J J Mevada : પૂર્વ પોલીસ અધિકારી કમ રાજકારણી મેવાડા પાસે કરોડોની મિલકત, ACB નથી કરતી કાર્યવાહી
J J Mevada : પોલીસ સબ ઈન્સ્પેક્ટરથી નાયબ પોલીસ અધિક્ષક સુધીની Gujarat Police માં ફરજની સફર કરનારા જયંતીભાઈ જેઠાભાઈ મેવાડા છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજકારણમાં સક્રિય બન્યાં હતા. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (Arvind Kejriwal AAP) માં જોડાતાની સાથે જ લોકસભા-2014ની ચૂંટણી અને ત્યારબાદ બે વખત વિધાનસભામાં જે. જે. મેવાડા નસીબ અજમાવી ચૂક્યાં છે. ખાખીમાંથી ખાદીમાં કૂદકો મારનારા આ કોઈ પહેલાં પોલીસ અધિકારી નથી. રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ નિવૃત્ત પોલીસ અધિકારી કમ રાજકારણી સામે કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકતનો આરોપ લાગ્યો છે. મેવાડા સામે વર્ષ 2014થી ચાલી રહેલી તપાસમાં Gujarat ACB એ હજી સુધી કોઈ કાર્યવાહી કેમ કરી નથી તે એક મોટો સવાલ છે.
ખાખી બાદ ખાદી ધારણ કરનારા કોણ છે J J Mevada ?
ગુજરાત પોલીસ દળમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે જોડાયેલા અને ત્યારબાદ પોલીસ ઈન્સ્પેક્ટર અને ડીવાયએસપીનું પ્રમોશન મેળવીને J J Mevada વર્ષો અગાઉ ખાતમાંથી નિવૃત્ત થયા હતા. જયંતીભાઈ જેઠાભાઈ મેવાડા અમદાવાદમાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે. આ ઉપરાંત નશાબંધી અને આબકારી વિભાગ સાથે પોલીસ કામ કરતી હતી ત્યારે પણ તેઓ સેવા આપી ચૂક્યાં છે. પોલીસ વિભાગમાં પસંદગીના સ્થાનો પર નોકરી કરી ચૂકેલાં જે. જે. મેવાડાએ નિવૃત્તિ બાદ ગુજરાતમાં આવેલી કેજરીવાલની પાર્ટીમાં વર્ષ 2013માં જોડાયા અને ખાખી ઉપરાંત ખાદીધારીની ઓળખ મેળવી. વર્ષ 2014-લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ 2017 અને 2022માં અમદાવાદમાં વિધાનસભાની ચૂંટણીઓ આમ આદમી પાર્ટીના બેનર હેઠળ લડી ચૂક્યાં છે.
આપનો સાથ છોડી J J Mevada ભાજપમાં જોડાયા
લગભગ એક દસકા સુધી આમ આદમી પાર્ટી સાથે રહેલાં અને લોકસભા અને વિધાનસભાની ત્રણ-ત્રણ ચૂંટણી લડનારા Jayantibhai Jethabhai Mevada એ અચાનક જ ભાજપમાં જવાનો નિર્ણય લીધો. એપ્રિલ-2024માં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (C R Patil BJP) ની ઉપસ્થિતિમાં જયંતીભાઈ જેઠાભાઈ મેવાડાએ આમ આદમી પાર્ટીનો હાથ છોડી અન્ય નેતાઓની સાથે ભાજપનો ખેસ/ટોપી ધારણ કરી લીધી.
વર્ષ 2014માં પણ મેવાડા સામે લાગ્યા હતા આરોપ
ફરજ દરમિયાન જે. જે. મેવાડાએ ભ્રષ્ટાચાર આચરીને કરોડો રૂપિયાની સંપત્તિ એકઠી કરી હોવાની પ્રથમ ફરિયાદ વર્ષ 2014માં થઈ હતી. આ અરજદાર કોણ હતા તેની જાણ Gujarat First ને નથી, પરંતુ દસ્તાવેજોના આધારે આ હકિકત ધ્યાને આવી છે. વર્ષ 2014ની 27 જુલાઈના રોજ Gujarat ACB Chief એ ગાંધીનગર એસીબી પો.સ્ટેશન તરફ જે.જે.મેવાડા સામે લાગેલા આરોપની તપાસ મોકલી હતી. આરોપોની તપાસ અને જરૂરી માહિતી મેળવી SKYZ & Co ના ચાર્ટડ એકાઉન્ટન્ટ સુનિત જે. શાહનો તપાસ અધિકારીએ અભિપ્રાય મેળવી 19 ડિસેમ્બર 2022ના રોજ એસીબી ગુજરાતના વડાને વિગતવાર અહેવાલ મોકલી આપ્યો હતો. અત્રે નોંધનીય છે કે, વિગતવાર અહેવાલ બાદ પણ આખરી નિર્ણય હજી સુધી લેવાયો નથી.
ફરિયાદીએ મંજૂરી લાવવી પડે : Gujarat ACB
વર્ષ 2014માં લાગેલા આરોપોની તપાસ અને તેનો અહેવાલ આખરી નિર્ણય માટે એસીબી ડાયરેક્ટર પાસે પડી રહ્યો હતો તે ગાળામાં ફરી એક વખત જે. જે. મેવાડા સામે આરોપ લાગ્યા. વિરલગીરી ગોસ્વામીએ વર્ષ 2022માં અરવલ્લી-મોડાસા કોર્ટમાં જયંતીભાઈ જે. મેવાડા અને પરિવારજનો સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ફરિયાદ કરતા વર્ષ 2023માં અદાલતે એસીબીને પ્રાથમિક તપાસ કરવા હુકમ કર્યો. સપ્ટેમ્બર-2024માં વિરલગીરી ગોસ્વામી (Viralgiri Goswami) નું એસીબીએ નિવેદન નોંધ્યું હતું. ગત 25 ઑગસ્ટના રોજ અરવલ્લી કોર્ટે આક્ષેપિતોની મિલકત શા માટે જપ્ત ન કરવી તે બાબતની કારણદર્શક નોટિસ કાઢવા હુકમ કર્યો હતો. આ હુકમ બાદ ગુજરાત એસીબી અને જે.જે.મેવાડા સમાચારમાં ચમક્યા. Gujarat First એ આ મામલે એસીબીનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે, ખાનગી વ્યક્તિ અદાલતમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ફરિયાદ કરવા ઇચ્છે તો તેણે જે-તે વિભાગના વડાની મંજૂરી (પ્રોસીક્યુશન મંજૂરી) લેવી પડે. આ મંજૂરી લાવવાની જવાબદારી પણ ખાનગી વ્યક્તિની જ હોય છે.