Ahmedabad Police : 3.77 કરોડની ઉચાપતની 7 મહિને FIR, આરોપી પકડાયો પણ રિકવરી શૂન્ય
Ahmedabad Police : ભોગ બનનાર માટે પોલીસ ફરિયાદ નોંધાવવી 'લોઢાના ચણા ચાવવા' સમાન બની ગઈ છે. અમદાવાદ પોલીસ (Ahmedabad Police) હોય કે, રાજ્યના અન્ય જિલ્લા કે શહેર પોલીસ બધે કાગડા કાળા જ છે. Gujarat Police પાસે કાગળ પર ગુનાખોરી ઘટાડવાનો આ એક માત્ર સરળ ઉપાય છે અરજી. Ahmedabad Police ના ચોપડે તાજેતરમાં કરોડો રૂપિયાની ઉચાપતની એક FIR નોંધાઈ છે. કંપનીના કર્મચારીએ કરેલો વિશ્વાસઘાત અને છેતરપિંડીની જાહેરાત થયાના સાતેક મહિના બાદ 29 જાન્યુઆરી 2025ના રોજ નોંધાયેલી ફરિયાદ Ahmedabad Police ની ઉત્તમ કામગીરીનો એક નમૂનો છે.
8 જુલાઈ-2024ના રોજ ઉચાપતની અરજી લેવાઈ
પશ્ચિમ અમદાવાદ (West Ahmedabad) ના પ્રહલાદનગર ગાર્ડન પાસે સંપદા બંગ્લોઝમાં રહેતા મુકેશકુમાર ચૌધરીએ વર્ષ 2024ની 8 જુલાઈના રોજ કાલુપુર પોલીસ સ્ટેશનમાં 3.66 કરોડની ઉચાપતની ફરિયાદ આપી હતી. કાલુપુર રેવડી બજાર ખાતે ઑફિસ ધરાવી જુદીજુદી કંપનીઓના નામે મુકેશ ચૌધરી એન્જિનીયરિંગ ટુલ્સનો વેપાર કરે છે. મુકેશકુમારની તમામ કંપનીઓના એકાઉન્ટન્ટ તરીકે ધ્રુવ અરૂણકુમાર ભાવસાર દસેક વર્ષથી ફરજ બજાવતો હતો. જૂન-2024માં મુકેશકુમારના પુત્ર દ્રોણને કંપનીના કામે ચીન જવાનું હોવાથી ધ્રુવ ભાવસાર પાસે કોટક મહિન્દ્ર બેંક (Koatak Mahindra Bank) ના ત્રણ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ માગ્યું હતું. જો કે, ધ્રુવે અન્ય બેંકનું સ્ટેટમેન્ટ કઢાવી આપતા દ્રોણને શંકા જતા તમામ બેંકના સ્ટેટમેન્ટ આપવા કહ્યું હતું. ત્રણેક દિવસ બાદ બંધ કવરમાં બેંક સ્ટેટમેન્ટ આવતા દ્રોણ ચૌધરીએ તેમના મેનેજર ધર્મેશ શાહને તમામ સ્ટેટમેન્ટ તપાસ કહ્યું હતું. કોટક મહિન્દ્રા બેંકના સ્ટેટમેન્ટમાં ગરબડ હોવાનું જણાતા કંપનીના સીએ દ્વારા ઑનલાઈન સ્ટેટમેન્ટ કઢાવાતા ધ્રુવ ભાવસારે કરોડોની ઉચાપત કરી હોવાનો ભાંડો ફૂટ્યો હતો. એકાદ વર્ષના ગાળામાં ધ્રુવ ભાવસારે પોતાના તેમજ પિતાના બેંક એકાઉન્ટમાં રૂપિયા 4.04 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી હતી. જ્યારે 26.49 લાખ રૂપિયા કંપનીના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. બેંક એકાઉન્ટમાં થયેલા વ્યવહારોના આધારે કુલ રૂપિયા 3 કરોડ 77 લાખ 81 હજાર 582 રૂપિયાની ઉચાપત ધ્રુવ ભાવસારે કરી હતી.
21 ઑગસ્ટના રોજ PIએ ગુનો નોંધવા મંજૂરી માગી
કાલુપુર પોલીસ સ્ટેશનમાં લેવાયેલી અરજી અંગે ધ્રુવ ભાવસારની તેમજ બેંક એકાઉન્ટોની તપાસ કરતા 3.77 કરોડની ઉચાપત થઈ હોવાની ખરાઈ થઈ હતી. ધ્રુવ ભાવસારે સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયા (Central Bank of India) અને યુનિયન બેંક ઑફ ઈન્ડિયા (Union Bank of India) તેમજ સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (State Bank of India) માં આવેલા પિતા અરૂણકુમારના ખાતામાં 4.04 કરોડ રૂપિયાથી વધુ ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે 26.49 લાખ રૂપિયા કંપનીના બેંક એકાઉન્ટમાં પરત પણ કર્યા હતા. આરોપીના નિવેદન તેમજ બેંક વ્યવહારોની તપાસ બાદ કાલુપુર પીઆઈ એચ. આર. વાઘેલા (PI H R Vaghela) એ ગુનો નોંધવાની 21 ઑગસ્ટ 2024ના રોજ મંજૂરી માગી હતી. પોલીસ કમિશનર અમદાવાદ (CP Ahmedabad), અધિક પોલીસ કમિશનર સેક્ટર-1, ડીસીપી ઝોન-3 અને એસીપી ડી ડિવિઝનને કાલુપુર પીઆઈએ ગુનો બનતો હોવાનો વિગતવાર પત્ર લખ્યો હતો. ગત 31 ઑગસ્ટ 2024ના રોજ કાલુપુર પીઆઈ (Kalupur PI) એ એસીપી ડી ડિવિઝન પાસે ગુનો નોંધવાની મંજૂરી માગતો પત્ર લખ્યો હતો.
160 દિવસ બાદ ગુનો નોંધવા મંજૂરી મળી
અધધ રૂપિયા 3 કરોડ 77 લાખ રૂપિયાની ઉચાપત, વિશ્વાસઘાત અને છેતરપિંડીના કિસ્સામાં Ahmedabad Police ના ઉચ્ચ અધિકારીઓએ 160 દિવસ બાદ ગુનો નોંધવા મંજૂરી આપી છે. અરજીના સાતેક મહિના બાદ ફરિયાદ અને ગુનો નોંધવાની મંજૂરીમાં પાંચ મહિના જેટલો લાંબો વિલંબ થયો છે. કરોડોના કેસમાં ફરિયાદ નોંધવામાં આટલા લાંબા વિલંબનું કારણ જાણવા Gujarat First એ પ્રયાસ કર્યો હતો. કાલુપુર પીઆઈ હેમેન્દ્રસિંહ રણજીતસિંહ વાઘેલાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ બાદ બેએક વખત સમગ્ર પ્રકરણ પૂર્તતા માટે આવ્યું હતું.
રોલેટ/ચકરડીની ગેમના સટ્ટામાં કરોડો ગુમાવ્યા
વર્ષ 2022થી રોલેટ (Roulette) ગેમમાં ઑનલાઈન જુગાર રમતા ધ્રુવ ભાવસારે અનેક રૂપિયા ગુમાવ્યા હતા. જુલાઈ-2023થી ધ્રુવ ભાવસારે માલિક મુકેશ ચૌધરીની કંપનીના બેંક એકાઉન્ટમાંથી પોતાના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરીને રોલેટ/ચકરડીનો જુગાર રમવાનું શરૂ કર્યું હતું. એક વર્ષમાં ધ્રુવ ભાવસારે ચકરડીના જુગારમાં 3.77 કરોડ રૂપિયાથી વધુ ગુમાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. કાલુપુર પોલીસે આરોપી ધ્રુવ ભાવસાર (રહે. રિયલ ઓરા સોસાયટી, ચાંદખેડા ગામ, અમદાવાદ) ની ચારેક દિવસ અગાઉ ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જો કે, હજુ સુધી આરોપી પાસેથી કોઈ પણ રિકવરી થઈ શકી નથી.
આ પણ વાંચો : ચકચારી BZ Ponzi Scam ની તપાસમાંથી CA દુર્ગેશ પાંડેયને રાતોરાત હટાવી દેવાયા