Gandhinagar: ટાઇફોઇડના કેસનો આંકડો 132 પર પહોંચ્યો, જાણો નાયબ મુખ્યમંત્રીએ શું કહ્યું?
- Gandhinagar: દૂષિત પાણીને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું નિવેદન
- “જિલ્લા અને મહાનગરપાલિકા દ્વારા ટીમો બનાવવામાં આવી”
- અત્યાર સુધીમાં 367 પાણીના નમૂનાના ટેસ્ટ કરવામાં આવ્યા: હર્ષભાઈ
Gandhinagar Typhoid Case Update:ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દૂષિત પાણીના કારણે ફેલાયેલા રોગચાળાએ વહીવટી તંત્રની ઊંઘ બગાડી છે. ખાસ કરીને ટાઈફોઈડના કેસો (Typhoid Cases) માં થઈ રહેલા સતત વધારાને પગલે રાજ્ય સરકાર હરકતમાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harshabhai Sanghvi) એ આજે એક મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરકાર આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તમામ સ્તરે પ્રયાસો કરી રહી છે.
તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિગતો આપતા જણાવ્યું કે, દૂષિત પાણી (Contaminated Water) ની સમસ્યાના મૂળ સુધી પહોંચવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે વિશેષ ટીમો બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાણીના 367 નમૂનાઓ લેવામાં આવ્યા છે અને તેના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેથી પ્રદૂષણના સ્ત્રોતને ઓળખી શકાય.
Gandhinagar: આરોગ્ય અને સારવારની વ્યવસ્થા
રોગચાળાનો ભોગ બનેલા નાગરિકોની સારવાર માટે તંત્રએ કોઈ કચાશ બાકી રાખી નથી. હર્ષભાઈ સંઘવીના જણાવ્યા અનુસાર, 22 નિષ્ણાત ડોક્ટરોની ટીમ ખાસ તૈનાત કરવામાં આવી છે જે સતત દર્દીઓની દેખરેખ રાખી રહી છે. આ ઉપરાંત, હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગાં-વહાલાઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેમના રહેવા અને જમવાની (ખાવા-પીવાની) સંપૂર્ણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું સતત મોનિટરિંગ
આ ઘટનાની ગંભીરતાને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Amitbhai Shah) પોતે સમગ્ર સ્થિતિ પર સીધી નજર રાખી રહ્યા છે. હર્ષભાઈએ જણાવ્યું કે, અમિતભાઈ શાહ રાજ્ય સરકાર અને ગાંધીનગર કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. તેઓ દર કલાકે પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.
આ પણ વાંચોઃ Gandhinagar: ટાઈફોઈડને રોકવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ એક્શનમાં, જાણો શું આપ્યા આદેશ!
કેસની સ્થિતિ અને સર્વેલન્સ
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસોનો આંકડો હવે 132 પર પહોંચ્યો છે, જે ચિંતાનો વિષય છે. જોકે, રાહતની વાત એ છે કે સારવાર બાદ 7 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રોગચાળાને વધુ ફેલાતો અટકાવવા માટે મહાનગરપાલિકા દ્વારા 75 સર્વેલન્સ ટીમો બનાવવામાં આવી છે, જેઓ ઘરે-ઘરે જઈને લોકોના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે અને ક્લોરીન ટેબલેટ તેમજ શુદ્ધ પાણીના વપરાશ અંગે જાગૃતિ ફેલાવી રહી છે. વહીવટી તંત્રએ નાગરિકોને પાણી ઉકાળીને પીવાની અને સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવાની અપીલ કરી છે.
આ પણ વાંચોઃ Gandhinagar: 24 કલાકમાં ટાઇફોઈડના નવા 9 દર્દીઓ દાખલ, સૌથી વધુ બાળકો! જાણો શું છે સ્થિતિ!


