Land Revenue Act માં ક્રાંતિકારી સુધારો: હવે બ્લેકમેલિંગ બંધ! પાવર ઓફ એટર્નીમાં ફેરફાર
- Land Revenue Act ની કલમ 135 D ની જોગવાઈઓમાં સુધારો
- મહેસુલી ક્ષેત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો મહત્વનો નિર્ણય
- તપાસની જરૂરીયાતવાળા કિસ્સામાં નોટિસ નો સમય ગાળો ઘટાડાયો
- 7 દિવસમાં હકદારો પોતાના આધાર પુરાવા રજૂ કરી શકશે
- મિલકતના સોદામાં બિનજરૂરી વાંધામાંથી મુક્તિ મળશે
- ખોટા વાંધા ઉપસ્થિત કરી રકમ પડાવવાનું બંધ થશે
Land Revenue Act-1879 : મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સામાન્ય જનતા અને ખેડૂતોના હિતમાં એક ઐતિહાસિક અને સાહસિક નિર્ણય લીધો છે. મહેસૂલી પ્રક્રિયામાં વર્ષોથી ચાલી આવતી જટિલતાઓને દૂર કરવા માટે 'જમીન મહેસૂલ અધિનિયમ-1879' (Land Revenue Act-1879) ની કલમ 135-D (Section 135-D) ની જોગવાઈઓમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારાનો મુખ્ય હેતુ મિલકતના વ્યવહારોમાં થતો વિલંબ ટાળવાનો અને વચેટિયાઓ દ્વારા થતા બ્લેકમેલિંગને અટકાવવાનો છે.
શું હતો જૂનો નિયમ અને કેમ બદલાયો?
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી (Spokesperson Minister) જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, અત્યાર સુધી કોઈપણ જમીન કે મિલકતના વેચાણ દસ્તાવેજ બાદ 30 દિવસની ફરજિયાત નોટિસ (Mandatory Notice) આપવાની જોગવાઈ હતી. આ સમયગાળા દરમિયાન કેટલાક અસામાજિક તત્વો ખોટા વાંધા-વચકા ઉઠાવીને મૂળ માલિક કે ખરીદનાર પાસેથી નાણાં પડાવવાનું કામ કરતા હતા. આ બ્લેકમેલિંગની પ્રવૃત્તિને રોકવા અને વહીવટમાં પારદર્શિતા લાવવા સરકારે આ 30 દિવસની અનિવાર્યતા નાબૂદ કરી છે.
CM Bhupendra Patel big decision on Gujarat Land Revenue Act Section 135D
મહેસૂલી ક્ષેત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વનો નિર્ણય
જમીન મહેસુલની કલમ 135 Dની જોગવાઈઓમાં કર્યો સુધારો
નિર્ણયથી નાગરિકોને 30 દિવસની નોટિસમાંથી મુક્તિ મળશે
વિવાદન હોય તો તે જ દિવસે વેચાણ નોંધ… pic.twitter.com/2eh0kYLD25— Gujarat First (@GujaratFirst) April 1, 2026
તુરંત થશે 'પાકી એન્ટ્રી'
નવા સુધારા મુજબ, જો જમીનના રેકોર્ડ પર છેલ્લા એક વર્ષથી કોઈ ફેરફાર નોંધ ન હોય, કોઈ લિટીગેશન (Litigation) કે દાવો પેન્ડિંગ ન હોય અને તમામ 7/12 (7/12) ના હકદારોએ દસ્તાવેજમાં સહી કરી હોય, તો તેવા કિસ્સામાં 135-D ની નોટિસ વગર તે જ દિવસે નોંધ પાડવામાં આવશે. આ નોંધને તુરંત પ્રમાણિત કરીને 'પાકી એન્ટ્રી' કરવામાં આવશે. આ ઉપરાંત, સક્ષમ અદાલત કે ટ્રિબ્યુનલ (Tribunal) ના હુકમોની નોંધ વખતે પણ હવે નોટિસની પ્રક્રિયા કરવાની રહેશે નહીં, તેનો સીધો જ અમલ કરવામાં આવશે.
7 દિવસનો નવો સમયગાળો ક્યારે લાગુ પડશે?
જે કિસ્સાઓમાં તપાસની જરૂરિયાત છે, જેમ કે વેચાણ પાવર ઓફ એટર્ની (Power of Attorney) દ્વારા થયું હોય. 7/12 ના તમામ હકદારોની સહી ન હોય અથવા પછી છેલ્લા એક વર્ષમાં રેકોર્ડમાં ફેરફાર થયો હોય. આવા કિસ્સાઓમાં નોટિસનો સમયગાળો 30 દિવસથી ઘટાડીને માત્ર 7 દિવસ કરી દેવામાં આવ્યો છે. આ 7 દિવસમાં સાચા હકદારો પોતાના પૂરાવા રજૂ કરી શકશે.
બ્લેકમેલિંગનો આવશે અંત
આ નિર્ણય માત્ર ખેતીની જમીન (Agricultural Land) માટે જ નહીં, પરંતુ રહેણાંકના મકાનો, ફ્લેટ અને દુકાનો માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે. સીધી લીટીના વારસદારો (Linear Descendants) વચ્ચે થતી મિલકત તબદીલીમાં પણ હવે કોઈ હેરાનગતિ થશે નહીં. જૂના બાનાખત કે કાચી ચિઠ્ઠીના આધારે થતું બ્લેકમેલિંગ હવે ભૂતકાળ બનશે, જેનાથી ખરીદનાર અને વેચનાર નિર્ભય બનીને વ્યવહાર કરી શકશે.


