Gandhinagar: દર 100 વિદ્યાર્થીઓએ એક કાઉન્સેલર રાખવા પડશે, સરકારે લીધો નિર્ણય
- Gandhinagar: કોલેજો અને યુનિવર્સિટીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર
- વિદ્યાર્થીઓના વધતા આપઘાતને લઈને સરકારે આપ્યા દિશા નિર્દેશ
- યુનિ. અને કોલેજોમાં મેન્ટલ હેલ્થ પોલીસી લાગૂ કરવાની રહેશે
Gandhinagar:ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓમાં વધતા જતા તણાવ અને આપઘાતના કિસ્સાઓએ સરકાર અને શિક્ષણ જગતની ચિંતામાં વધારો કર્યો છે. આ ગંભીર સમસ્યાને ડામવા માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ (Education Department) દ્વારા એક ઐતિહાસિક અને અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની તમામ યુનિવર્સિટીઓ, સરકારી અને ખાનગી કોલેજો તેમજ ખાનગી કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ માટે નવી મેન્ટલ હેલ્થ પોલીસી (Mental Health Policy) જાહેર કરવામાં આવી છે.
મેન્ટલ હેલ્થ પોલીસી (Mental Health Policy)નો અમલ ફરજિયાત
શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતવાર ગાઈડલાઈન મુજબ હવે દરેક શૈક્ષણિક સંસ્થાએ પોતાના કેમ્પસમાં મેન્ટલ હેલ્થ પોલીસી (Mental Health Policy) લાગૂ કરવાની રહેશે. આ પોલીસીનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને એક સુરક્ષિત અને તણાવમુક્ત વાતાવરણ પૂરું પાડવાનો છે. ઘણીવાર શૈક્ષણિક ભારણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના કારણે વિદ્યાર્થીઓ ડિપ્રેશનનો શિકાર બનતા હોય છે, ત્યારે આ નવી નીતિ તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
દરેક 100 વિદ્યાર્થીએ એક કાઉન્સેલર (Counselor) ની નિમણૂક
આ ગાઈડલાઈનનું સૌથી મહત્વનું પાસું 'કાઉન્સેલિંગ' છે. સરકારે આદેશ આપ્યો છે કે દરેક યુનિવર્સિટી અને કોલેજે દર 100 વિદ્યાર્થીઓની સંખ્યા પર ઓછામાં ઓછા એક પ્રોફેશનલ કાઉન્સેલર (Counselor) ની નિમણૂક કરવાની રહેશે. આ કાઉન્સેલર વિદ્યાર્થીઓ સાથે સતત સંપર્કમાં રહેશે અને તેમની માનસિક સમસ્યાઓ, પરીક્ષાનો ડર કે અંગત મૂંઝવણોને સાંભળીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે.
આ પણ વાંચોઃ Gandhinagar: વિકાસ સહાયની નિવૃત્તિ બાદ કોણ સંભાળશે ગુજરાત પોલીસની કમાન?
ખાનગી કોચિંગ સેન્ટરો પર પણ નિયમો
માત્ર કોલેજો જ નહીં, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ટ્યુશન ક્લાસ ચલાવતા ખાનગી કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ માટે પણ કડક સૂચનાઓ અપાઈ છે. વારંવાર જોવા મળતું હતું કે કોચિંગ સેન્ટરો પર્ફોમન્સના આધારે વિદ્યાર્થીઓને અલગ-અલગ બેચમાં વહેંચી દેતા હતા, જેના કારણે નબળા વિદ્યાર્થીઓમાં લઘુતાગ્રંથિ પેદા થતી હતી. સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવેથી પર્ફોમન્સના આધારે કોઈપણ વિદ્યાર્થીને અલગ રાખી શકાશે નહીં. તમામ વિદ્યાર્થીઓને સમાન તક અને સન્માન આપવું અનિવાર્ય રહેશે.
શિક્ષણ વિભાગની કડક દેખરેખ
રાજ્યના શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે આ ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તે માટે સમયાંતરે નિરીક્ષણ કરવામાં આવશે. જો કોઈ સંસ્થા આ નિયમોનું ઉલ્લંઘન કરતી જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓ માત્ર ડિગ્રી જ નહીં, પરંતુ સ્વસ્થ માનસિકતા સાથે ઉતીર્ણ થાય અને આત્મહત્યા જેવા કદમ ભરતા અટકે.
આ પણ વાંચોઃ Junagadh: 'મારો દિકરો ગળે ફાંસો ખાઈ ગયો' યુવાનને મરવા કોણે મજબૂર કર્યો?


