સોમનાથ મંદિર તોડનાર મહમૂદ ગઝનવીના શહેર ગજનીને યદુવંશી ગજપતે વસાવ્યું હતું!
. ગજનીથી થયા છે ભારત પર મોટા આક્રમણો
. મહમૂદ ગઝનવી અને મોહમ્મદ ઘોરીએ કર્યા હતા હુમલા
.સોમનાથ મંદિરને મહમૂદ ગઝનવીએ 1026માં કર્યું હતું અપવિત્ર
આનંદ શુક્લ : અફઘાનિસ્તાનમાં આવેલા ગજની શહેરમાંથી ભારતમાં બે તબક્કામાં મોટા આક્રમણો થયા હતા. પહેલા તબક્કામાં ગુલામમાંથી શાસક બનેલા ગજનીના શાસક સુબક્તગીનના પુત્ર મહમૂદ ગજની દ્વારા ભારત પર 1000થી 1026 વચ્ચે કુલ 17 આક્રમણો થયા હતા. તેમાં અતિ-પવિત્ર સોમનાથ મંદિરને સૌથી પહેલી વખત કોઈ આક્રમણખોરે તોડયું હોય, તો તે મહમૂદ ગઝનવીએ તોડયું હતું. બીજા તબક્કામાં અફઘાનિસ્તાનના ઘોર પ્રાંતના શાસક અને ગજની જીતી લેનારા ઘોરી વંશના શાસક મુહમ્મદ ઘોરીએ પણ ભારત પર આક્રમણો કર્યા. દિલ્હીના શાસક પૃથ્વીરાજ ચૌહાનની તરાઈના બીજા યુદ્ધમાં હાર થઈ અને દિલ્હીમાં મુહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબકે મુસ્લિમ સલ્તનતની સ્થાપના કરી હતી. પણ તમને જાણીને નવાઈ લાગશે કે ગજનીમાંથી આક્રમણો કરીને ભારતમાં મંદિરો તોડનારા અને મુસ્લિમ સલ્તનત સ્થાપવામાં આવી, પણ આ શહેરની સ્થાપના શ્રીકૃષ્ણના વંશજ યદુવંશી ગજપતે સ્થાપના કરી હતી. આના કેટલાક ઉલ્લેખો જોઈએ.
1965માં પ્રકાશિત પુસ્તક પ્રભાસ અને સોમનાથ (લે. - શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ)ના પૃષ્ઠ ક્રમાંક - 141માં ભારતીય ઈતિહાસના પેટા-શીર્ષક હેઠળ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે "જાડેજાઓનો ઈતિહાસ જોતા જણાય છે કે શ્રીકૃષ્ણના મહારાણી રૂકિમણીના કુંવર પ્રધુમ્નના પુત્ર અનિરુદ્ધે શોણિતપુરના (બેબીલોન) બાણાસુરીપુત્રી ઉષા અથવા ઓખા સાથે લગ્ન કર્યા હતા. તેનો પુત્ર વજ્રાનાભ થયો. બાણાસુર અપુત્ર ગુજરી જતાં તેની ગાદી વજ્રાનાભને મળી અને તેનાથી 57મી પેઢીએ ગર્વગૌડ નામનો રાજા થયો."
ગજનીની સ્થાપનાનો ઈતિહાસ
આ ગર્વગૌડના સમયમાં રોમનોએ તેના રાજ્ય પર હુમલો કર્યો અને તેનું રાજ્ય છીનવી લેતા તેને કાબુલ પ્રદેશમાં આવીને સ્થિર થવું પડયું. 1965માં પ્રકાશિત પુસ્તક પ્રભાસ અને સોમનાથ (લે. - શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ)ના પૃષ્ઠ ક્રમાંક 141 પર લખવામાં આવ્યું છે કે "ગર્વગૌડના અનુગામી ભાણજી વિક્રમ સંવત 111(ઈ.સ.55)માં થયા, તેની 21મી પેઢીએ દેવવૃત યાદવ થયા તેમણે વિક્રમ સંવત 628માં ઈસ્લામનો પ્રચાર કરતા સૈન્ય સામે લડીને પ્રાણ અને રાજ્ય બંને ખોયા, તેના પુત્રો અસપત-અશ્વપતિ, નરપત-નરપતિ, ગજપત-ગજપતિ અને ભૂપત-ભૂપતિ થયા. અસપતે મીસર (ઈજીપ્ત)નું રાજ્ય પ્રાપ્ત કર્યું અને બીજા ત્રણ ભાઈઓ શામ (સીરિયા), ઈરાક, ઈરાન આદિ પ્રદેશોમાં રાજ્યો સ્થાપતા અને ગુમવાતા અંતે કાબુલ અને ખુરાસાન આવ્યા. ગજપતે અહીં સંવત 708(ઈ.સ.652)ના વૈશાખ સુદ ત્રીજના દિવસે શનિવારે રોહિણી નક્ષત્રમાં ગજના-ગીઝની-વસાવ્યું અને નરપતને ગાદી આપીને પોતાના પંદર પુત્રો સાથે હિંદમાં આવ્યા. નરપત જામ નરપત કહેવાયા. ભૂપતે ખુરાસાનમાં ગાદી સ્થાપી અને તેમના વંશજો ભાટી અથવા ભટ્ટી કહેવાયા અને તેમના વંશના શાસકે જેસલમેરમાં ગાદી સ્થાપી."
1965માં પ્રકાશિત પુસ્તક પ્રભાસ અને સોમનાથ (લે. - શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ)ના પૃષ્ઠ ક્રમાંક 142 પર એવું પણ કહેવામાં આવ્યું છે કે "ઈસ્લામનો પ્રાદુર્ભાવ ઈ.સ. 610માં થયો અને તે સમયમાં શોણિતપુરમાં દેવવૃત-દેવેન્દ્ર કે દેવ યાદવનું રાજ્ય હતું ને તે ગુમાવ્યા પછી તેના પરાક્રમી પુત્રોએ મધ્ય એશિયામાં ખુરાસાન અને કાબુલમાં નાના રાજ્યો સ્થાપ્યાં. જમીયુત તવારીખ મર્વના રાજ્યનો ઉલ્લેખ કરે છે તે આ પૈકીનું રાજ્ય હોઈ શકે."
શ્રીમદ ભાગવત દશમ સ્કંધના ઉતરાર્ધમાં શ્રીકૃષ્ણના અન્ય એક પટરાણી જાબુંવતીના પુત્ર સાંબ હોવાની પણ માન્યતા છે.
આને લઈને પુસ્તક સૌરાષ્ટ્રનો ઈતિહાસ (લે. - શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ, પ્રથમ આવૃત્તિ-1957, પ્રકાશક - શ્રી સૌરાષ્ટ્ર સંશોધન મંડળ, રાજકોટ)ના પૃષ્ઠ ક્રમાંક - 89માં ઉલ્લેખ કરાયો છે કે "કૃષ્ણચંદ્રની રણી જાંબુવંતીનો પુત્ર સાંબ થયો. તે શોણિતપુર (ઈજીપ્તનું કહેવાય છે, પણ અરબસ્તાનનું વર્તમાન સેના હોવાનો વિશેષ સંભવ છે)ના રાજા બાણાસુરના પ્રધાન કૌભાંડનીપુત્રી રામા સાથે પરણ્યો. તેનો પુત્ર ઉષ્ણિક થયો. યાદવાસ્થળી સમયે તે શોણિતપુર હતો. એટલે બચી ગયો. કૌભાંડ અપુત્ર ગુજરી જતા તે તેની ગાદીએ બેઠો. તેના વંશમાં તેનાથી 79મી પેઢીએ દેવેન્દ્ર નામે રાજા થયો. તે શોણિતપુરમાં ઈ.સ.ના છઠ્ઠા સૈકાામાં હયાત હતો. તેને ચાર કુંવરો થયા. 1. અસપત-અશ્વપતિ 2. ગજપત-ગજપત 3. નરપત- નરપતિ 4. ભૂપત-ભૂપતિ. હજરત અલીએ ઈસ્લામ પ્રચારના કારણે તેના પર ચડાઈ કરી. રાજા દેવેન્દ્ર સમરાંગણમાં સૂતો અને કુંવરો ભાગી છૂટયા. તેઓ શાખ અર્થાત વર્તમાન સીરિયામાં ગયા. અસપત (અશ્વપતિ વા ઉગ્રસેન) ત્યાં હાર્યો. તેણે ઈસ્લામ અંગીકાર કર્યો અને અન્ય ત્રણ ભાઈઓ દક્ષિણ તરફ ભાગ્યા. તેમણે આવીને અફઘાનિસ્તાન જીતી લીધું. ત્યાં ગજપતે સં. 708ની અક્ષય તૃતિયા, શનિવાર, રોહિણી નક્ષત્રમાં ગીઝની વસાવ્યું. પણ ગીઝનીપર ભાગ્યદેવી વિપરીત હતી. ખોરાસાનના સુલ્તાને તેના પર ચડાઈ કરી. ગજપત અમરક્ષેત્રમાં સૂતો. નરપતે તથા ભૂપતે સર્વે આશાઓ છોડીને ભારતમાં પ્રવેશ કર્યો."
ભૂપતના વંશજો પંજાબ ગયા
પુસ્તક સૌરાષ્ટ્રનો ઈતિહાસ (લે. - શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ, પ્રથમ આવૃત્તિ-1957, પ્રકાશક - શ્રી સૌરાષ્ટ્ર સંશોધન મંડળ, રાજકોટ)ના પૃષ્ઠ ક્રમાંક - 89ના ઉલ્લેખ મુજબ, "ભૂપતે પંજાબમાં આવીને સીલીંદ્રપુરનો પ્રદેશ જીતીને ત્યાં રાજધાની સ્થાપી, પણ ત્યાં પણ યોગ્ય ન જણાતા સતલજ ઉતરીને જેસલસર નામે શહેર, તનાટ અને દરવાલ ગામો વસાવીને રાજ્ય સ્થાપ્યું. તેમના વંશજો ભટ્ટી કહેવાયા."
નરપતના વંશજો સિંધ ગયા
પુસ્તક સૌરાષ્ટ્રનો ઈતિહાસ (લે. - શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ, પ્રથમ આવૃત્તિ-1957, પ્રકાશક - શ્રી સૌરાષ્ટ્ર સંશોધન મંડળ, રાજકોટ)ના પૃષ્ઠ ક્રમાંક - 89ના ઉલ્લેખ મુજબ, "નરપતે સિંધમાં આવી કેટલોક પ્રદેશ જીતીને ત્યાં નગરસમોઈ (સમાનું નગર) વસાવીને ત્યાં પોતાની રાજધાની સ્થાપિત કરી અને તેના વંશજો સમા કહેવાયા. જાડેજાઓ પણ આ વંશના છે."


