Gandhinagar News: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે તેમના 65મા જન્મદિવસના અવસરે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને એક વિશેષ સંકલ્પ લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીભાઈ દ્વારા શરૂ કરવામાં આવેલ 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત વિશેષ મહાપૂજા માટે નોંધણી કરાવી છે.
CM પટેલે જન્મદિવસ પર સોમનાથ મહાદેવના કર્યા વર્ચ્યુઅલ દર્શન
મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગેની માહિતી શેર કરતા જણાવ્યું હતું કે, તેમને આજે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના રૂદ્રાભિષેક અને વિશેષ પૂજનમાં ભાગ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તેમણે જણાવ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં જ સોમનાથ મંદિરે રૂબરૂ જઈને મહાદેવના દર્શન કરવા માટે ઉત્સુક છે.
શું છે 'સ્વાભિમાન પર્વ'?
સોમનાથ મંદિરના ઈતિહાસમાં આ વર્ષ અત્યંત મહત્વનું છે. સને 1026માં મંદિર પર થયેલા આક્રમણના 1000 વર્ષ અને 1951માં થયેલી મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સાહસિક ગાથાને જીવંત રાખવા 'મિલેનિયલ યજમાન' અભિયાન હેઠળ આ વિશેષ મહાપૂજાનો પ્રારંભ કરાવ્યો છે. વડાપ્રધાને દેશવાસીઓને સોમનાથની મુલાકાત લેવા આહવાન કર્યું છે, જ્યાં ભારતની અપરાજિત ભાવના અને સભ્યતાના ચેતનવંતા ધબકારા અનુભવી શકાય છે.
શ્રદ્ધાળુઓ માટે દિવસભરનો કાર્યક્રમ
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત 'સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજા'માં ભક્તો સવારથી સાંજ સુધી વિવિધ વિધિઓનો લાભ લઈ શકે છે.
08:00 AM: સંકલ્પ અને ધ્વજા પૂજા.
08:35 AM: ધ્વજા પરિક્રમા અને વિશેષ અભિષેક (દુગ્ધ, ધાન્ય અને ગંગાજળ).
શૃંગાર:મહાદેવને ધોતી, ઉપવસ્ત્ર, રુદ્રાક્ષની માળા, જનોઈ તથા 1008 બિલ્વપત્ર અર્પણ.
09:50 AM: ગૌશાળા ખાતે ગૌ પૂજન અને 1000 મહામૃત્યુંજય મંત્રના જાપ.
11:45 AM: રાજભોગ થાળના દર્શન અને 12:30 PM એ બ્રાહ્મણ ભોજન.
06:15 PM: સાંજની આરતી પૂર્વે દીપમાળા દર્શન.
યજમાનો માટે વિશેષ સન્માન અને સુવિધાઓ
આ મહાપૂજાના સમયે યજમાનની છડી પુકારવામાં આવશે અને ચાંદીના અલગ-અલગ થાળમાં વસ્ત્ર, નૈવેદ્ય, પવિત્ર અભિષેક દ્રવ્ય અને ધ્વજાજીને અલંકૃત કરી સભામંડપમાં વિશેષ પૂજા કરવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા યજમાન પરિવારને સાગર દર્શનમાં 02 રૂમ, ચા, નાસ્તો અને ભોજનની સગવડ પૂરી પાડવામાં આવે છે. પૂજા માટે યજમાનને ધોતી અને ઉપવસ્ત્ર પણ આપવામાં આવે છે.
જો કોઈ યજમાન રૂબરૂ ન આવી શકે, તો ટ્રસ્ટ દ્વારા તેમના મોબાઈલ પર ઓનલાઈન લિંક મોકલવામાં આવશે, જેથી તેઓ ઘરે બેઠા પૂજામાં જોડાઈ શકે. વેરાવળ સ્ટેશન પર સવારે 06 થી 07 વાગ્યા વચ્ચે આવતી બે ટ્રેનોના યજમાનો માટે સોમનાથ પહોંચવા ફ્રી ટ્રાન્સપોર્ટની સુવિધા પણ ગોઠવવામાં આવી છે.
રજીસ્ટ્રેશન માટેની માહિતી
આ પવિત્ર મહાપૂજામાં ભાગ લેવા ઈચ્છતા ભક્તો ઓનલાઈન somnath.org પર જઈને નોંધણી કરાવી શકે છે.
આ પણ વાંચો: Ahmedabad Rathyatra 2026: અમદાવાદ રથયાત્રા પૂર્વે PM મોદીએ જાળવી પરંપરા, જગન્નાથ મંદિરે મોકલ્યો વિશેષ પ્રસાદ