પર્યાવરણ સંરક્ષણને જનઆંદોલનનું સ્વરૂપ આપવા અને હરિયાળા ભવિષ્યના નિર્માણ માટે કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shahના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં આગામી 12 જુલાઈ, 2026ના રોજ વિશાળ 'સામૂહિક વૃક્ષારોપણ અભિયાન' યોજાવા જઈ રહ્યું છે.'ગાંધીનગર લોકસભા – હરિયાળી લોકસભા'ના સંકલ્પ સાથે આયોજિત આ મહાઅભિયાનમાં લાખો નાગરિકોને પરિવારના દરેક સભ્યના નામે ઓછામાં ઓછો એક છોડ વાવી તેના જતનનો સંકલ્પ લેવા આહ્વાન કરવામાં આવ્યું છે. માત્ર વૃક્ષારોપણ પૂરતું નહીં, પરંતુ વૃક્ષોના ઉછેર અને લાંબા ગાળાના સંરક્ષણને પણ આ અભિયાનનો મુખ્ય આધાર બનાવવામાં આવ્યો છે.
Amit Shah Tree Plantation Campaign : 1,01,10,026 વૃક્ષો વાવવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક
વર્ષ 2026-27 દરમિયાન ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર હેઠળ આવતી તમામ સાત વિધાનસભા બેઠકોમાં મળીને 1,01,10,026 વૃક્ષો વાવવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તેમાં સૌથી વધુ 52.64 લાખ વૃક્ષોનું વાવેતર સાણંદ વિધાનસભા વિસ્તારમાં કરવામાં આવશે. ઉપરાંત કલોલ, ગાંધીનગર (ઉત્તર) સહિતના વિસ્તારોમાં પણ લાખોની સંખ્યામાં વૃક્ષો વાવી સમગ્ર લોકસભા ક્ષેત્રનો હરિત વિસ્તાર નોંધપાત્ર રીતે વધારવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે.
આ પહેલ પાછળનો સૌથી મહત્વપૂર્ણ આધાર અગાઉના વર્ષોમાં થયેલી સફળતા છે. વર્ષ 2019થી 2025 દરમિયાન સતત અને આયોજનબદ્ધ રીતે હાથ ધરાયેલા વૃક્ષારોપણના પરિણામે ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના ગ્રીન કવરમાં 11.25 ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ આંકડો દર્શાવે છે કે સતત અને વૈજ્ઞાનિક અભિગમ સાથે કરવામાં આવતું વૃક્ષારોપણ પર્યાવરણ પર અસરકારક પરિણામ આપી રહ્યું છે.
અત્યાર સુધીમાં 94 જેટલા હાઈ-ટેક 'ઑક્સિજન પાર્ક' વિકસાવવામાં આવ્યા
શહેરી વિસ્તારોમાં હરિયાળી વધારવા માટે પણ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં અત્યાર સુધીમાં 94 જેટલા હાઈ-ટેક 'ઑક્સિજન પાર્ક' વિકસાવવામાં આવ્યા છે. સાબરમતી, ગોતા, થલતેજ, બોડકદેવ, સરખેજ, વેજલપુર સહિતના વિવિધ વિસ્તારોમાં જાપાનની પ્રખ્યાત મિયાવાકી-Miyawaki પદ્ધતિ તેમજ ઘનિષ્ઠ વાવેતર તકનીકનો ઉપયોગ કરીને ટૂંકા સમયમાં જ અર્બન ફોરેસ્ટ ઊભા કરવામાં આવ્યા છે. આ પાર્કો શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવા, તાપમાન ઘટાડવા અને જૈવવૈવિધ્ય વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
પરિવારના સભ્યોના નામે ઓછામાં ઓછો એક છોડ વાવી તેના ઉછેરની જવાબદારી
આગામી 12 જુલાઈએ યોજાનારા સામૂહિક વૃક્ષારોપણ અભિયાનમાં વધુમાં વધુ જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ઓનલાઈન નોંધણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નાગરિકો પોતાના નજીકના નિર્ધારિત સ્થળે જઈને વૃક્ષારોપણમાં ભાગ લઈ શકશે તેમજ અભિયાન સાથે જોડાવા માટે સત્તાવાર વેબસાઇટ પર નોંધણી કરાવી શકશે. આયોજકો દ્વારા દરેક નાગરિકને પરિવારના સભ્યોના નામે ઓછામાં ઓછો એક છોડ વાવી તેના ઉછેરની જવાબદારી સ્વીકારવા અનુરોધ કરવામાં આવ્યો છે.
વૈશ્વિક સ્તરે વધી રહેલા આબોહવા પરિવર્તન અને પર્યાવરણીય પડકારો વચ્ચે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં હાથ ધરાયેલું આ મહાઅભિયાન માત્ર વૃક્ષો વાવવાનો કાર્યક્રમ નથી, પરંતુ હરિયાળા અને સ્વસ્થ ભવિષ્ય તરફનું એક સામૂહિક જનઆંદોલન છે. સરકાર અને સમાજના સંયુક્ત પ્રયાસોથી જો દરેક નાગરિક વૃક્ષારોપણ સાથે તેના જતનની પણ જવાબદારી નિભાવે, તો આવનારી પેઢીઓને વધુ સ્વચ્છ, હરિયાળું અને પર્યાવરણમૈત્રી ભારત આપવાનો સંકલ્પ ચોક્કસપણે સાકાર થઈ શકે છે.
આ પણ વાંચો : Ahmedabad Rath Yatra 2026: અમદાવાદ રથયાત્રાની સુરક્ષાનો જબરદસ્ત પ્લાન, DYCM હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં મળશે મહત્વની રિવ્યુ બેઠક