પાકિસ્તાન-અમેરિકાની ઘનિષ્ઠતા કાશ્મીર માટે ખતરનાક! ભારત માટે યુદ્ધના એંધાણ?
. પાકિસ્તાનનો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ મુનિર છે ટ્રમ્પનો માનીતો
. અમેરિકા-ભારત વચ્ચે વ્યાપારિક તણાવે પ્રાદેશિક સમીકરણ બદલ્યા
. પાકિસ્તાને અમેરિકાની નજીક જઈને ભારતમાં હંમેશા ફેલાવ્યો છે આતંક
. ફરી એકવાર પાકિસ્તાન-અમેરિકાના સંબંધોની ઘનિષ્ઠતા કાશ્મીર માટે ખતરો
. કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકમાં વધારો થવાની શક્યતા
આનંદ શુક્લ: ઘણાં લાંબા સમયના લઘુત્તમ કૂટનીતિક આદાન-પ્રદાનની સ્થિતિમાંથી પાકિસ્તાન અને અમેરિકા છેલ્લા કેટલાક મહિનાઓથી ઘનિષ્ઠ સંબંધોમાં નવચેતનાના સ્તરે પહોંચી ચુક્યા છે. જેને કારણે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંરક્ષણ સહયોગ, આર્થિક સમજૂતીઓ અને ઉચ્ચ સ્તરીય સંપર્કો પણ વધી રહ્યા છે.
પાકિસ્તાની જનરલ મુનિરના વધ્યા અમેરિકાના આંટા
પાકિસ્તાની આર્મી ચીફમાંથી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ફીલ્ડ માર્શલની રેન્ક મેળવનારા આસિમ મુનિરે ગત મહિનાઓમાં અમેરિકાની બે સત્તાવાર મુલાકાતો લીધી છે. આ દર્શાવે છે કે અમેરિકાના પાકિસ્તાન માટેના વલણમાં કેવું પરિવર્તન આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત લંચ માટે અને અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ની કમાન્ડ ચેન્જ વખતે પાકિસ્તાનના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ આસિમ મુનિરને આમંત્રિત કરીને સૈન્ય અને કૂટનીતિક સંબંધોની પુનર્સ્થાપનાનું વોશિંગ્ટન તરફથી ઘોષિત કરી દેવાયું છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાની સેનાધ્યક્ષ આસિમ મુનિરને વ્હાઈટ હાઉસમાં ડિનર કરાવીને એ માન્યતા આપી દીધી છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં અસલી સત્તા ઈસ્લામાબાદમાં નહીં પણ રાવલપિંડી ખાતેના સૈન્ય મુખ્યમથકમાં બેસતા તેના સેનાધ્યક્ષ પાસે છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા પાકિસ્તાન સાથેના સંબંધોમાં ખનીજતેલ શોધવાની ડીલ અને ખનીજો, વ્યાપાર, ટેક્નોલોજી અને કાઉન્ટર-ટેરરિઝ્મના ક્ષેત્રમાં વ્યાપક સહયોગ પર ચર્ચા પણ કરવામાં આવી છે.
ટ્રમ્પના પડખાંમાં પાકિસ્તાન
આ પ્રકારના વલણમાં આવેલા પરિવર્તનમાં ઘણાં પાસાંઓ સંકળાયેલા છે. પણ મીડિયા કવરેજમાં પાકિસ્તાન દ્વારા ટ્રમ્પને નોબલ પુરસ્કાર માટે નામિત કરવા અને તેમના પારિવારીક હિતો સાથે જોડાયેલી ક્રિપ્ટોકરન્સી ફર્મ સહીતની ડીલ પર વધુ ભાર મૂકાયો છે. પરંતુ આમા વ્યૂહાત્મક કારણોની સદંતર બાદબાકી કરવાનું આશ્ચર્યજનક છે. પાકિસ્તાનનો ઉપયોગ અફઘાનિસ્તાનમાં 9/11 પછી વૉર ઓન ટેરર લડવામાં કરવામાં આવ્યો હતો.
તેવી જ રીતે ઈરાન સામેની સંભવિત અમેરિકાની કાર્યવાહીમાં પણ ઈસ્લામાબાદનો ફરીથી વપરાશ થવાનો છે અને તેની અવગણના થઈ શકે તેમ નથી. ઈરાન સામેની અમેરિકા-ઈઝરાયલની 12 દિવસની કાર્યવાહી આનું એક ટ્રેલર માત્ર હતું.
આ પણ વાંચો: ટ્રમ્પની વેનેઝુએલા સામેની કાર્યવાહીમાં ઈરાન માટે સંદેશ, પણ ચીન-રશિયા આની નકલ કરશે તો?
અમેરિકાને કારણે પ્રાદેશિક સમીકરણ બદલાયા
અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલો વ્યાપારીક તણાવ પ્રાદેશિક સમીકરણોમાં પણ ઉથલ-પાથલ મચાવી રહ્યો છે. રશિયા પાસેથી ખનીજતેલ અને શસ્ત્રોની ખરીદી વધવાને લઈને વધતી હતાશા વચ્ચે ટ્રમ્પે ટેરિફનું શસ્ત્ર પણ વાપર્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન અમેરિકા માટે બહુ-પરિમાણીય હિસ્સેદારની ગરજ સારી રહ્યું છે. આગામી સમયમાં પાકિસ્તાનનો ભારતને વ્યૂહાત્મક નુકશાન પહોંચાડવા માટે કોઈ ઉપયોગ થાય તો પણ નવાઈ પામવા જેવું નહીં હોય.
અમેરિકાએ વેનેઝુએલા પરની કાર્યવાહીથી એક વાત તો સાબિત કરી દીધી છે કે Power is perfect diplomacy.(શક્તિ સંપૂર્ણ કૂટનીતિ છે.) જેની સામે સીધી કાર્યવાહી કરવી પડે તેની સામે સીધી કાર્યવાહી, જેની સામે વ્યાપારીક હિતોને દબાવીને આગળ વધવાનું હોય તેની સામે ટેરિફ સહીતના શસ્ત્રોનું સંધાન કરવું હવે ટ્રમ્પની નીતિ બની ચુકી છે.
1989થી પાકિસ્તાન ભારત સામે આતંકવાદને સ્ટેટ પોલિસી તરીકે પાળી-પોષી રહ્યું છે. 1980માં જ્યારે અફઘાનિસ્તાનમાં સોવિયત સંઘની સેનાઓ હતી, ત્યારે કોલ્ડવોરના સમયગાળામાં અમેરિકા માટે પાકિસ્તાન પહેલા ખોળાનું બની ગયું હતું અને એન્ટિ-સોવિયત જેહાદથી શરૂ થયેલી આઈડિયોલોજિકલ વેપનની શરૂઆત 9/11ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા પર આવીને તેની ચરમસીમાએ પહોંચી.
9/11 બાદ પાકિસ્તાનનો અફઘાનિસ્તાનમાં ટેરર નેટવર્ક ખતમ કરવા માટે ઉપયોગ કરાયો અને અફઘાન પીસ પ્રોસેસમાં પણ અમેરિકાના હિતોને અબાધિત રાખીને બહાર નીકળવાનો રસ્તો ખુલ્લો કરવામાં પણ તેને વાપરવામાં આવ્યું.
અમેરિકાએ પાકિસ્તાનનો વપરાશ કર્યો છે, ત્યારે ભારતમાં આતંક વધ્યો છે
પણ તેની સાથે એ પણ તથ્ય કોઈ ખોટું પાડી શકે તેમ નથી કે જ્યારે જ્યારે અમેરિકાએ પાકિસ્તાનનો વ્યૂહાત્મક ઉપયોગ વધાર્યો છે, ત્યારે ત્યારે ભારતમાં ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં વધારો થયો છે. અમેરિકાના સુરક્ષા ચક્રમાં પાકિસ્તાને પ્રોક્સિ વૉર ઓપરેશન્સને વધુ મજબૂતાઈથી આગળ વધાર્યા છે અને તેનું કારણ તેને વોશિંગ્ટનની છત્રછાયામાં કોઈપણ પ્રકારના આંતરરાષ્ટ્રીય દુષ્પરિણામો અને ખતરનાક દંડાત્મક પગલાની કોઈ દરકાર રહી ન હતી. (જો કે ત્યારે ભારતમાં અલગ પ્રકારના વલણો ધરાવતી સરકારો સત્તામાં રહી છે. તે અલગ ચર્ચાનો વિષય છે.)
આવી સ્થિતિમાં પાકિસ્તાન સમર્થિત, પ્રેરીત અને પ્રાયોજિત આતંકી જૂથોને જમ્મુ-કાશ્મીરમાં આતંક માટે જાણે કે ખુલ્લુ મેદાન મળતું હતું. ચરાર-એ-શરીફથી લઈને જમ્મુ-કાશ્મીર વિધાનસભા પરના હુમલા સુધીની મોટીમોટી આતંકી ઘટનાઓ આની ગવાહી પુરે છે. આતંકીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં 1990ના દશકાના આખરથી લઈને 2000ના દાયકાની શરૂઆતમાં સૌથી વધુ જાનહાનિ નોંધાઈ છે.
આ સમયગાળામાં નાગરિકો, સુરક્ષાકર્મીઓ અને આતંકીઓ સહીત કુલ 41,000 મૃત્યુ નોંધાયા છે. પરંતુ અફઘાનિસ્તાનમાં અમેરિકા-પાકિસ્તાન વચ્ચેના સહયોગના એક નિર્ણાયક તબક્કે 2016માં ઉરી એટેક અને 2019માં પુલવામા એટેક થયા હતા. ઉરી બાદ ભારતે સર્જિકલ સ્ટ્રાઈકથી અને પુલવામા બાદ એરસ્ટ્રાઈકથી જવાબ આપ્યો હતો. પરંતુ અમેરિકા-પાકિસ્તાન વચ્ચેનો સહયોગ મજબૂત હોય તેવા સમયગાળામાં શાંતિ પ્રયાસો છતાં કારગીલ યુદ્ધ લડવાની સ્થિતિ આવી હતી, આવી જ કંઈક સ્થિતિ પેદા કરવાની પાકિસ્તાન પ્રેરીત ક્રોસ બોર્ડર ટેરરિઝ્મથી આગામી સમયમાં ઉભી થાય તો તેની સામે પુરી શક્તિથી સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે.
આ પણ વાંચો: હવે બાંગ્લાદેશ ખુદને માને છે પૂર્વ પાકિસ્તાન, ભારત સામે 'THREE FRONT WAR'ની સ્થિતિનો ખતરો?
વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા બાદ પાકિસ્તાન પર આતંકવાદ વિરોધી વૈશ્વિક દબાણ છતાં તેની ધરતી પર દહેશતગર્દોનું માળખું અને સહયોગ તેની જાસૂસી સંસ્થા આઈએસઆઈની કૃપાથી યથાવત રહ્યા. આવા જૂથોને આઈએસઆઈ દ્વારા તાલીમ, શસ્ત્રો અને નાણાંકીય જરૂરિયાતો પુરી કરાઈ રહી છે.
પહેલગામમાં 26 નિર્દોષોની હત્યા બાદ પાકિસ્તાની આતંકીઓ સામે 7 મે, 2025ના રોજ શરૂ થયેલા ઓપરેશન સિંદૂરે તેના સ્ટ્રેટજીક અને મિલિટ્રી લક્ષ્યોને નિર્ણાયકપણે પ્રાપ્ત કર્યા હતા. આ ઉદેશ્યો હતા કે આતંકના ષડયંત્રકારીોને સજા અપાય, તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ખાત્મો કરાય અને પાચં વર્ષ પહેલા બાલાકોટ એરસ્ટ્રાઈક દ્વારા પાકિસ્તાનની આતંકી હરકતો સામે ઉભો કરાયેલો પ્રતિરોધ ફરીથી સ્થાપિત કરાય.
ભારતે 10 મે, 2025ના રોજ ઘોષણા પણ કરી હતી કે કોઈપણ પ્રકારના આગામી આતંકી હુમલાને દેશ સામે યુદ્ધનું કૃત્ય માનવામાં આવશે અને તેના પ્રમાણે જવાબ અપાશે. આ એક વળાંક છે, દરેક હુમલાની સામે નિશ્ચિતપણે પ્રતિઘાત કરવાની નીતિને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સમીકરણો કાયમી ધોરણે બદલાઈ ગયા છે.
પરંતુ મુંબઈ, ઉરી, પુલવામા અને પહલગામ જેવા હાઈપ્રોફાઈલ આતંકી હુમલા અને જમ્મુ-કાશ્મીરમાં ઓછી તીવ્રતાની આતંકી હુમલાની ઘટનાઓ વચ્ચે ભેદ કરવો મહત્વનો રહેશે. જમ્મુ-કાશ્મીર 1989થી પાકિસ્તાન પ્રેરીત આતંકવાદથી ગ્રસિત છે. જમ્મુ-કાશ્મીરમાં આવી ઓછી તીવ્રતાના આતંકી હુમલાને પ્રતિરોધાત્મક શક્તિના નુકશાન તરીકે અર્થઘટિત કરી સકાય નહીં.
આની સાથે જ્યારે અમેરિકા પાકિસ્તાનનો વ્યૂહાત્મક ઉપયોગ શરૂ કરી ચુક્યું છે, ત્યારે તેના દ્વારા ભારતની સામેના પ્રોક્સિ વૉરને ચાલુ રાખીને તે તણાવ પણ યથાવત રાખશે. આવા સંજોગોમાં જમ્મુ-કાશ્મીરમાં ઓછી તીવ્રતના આતંકી હુમલા, ટાર્ગેટ કિલિંગ્સ, અંકુશ રેખા પર ટેક્ટિકલ એક્શન્સ અને ફાયરિંગ જેવી ઘટનાઓ વધવાની પણ આશંકા છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ એક્ટિવ
પોલીસ અને ઈન્ટેલિજન્સ રિપોર્ટને ટાંકીને આવેલા મીડિયા અહેવાલો મુજબ, જમ્મુ-કાશ્મીરમાં 61 વિદેશી સહીત 120 જેટલા આતંકવાદીઓ સક્રિય છે. આગામી કેટલાક મહિનાઓમાં અંકુશ રેખાથી આતંકીઓની ઘૂસણખોરીમાં પણ વધારો થવાની શક્યતા છે. જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પૂર્ણ રાજ્યના દરજ્જા માટે ગણગણાટ પણ થઈ રહ્યો છે.
અનુચ્છેદ-370 અને 35-એના બિનઅસરકારક કરીને 5 ઓગસ્ટ, 2020થી તેને લડાખ અને જમ્મુ-કાશ્મીર એમ બે કેન્દ્રશાસિતપ્રદેશોમાં વિભાજીત કરવામાં આવ્યું હતું. ત્યારથી પથ્થરમારા અને આતંકી ઘટનાઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે પાકિસ્તાન તેને વિવાદીત ક્ષેત્ર બનાવી રાખવા આવી પ્રવૃત્તિમાં વધારો કરવા પોતાના પ્રોક્સિને એક્ટિવ પણ કરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
આ સિવાય ભારતને અસ્થિર કરવાના બદઈરાદે નાર્કોટિક્સ સ્મગલિંગ, કોમી સૌહાર્દ ખોરવાય તેવી પ્રવૃત્તિ અને ભારતની નકલી કરન્સીની દાણોચોરી જેવી ઘટનાઓ પણ આકાર લઈ શકે છે.
પીઓકેમાં આતંકી છાવણીઓ બની
તાજેતરના મીડિયા રિપોર્ટ્સ અને ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ પ્રમાણે, ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં 15થી વધુ આતંકી છાવણીઓ અને લોન્ચ પેડ્સ ફરીથી સક્રિય થઈ ચુક્યા છે.
પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ અને સરકારની અન્ય એજન્સીઓ આના માટે અંદાજે 100 કરોડ પાકિસ્તાની રૂપિયા જેટલું ફંડિગ અને લોજિસ્ટિક સપોર્ટ પણ આપ્યો છે. આ નવા આતંકી કેમ્પ પ્રમાણમાં નાના અને કાઉન્ટર-સર્વિલાન્સવાળી સેટેલાઈટ માસ્કિંગ, રડારની નજરથી બચાવતી અને ડ્રોન જેવી અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ છે.
આ આતંકી છાવણીઓ પીઓકેના કેલ, શારડી, દુધનિયાલ, અતમુકમ, જુરા, લીપા વેલી, તંદાપાની, નય્યાલી, જનકોટ, ચાકોઠી અને અન્ય સ્થાનો પર આવેલા છે. આ સિવાય વધુ ચાર લોન્ચ પેડ્સ જમ્મુ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય સીમા પર પણ ફરીથી સક્રિય કરવામાં આવ્યા છે. ઓપરેશન સિંદૂર બાદ હવે આતંકીઓ 2 ડઝન જેટલા દહેશતગર્દ રહી શકે તેવા નાના કેમ્પ બનાવીને ભારતીય એજન્સીઓની નજરમાંથી બચવા તેને ઝડપથી આટોપી લેવાય તેવા પણ બનાવાયા છે.
યુદ્ધ એ જ કલ્યાણ?
આવી સુરક્ષા પરિસ્થિતિમાં ભારત માટે જમ્મુ-કાશ્મીરમાં પોતાની આતંક વિરોધી સૈન્ય તૈયારીઓને વધુ ઉચ્ચ દરજ્જાની કરીને યુદ્ધ કે તેના જેવી પરિસ્થિતિની સામે સજ્જ થવું પડશે. જમ્મુ-કાશ્મીર અને તેની બહાર ભારતના તમામ લોકોને ભારત આતંકવાદ સામે યુદ્ધની સ્થિતિમાં છે અને આ યુદ્ધની ઘાતકતા અને વ્યાપકતાથી પણ દેશના લોકોને શિક્ષિત કરવા પડશે. હાઈબ્રિડ વૉરના યુગમાં દેશે પૂર્ણ એકતા સાથે સુરક્ષાદળોની સાથે ખભેખભો મિલાવીને આ લડાઈ લડવી પડશે.


