Ayushman Arogya Mandir :ગાંધીનગર જિલ્લાના ૩ આયુષ્માન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય NQAS સર્ટિફિકેટ એનાયત કરાયું
Ayushman Arogya Mandir : ગાંધીનગરના શાહપુર, કાંઠા અને વેડા આયુષ્માન આરોગ્ય મંદિરને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય 'NQAS' સર્ટિફિકેટ મળ્યું છે.
ગુજરાત સરકારના ‘સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાત’ના સંકલ્પને સાકાર કરતી એક ખૂબ જ આનંદદાયક અને ગૌરવપૂર્ણ સિદ્ધિ સામે આવી છે. ગાંધીનગર(Gandhinagar) જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આવેલ શાહપુર, કાંઠા અને વેડા આયુષ્માન આરોગ્ય મંદિરને તેમની ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય સેવાઓ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય 'NQAS' (National Quality Assurance Standards) સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. આ કેન્દ્રોએ સાબિત કરી બતાવ્યું છે કે સરકારી આરોગ્ય કેન્દ્રો પણ કોર્પોરેટ કક્ષાની ઉત્તમ સુવિધાઓ સામાન્ય નાગરિકોને ઘરઆંગણે પૂરી પાડી શકે છે.
Ayushman Arogya Mandir : તમામ 12 કઠિન માપદંડો સફળતાપૂર્વક પાર કરીને રાષ્ટ્રીય સ્તરે 90 ટકાથી વધુનો શાનદાર સ્કોર
કેન્દ્રીય ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા અત્યંત કડક અને ઝીણવટભર્યા વર્ચ્યુઅલ એસેસમેન્ટમાં આ ત્રણેય કેન્દ્રો સંપૂર્ણપણે ખરાં ઊતર્યાં છે. નેશનલ હેલ્થ સિસ્ટમ્સ રિસોર્સ સેન્ટર (NHSRC)ના મૂલ્યાંકનમાં આ કેન્દ્રોએ તમામ 12 કઠિન માપદંડો સફળતાપૂર્વક પાર કરીને રાષ્ટ્રીય સ્તરે 90 ટકાથી વધુનો શાનદાર સ્કોર મેળવ્યો છે, જે રાજ્યના મજબૂત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રતીતિ કરાવે છે.
ઘરઆંગણે વિનામૂલ્યે અને શ્રેષ્ઠ સારવાર
આ ત્રણેય આયુષ્માન આરોગ્ય મંદિરો ગ્રામીણ વિસ્તારના નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે. અહીં સ્થાનિક પરિવારોને મોંઘી ખાનગી હોસ્પિટલોના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે. કેન્દ્રો ખાતે:
નિષ્ણાત તબીબી સલાહ
તમામ પ્રકારના જરૂરી લેબોરેટરી ટેસ્ટ
તમામ આવશ્યક દવાઓ આ તમામ સુવિધાઓ તદ્દન વિનામૂલ્યે (નિઃશુલ્ક) પૂરી પાડવામાં આવે છે.
પાયાની અને ગંભીર રોગોની સ્વાસ્થ્ય સેવાઓ
આ કેન્દ્રોમાં પ્રાથમિક સારવાર ઉપરાંત વિશેષ સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે, જેવી કે:
1.મૌખિક સ્વાસ્થ્ય (Oral Health)
2.સગર્ભા મહિલાઓની વિશેષ સારસંભાળ
3.નવજાત શિશુઓની સુરક્ષા અને રસીકરણ
4.ટીબી (TB) નાબૂદી જેવા રાષ્ટ્રીય કાર્યક્રમોનું સફળ અમલીકરણ
આ ઉપરાંત, આધુનિક જીવનશૈલીના ગંભીર અને બિન-ચેપી રોગો (NCD) જેવા કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કેન્સરનું પ્રારંભિક તબક્કે જ નિઃશુલ્ક સ્ક્રીનિંગ કરીને ગ્રામજનોને ગંભીર બીમારીઓનો ભોગ બનતા અટકાવવામાં આવી રહ્યા છે.
અધિકારીઓ અને સ્થાનિકોના પ્રતિભાવો
સ્થાનિક રજૂઆત અને જનતાનો સંતોષ: સ્થાનિક નિવાસીઓ હિતેન્દ્ર રાઠોડ અને સંગીતાબેન પ્રજાપતિએ કેન્દ્રની સુવિધાઓ અંગે અત્યંત સંતોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે મફત દવાઓ અને ટેસ્ટને લીધે સામાન્ય પરિવારો પરથી આર્થિક બોજ હળવો થયો છે.
તબીબોનો ઉત્સાહ: શાહપુર કેન્દ્રના સીએચઓ ડૉ. કીર્તિદાસ ચૌધરી અને વેડા કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. ઝાહીદના જણાવ્યા મુજબ, ક્વોલિટી સ્ટાન્ડર્ડ જાળવી રાખીને છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવી એ જ તેમનો મુખ્ય ધ્યેય રહ્યો છે.
વહીવટી મોનિટરિંગ: જિલ્લા પંચાયત-ગાંધીનગરના જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડૉ. ધર્મેશ પરીખના મતે, આ સફળતા યોગ્ય પ્લાનિંગ અને સ્ટાફની મહેનતનું પરિણામ છે જે રાષ્ટ્રીય સ્તરે નોંધાઈ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના સક્ષમ માર્ગદર્શન હેઠળ ગુજરાતનું હેલ્થ સેક્ટર સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. ગાંધીનગર જિલ્લાના શાહપુર, કાંઠા અને વેડા આયુષ્માન આરોગ્ય મંદિરની આ રાષ્ટ્રીય સિદ્ધિ માત્ર જિલ્લા પૂરતી સીમિત નથી, પરંતુ તે આજે રાજ્યના અન્ય તમામ જિલ્લાઓ માટે ગ્રામીણ સ્વાસ્થ્ય સેવાઓ સુધારવા માટે એક ઉત્તમ 'રોલ મોડેલ' Roll Model બનીને ઉભરી આવી છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સમગ્ર તબીબી ટીમ અને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અભિનંદનને પાત્ર છે.

