Gandhinagar માં ટ્રાફિક સિગ્નલનું સંચાલન હવે AI પાસે, આ રીતે કરશે ટ્રાફિક કંટ્રોલ!
- Gandhinagar માં ટ્રાફિક સિગ્નલનું સંચાલન હવે AI કરશે
- PDPU રોડ પર હેપીનેસ સર્કલ પર AI આધારિત ટ્રાફિક સિગ્નલ
- AI કંટ્રોલર રિયલ ટાઇમમાં વાહનોની સંખ્યાનું વિશ્લેષણ કરશે
Gandhinagar AI Traffic Management: ગાંધીનગરના પીડીપીયુ (PDPU) રોડ પર આવેલા હેપીનેસ સર્કલ ખાતે ટ્રાફિકના ભારણને હળવું કરવા માટે રાજ્યમાં પ્રથમવાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence) આધારિત સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત એઆઈ કંટ્રોલર (AI Controller) દ્વારા રિયલ ટાઈમમાં વાહનોની સંખ્યાનું ચોકસાઈપૂર્વક વિશ્લેષણ (Analysis) કરવામાં આવશે. અત્યાર સુધી સિગ્નલનો સમય નિશ્ચિત હતો, પરંતુ હવે એઆઈ નક્કી કરશે કે કયા માર્ગ પર ટ્રાફિક વધુ છે અને તે મુજબ જે-તે બાજુનું સિગ્નલ આપમેળે (Automatically) ચાલુ કે બંધ થશે. આ ટેકનોલોજીના કારણે જંકશન પર વાહનચાલકોને બિનજરૂરી સમય સુધી ઉભા રહેવું પડશે નહીં અને ઈંધણની પણ બચત થશે.
ગુજરાતનું પ્રથમ ઈલ્યુમિનેટેડ LED જંકશન
આ જંકશનની સૌથી મોટી વિશેષતા તેના ઈલ્યુમિનેટેડ એલઈડી પોલ (Illuminated LED Poles) છે, જે આખા ગુજરાતમાં પ્રથમવાર અહીં પ્રાયોગિક ધોરણે લગાવવામાં આવ્યા છે. હેપીનેસ સર્કલ પર ખાસ પ્રકારના કેન્ટિલિવર સિગ્નલ પોલ (Cantilever Signal Pole) સ્થાપિત કરવામાં આવ્યા છે, જે રાત્રિના સમયે સમગ્ર પોલ પ્રકાશિત થવાને કારણે દૂરથી પણ વાહનચાલકોને સ્પષ્ટ દેખાશે. આ આધુનિક ડિઝાઇનથી રસ્તાની દ્રશ્યતા (Visibility) વધશે અને અકસ્માતની સંભાવનાઓ ઘટશે. આ સિસ્ટમ માત્ર ટ્રાફિકનું નિયમન જ નથી કરતી, પરંતુ શહેરની સુંદરતામાં પણ વધારો કરે છે.
ખરાબ હવામાનમાં પણ સલામત મુસાફરી
ચોમાસામાં ભારે વરસાદ કે શિયાળામાં ગાઢ ધુમ્મસ (Fog) જેવી સ્થિતિમાં સામાન્ય રીતે ટ્રાફિક સિગ્નલ જોવામાં મુશ્કેલી પડતી હોય છે, પરંતુ આ સ્પેશિયલ એલઈડી લાઈટ્સની તીવ્રતા એવી રીતે ગોઠવવામાં આવી છે કે ગમે તેવા ખરાબ હવામાનમાં (Bad Weather) પણ ચાલકો દૂરથી સિગ્નલ ઓળખી શકશે. આ એઆઈ સિસ્ટમ ટ્રાફિકની ગીચતા (Density) મુજબ સમયમાં ફેરફાર કરતી હોવાથી પિક અવર્સ દરમિયાન સર્જાતી જામની સ્થિતિમાંથી કાયમી મુક્તિ મળશે. ગાંધીનગર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ લેવાયેલો આ નિર્ણય ભવિષ્યમાં રાજ્યના અન્ય મોટા શહેરો માટે પણ માર્ગદર્શક (Role Model) સાબિત થશે.
આ પણ વાંચોઃ સુરતમાં Vibrant Gujarat નો દબદબો, 2 દિવસમાં 2792 જેટલા MOU, શું વાઈબ્રન્ટનો સીધો ફાયદો વેપારીઓને થશે?


