાઈઝ એપાર્ટમેન્ટમાં આઈબીએમ (IBM) માં નાઈટ શિફ્ટ કરીને ઘરે પાછી ફરેલી પત્નીને તેના બેડરૂમમાં તેના પતિનો ફાંસો ખાઈને લટકેલો મૃતદેહ જોવા મળ્યો. સતત 20 મિનિટ સુધી આઈટી કંપનીમાં નાઈટ શિફ્ટ કરીને આવેલી પત્નીએ પતિના મૃતદેહને જોયા કર્યો. અચાનક 18મા માળે પહોંચી અને નીચે કૂદી ગઈ. આ કોઈ સામાન્ય આત્મહત્યા ન હતી. આ આત્મહત્યા એઆઈ ક્રાંતિના દુષ્પ્રભાવોને લઈને લાલબત્તી સમાન હતી.
32 વર્ષીય ભાનુચંદ્ર રેડ્ડી (Bhanuchandra) અને તેમના પત્ની 31 વર્ષીય શાજિયા સિરાજ (Shazia Siraj) સોફ્ટવેર એન્જિનિયર હતા અને બંનેની કમાણી લાખોમાં હતી. અમેરિકામાં કામ કરવાનો અનુભવ અને 80 લાખના વાર્ષિક પેકેજ અને સફળતા તેમની કારકિર્દીને ઉજાળી રહ્યા હતા. પરંતુ બંને જણાને નોકરી ગુમાવવાનો ભય અને તેને કારણે તેમનું જીવન તણાવગ્રસ્ત બન્યું હતું. ભાનુચંદ્ર અમેરિકામાં કામ કરી રહ્યા હતા અને એઆઈ ટૂલ્સને કાણે તેમની ટીમમાં છટણી થતાં તેમની નોકરી પણ જતી રહી હતી.
ભાનુચંદ્ર ભારત આવ્યા અને નવી નોકરીની શોધમાં લાગ્યા. પણ તેમને નોકરી મળી નહીં. ચિંતાએ તેમને ઘેરી લીધા અને તેમનું સ્વાસ્થ્ય કથળ્યું. જ્યારે તેમની પત્ની શાજિયા આઈબીએમમાં નાઈટ શિફ્ટની જૉબના ડ્યૂટી અવર્સ પુરા કરીને સવારે 7.30 વાગ્યે ઘરે પાછા ફર્યા તો બેડરૂમ અંદરથી બંધ હતો. તેમણે એક થડકારો અનુભવ્યો અને તુરંત સુરક્ષાગાર્ડને બોલાવીને દરવાજો તોડાવ્યો. દરવાજો તૂટતાની સાથે જ પતિ ભાનુચંદ્રની લાશ તેમને ફાંસી પર લટકતી જોવા મળી. આ એક અસહ્ય દ્રશ્ય હતું. પત્નીએ પણ ઘણો સમય પતિની ફાંસી પર લટકતી લાશને જોયા કર્યું અને તેણે પણ 18મા માળેથી કૂદીને જીવન ટૂંકાવી દીધું.
આ પણ વાંચો: AI એ ડૂબાડયું બજાર? : Sensex 800 અંક ગગડયું, IT શેરોમાં હાહાકાર
IT Sector પર ભારે દબાણ
બરાબર 31 માર્ચ, 2026ના રોજ અમેરિકાની સોફ્ટવેર કંપની ઓરેકલે (Oracal) હજારો કર્મચારીઓની છટણી (IT Layoffs) કરી હતી. કંપની એઆઈ ડેટા સેન્ટર બનાવવા માટે ભારે રોકાણ કરી રહી છે. 2026માં 500 કરોડ ડોલરથી વધુની મૂડીનું તેના દ્વારા રોકાણ થયું. આ ખર્ચને પહોંચી વળવા માટે પડતર ઘટાડવા માટે છટણીનો સહારો કંપની દ્વારા લેવામાં આવ્યો. લગભગ 20થી 30 હજાર કર્મચારીઓ આનાથી અસરગ્રસ્ત થયા.
આ પહેલા જાન્યુઆરીમાં અમેઝને (Amazon) 16 હજાર કોર્પોરેટ જોબ્સમાં છટણી કરી. માઈક્રોસોફ્ટે 2025માં 15 હજારની છટણી કરી. મેટા, એટલાસિયન, બ્લોક વગેરે તમામ કંપનીઓ એઆઈના નામે કર્મચારીઓને અપ્રાસંગિક જેવા ગણી રહ્યા છે.
ભારતમાં પણ આઈટી સેક્ટરમાં 2017થી અત્યાર સુધીમાં 227થી વધુ આપઘાતના કેસ નોંધાયા છે. એનસીઆબીના 2023ના આંકડા મુજબ, કુલ 1, 17, 418 આપધાત નોંધાયા છે. જેમાં 25થી 40 વર્ષના યુવા પ્રોફેશનલ્સ સૌથી વધારે છે. બેંગલુરુ, હૈદરાબાદ, પુણે, મુંબઈ (Bengaluru, Hyderabad, Pune, Mumbai) સહીતના ઘમાં શહેરોમાં એઆઈ (AI) ને કારણે છટણીના ડરે યુવાવર્ગને ઘેરી લીધો છે.
આ પણ વાંચો: Misuse of AI: AI થી બનાવી શકાય છે Biological Weapon! AI કંપનીના ચીફની ચેતવણી
સાઈકોલોજિકલ સારવારની ઈકોસિસ્ટમ વિકસિત કરવી જરૂરી
એઆઈને કારણે કંપનીઓ ઓછા લોકોથી વધુ કામના ગણિત પર ચાલી રહી છે. એઆઈ ટૂલ્સ કોડિંગ, ડેટા એનાલિસિસ અને સોફ્ટવેર ડિઝાઈનમાં માણસથી વધુ શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યા છે. પણ ઈએમઆઈ, લોન, પરિવારની જવાબદારી જેના પર ટકેલી છે તેવા કર્મચારી માટે એઆઈ ખતરનાક દબાણ અને તણાવનું કારણ બની રહ્યું છે. નોકરી રહે ત્યારે તણાવ અને જાય ત્યારે ચિંતા ડિપ્રેશન (Depression) માં ફેરવાય જાય છે. આ સિવાયની પણ મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ યુવાને ઘેરી લે છે.
રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય સર્વે મુજબ, 80 ટકા લોકો માનસિક બીમારીઓની સારવાર લેતા નથી, કારણ કે આવી સારવાર લેવી કલંક તરીકે જોવામાં આવે છે. ભારતમાં દર લાખે માત્ર 0.75 ટકા માનસિક રોગની સારવાર કરનારા ડૉક્ટર છે. જિલ્લા સ્તરે નામમાત્રની આવી સુવિધા છે. ત્યારે આગામી સમયના પડકારને જોતા સાઈકોલોજિકલ સારવારને લગતી ઈકોસિસ્ટમની પણ એક જરૂર પડવાની છે. આ એવી ઈકોસિસ્ટમ હોઈ શકે કે જેવું સામાન્ય હોસ્પિટલોનું નેટવર્ક છે. દરેક જિલ્લામાં ફુલ ટાઈમ મેન્ટલ હેલ્થ (Mental Health) સેન્ટર, ફ્રી અથવા સસ્તી ઓપીડી, ટેલી-મેન્ટલ હેલ્થ, આયુષ્યમાન ભારતમાં માનસિક સ્વાસ્થ્ય વીમાને ફરજિયાત કરવા જેવી બાબતો આમા સામે થઈ શકે છે.
આ સિવાય ધ્યાન અને યોગ ચિંતાને ઘટાડી શકે છે. આઈઆઈટી (IIT) અને આઈઆઈએમ (IIM) જેવી સંસ્થાઓમાં હવે માઈન્ડફુલનેસ પ્રોગ્રામ પણ ચાલી રહ્યા છે. ઘણી કંપનીના કર્મચારીઓ માટે યોગ સેશન્સ અને આધ્યાત્મિક સત્ર પણ આયોજીત થઈ રહ્યા છે. પરિવર્તન જીવનનો હિસ્સો છે, પરંતુ આધ્યાત્મિક ઊર્જા આપણને આવી પડકારજનક સ્થિતિમાં તેની સાથે સંતુલન કરવાની શક્તિ પુરી પાડી શકે છે.
આ પણ વાંચો: Anthropic ના નવા AI ટૂલથી ગ્લોબલ માર્કેટમાં હડકંપ, એક જ દિવસમાં $ 285 અબજ સાફ
માણસ-માણસાઈ ખતમ થશે તો AI ક્રાંતિ અર્થ નહીં અનર્થ હશે
બેંગલુરુની યુગલની આપઘાતની ઘટના અને ઓરેકલ જેવી કંપનીઓની છટણી ચેતવણીરૂપ છે. એઆઈ ભલે ભવિષ્ય હોય, પણ માનવતાની બાદબાકી કરનારા ભવિષ્યને શું કરવાનું? ચાટવાનું? કોઈપણ વ્યવસ્થા હોય કે સંશોધન હોય કે પરિવર્તન હોય, પૃથ્વી-સૃષ્ટિ-જીવસૃષ્ટિ-માણસ-માણસાઈની બાદબાકી કરનાર હોય તો શું કરવાનું? આવી ક્રાંતિમાં કોઈપણ પૂર્વતૈયારીઓ અને સમજ વગર જવું માત્ર આવી વ્યવસ્થા, સંશોધન કે પરિવર્તન જ બાકી બચશે- માણસ અને માણસાઈ બંને મરી પરવારશે!
બેંગલુરુમાં આપઘાત કરનારા ભાનુચંદ્ર અને શાઝિયા યુવા આઈટી પ્રોફેશનલ્સનું પ્રતિનિધિત્વ કરનાર યુગલ છે. એઆઈને કારણે છટણીની સંભાવનાની ચિંતામાં ચુપચાપ રહેનારા ઘણાં પ્રોફેશનલ્સ ભાનુચંદ્ર-શાઝિયાના માર્ગે ચાલવાનું પસંદ ન કરે તેના માટે હવે સમય આવી ગયો છે કે પરિવર્તનના સંક્રાંતિકાળે આપણે પણ બદલાઈએ. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને એકસાથે જોઈએ. આમ થશે તો એક સ્વસ્થ, સંતુલિત અને સશક્ત ભારત - વિશ્વ બની શકશે.
આ પણ વાંચો: વ્હાઈટ કોલર જોબ્સ થોડા માસની મહેમાન: Microsoft AI ચીફની ચેતવણી માણસ જેમ વિચારતા AI વિકસાવાય રહ્યા છે


