Governor Acharya Devvrat : IPS અધિકારીઓને રાજ્યપાલની શીખ: માનવતા જ શ્રેષ્ઠ સેવા
Governor Acharya Devvrat : પોલીસ સેવા એ માત્ર નોકરી નથી, માનવતાની સર્વોચ્ચ સેવા છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત.
ગુજરાત લોકભવન ખાતે રાજ્યપાલશ્રીએ 77મી બેચના પ્રોબેશનરી IPS અધિકારીઓને માર્ગદર્શન આપ્યું; રાષ્ટ્રભક્તિને સર્વોપરી રાખવા આહ્વાન
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું છે કે પોલીસ સેવા-Police Service માં જોડાયેલા અધિકારીઓ પાસે દુઃખી અને પીડિત લોકોના આંસુ લૂછવાની અદ્ભુત શક્તિ છે. ગાંધીનગર સ્થિત 'લોકભવન' ખાતે વર્ષ 2024ની 77મી આર. આર. બેચના પ્રોબેશનરી આઈપીએસ (IPS) અધિકારીઓ સાથેની શુભેચ્છા મુલાકાત દરમિયાન તેમણે પોલીસ સેવાને માત્ર વ્યવસાય નહીં, પરંતુ માનવતાની સર્વોચ્ચ સેવા ગણાવી હતી.
Governor Acharya Devvrat - વિકસિત ભારતના નિર્માણમાં પોલીસની ભૂમિકા
રાજ્યપાલશ્રીએ નવયુવાન અધિકારીઓને સંબોધતા કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)ના નેતૃત્વમાં ભારત જ્યારે 'વિકસિત રાષ્ટ્ર' બનવા તરફ ઝડપથી ડગ માંડી રહ્યું છે, ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ અધિકારીઓની ભૂમિકા અત્યંત મહત્વની છે. તેમણે દરેક અધિકારીને પોતાની ફરજમાં રાષ્ટ્રભક્તિને સર્વપ્રથમ રાખીને કામ કરવા તાકીદ કરી હતી.
Governor Acharya Devvrat : સંવેદનશીલ અને પારદર્શક વહીવટ પર ભાર
અધિકારીઓના કર્તવ્ય વિષે વાત કરતા રાજ્યપાલએ ઉમેર્યું કે:
નિર્ણયશક્તિ: પોલીસ અધિકારીનો એક સાચો અને ન્યાયિક નિર્ણય કોઈ આખા પરિવારનું ભાગ્ય બદલી શકે છે.
જનસંવાદ: જ્યારે અધિકારીઓ ગામડાઓમાં જઈ સામાન્ય લોકો સાથે સીધો સંવાદ કરે છે, ત્યારે જ પોલીસ પ્રત્યે જનતાનો વિશ્વાસ અને આત્મીયતા વધે છે.
કાર્ય સંતોષ: જો ઈમાનદારી અને મહેનતથી ફરજ બજાવવામાં આવે તો ભવિષ્યમાં માત્ર સફળતા જ નહીં, પરંતુ પરમ કાર્ય સંતોષનો પણ અનુભવ થાય છે.
ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ
પ્રજાતંત્રમાં તમામ નાગરિકોનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાની જવાબદારી અધિકારીઓની હોવાનું જણાવી રાજ્યપાલ-Governor Acharya Devvratએ તમામ પ્રોબેશનરી અધિકારીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે યુવા આઈપીએસ અધિકારીઓને દેશ અને સમાજની સેવા માટે સદાય સમર્પિત રહેવા આહ્વાન કર્યું હતું.
આ મુલાકાત દરમિયાન પ્રોબેશનરી અધિકારીઓએ પણ રાજ્યપાલશ્રી સાથે પોતાના તાલીમ કાળના અનુભવો વહેંચ્યા હતા અને રાષ્ટ્રસેવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : Ahmedabad: નવા વર્ષે ફટાકડા ફોડવા મામલે પોલીસ કમિશનરે મહત્વનો નિર્ણય લીધો


