શિક્ષણ એ જ રાજ્ય અને રાષ્ટ્રના કલ્યાણનો માર્ગ છે, તે ઉક્તિને સાર્થક કરતા ગુજરાત સરકારના મહત્વકાંક્ષી અભિયાન 'કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ(Shala Praveshotsav 2026) ને રાજ્યભરમાં અભૂતપૂર્વ અને ઐતિહાસિક સફળતા મળી છે. ગુજરાતમાં સાક્ષરતાનો દર વધારવા અને ૬થી ૧૪ વર્ષના દરેક બાળકનું 100 ટકા નામાંકન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલા આ 24મા પ્રવેશોત્સવે સાચા અર્થમાં 'શિક્ષણ ઉત્સવ'નું સ્વરૂપ ધારણ કર્યું છે. આ સફળતા માત્ર આંકડાઓમાં જ નહીં, પરંતુ નવી પેઢીના આંખોમાં દેખાતા ઉત્સાહમાં પણ સ્પષ્ટપણે ઝળકી રહી છે.
Gandhinagar NEWS : શૈક્ષણિક મહાપર્વનો પ્રારંભ અને વ્યાપ
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi)ની શાળા એવી વડનગર(Vadnagar)ની ઐતિહાસિક બી.એન. હાઈસ્કૂલથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના હસ્તે આ શૈક્ષણિક મહાપર્વનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્ય મંત્રી રીવાબા જાડેજાના નેતૃત્વમાં, છેલ્લા બે દિવસમાં રાજ્યના ૧૭,૩૩૮ ગામો અને ૨૪,૭૧૬ શાળાઓને આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવી છે.
આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહિત કુલ 60184 મહાનુભાવોએ શાળાઓની રૂબરૂ મુલાકાત લઈને 11.20 લાખથી વધુ બાળકોને શિક્ષણના પ્રવાહમાં જોડી તેમનો ઉત્સાહ વધાર્યો છે. માત્ર બીજા દિવસે (24 જૂન) 8173 ગામો અને 11987 શાળાઓમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
રેકોર્ડબ્રેક નામાંકનના આંકડા
આ પ્રવેશોત્સવ દરમિયાન લાખો બાળકોએ શાળામાં પ્રવેશ મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે:
1.આંગણવાડી અને બાલમંદિર: ૬૨ હજારથી વધુ બાળકોએ અક્ષરજ્ઞાનનો પ્રારંભ કર્યો.
2.બાલવાટિકા:1,39,925 પ્રવેશપાત્ર બાળકો સામે 1.40 લાખથી વધુ નવું નામાંકન નોંધાયું.
3.ધોરણ-1 : 34 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો.
4.ધોરણ 9 અને 11 : ધોરણ-9 માં 1,96,755અને ધોરણ-11 માં 1,01,759 વિદ્યાર્થીઓ જોડાયા.
5.ડ્રોપ-આઉટ રેશિયોમાં ઘટાડો: 'Back to School Survey' અંતર્ગત 21,892 જેટલા શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને ફરીથી પ્રવેશ અપાયો છે.
વિશેષ પ્રોત્સાહન અને લોકભાગીદારી
સરકાર દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા 5664 જેટલી પ્રતિભાશાળી કન્યાઓને 'વિદ્યાલક્ષ્મી બોન્ડ' અર્પણ કરવામાં આવ્યા છે, જે તેમને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડશે. આ ઉપરાંત ૮૪૭ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે નવીન પરિવહન (ટ્રાન્સપોર્ટેશન) સુવિધા શરૂ કરાઈ છે.
આ અભિયાનને સમાજે પણ ખુલ્લા દિલથી વધાવી લીધું છે. લોકભાગીદારી થકી શાળાઓને કુલ રૂ.9.91 કરોડથી વધુની માતબર સહાય પ્રાપ્ત થઈ છે, જેમાં રૂ. 1.25 કરોડથી વધુની રોકડ અને રૂ. 7.95 કરોડના મૂલ્યના શૈક્ષણિક સાધનોનો સમાવેશ થાય છે.
'કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2026' માત્ર એક સરકારી કાર્યક્રમ ન રહેતા, સરકારની પ્રતિબદ્ધતા અને સમાજની સહભાગિતાનું ઉત્તમ ઉદાહરણ બની ગયો છે. રેકોર્ડબ્રેક નામાંકન, લોકોનો સ્વયંભૂ આર્થિક સહયોગ અને હજારો કન્યાઓને મળેલું પ્રોત્સાહન એ સાબિત કરે છે કે ગુજરાતનું ભવિષ્ય સુરક્ષિત અને શિક્ષિત હાથોમાં ઘડાઈ રહ્યું છે. આ ઉત્સવ ખરા અર્થમાં એક વિકસિત અને સાક્ષર ગુજરાતના નિર્માણ માટેનો મજબૂત પાયો નાખવામાં પૂર્ણપણે સફળ રહ્યો છે.
આ પણ વાંચો : Rudra Veena maker : 150 વર્ષની સાધનાને સલામ: વડોદરાના રુદ્ર વીણા સર્જક સન્માનિત