Gujarat News Today: આજે 23 મે 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?
Gujarat News Today: આજે દેશભરમાં 19માં (19th) રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં 51 હજાર યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત, આજે રાજ્યમાં હવામાન, શિક્ષણ અને સ્થાનિક રાજકારણને લઈને પણ અનેક મહત્વના ઘટનાક્રમ જોવા મળી રહ્યા છે.
આજે દેશભરમાં રોજગાર મેળાનું આયોજન
આજે દેશભરમાં 19માં (19th) રોજગાર મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં કુલ 51 હજાર યુવાનોને નિમણૂક પત્રો (Appointment Letters) આપવામાં આવશે. આ નિમણૂક પત્રો રેલવે, પોસ્ટલ વિભાગ અને બેંકિંગ ક્ષેત્ર (Banking Sector) જેવા વિવિધ વિભાગો માટે છે. અત્યાર સુધીમાં દેશભરમાં 11 લાખથી વધુ યુવાનો આ રોજગાર મેળાનો લાભ લઈ ચૂક્યા છે. અમદાવાદમાં 115 યુવાનોને નિમણૂક પત્રો અપાશે, જેમાં રેલવેના 66, નાણાકીય સેવા વિભાગના 39, પોસ્ટ ઓફિસના 09 અને રક્ષા મંત્રાલયના 01 યુવાનોનો સમાવેશ થાય છે. વડોદરાના પ્રતાપનગર રેલવે ઓડિટોરિયમ ખાતે સવારે 10 વાગ્યે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે.
રાજ્યમાં ગરમીનો પ્રકોપ અને વરસાદની આગાહી
ગુજરાતમાં હાલ ગરમી અને વરસાદનું મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં ભાવનગર, ગીર સોમનાથ, દીવ, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદની શક્યતા છે. જોકે, વરસાદી માહોલ વચ્ચે પણ ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજ્યના 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.8 ડિગ્રી, અમદાવાદમાં 43.3 ડિગ્રી, ગાંધીનગરમાં 43 ડિગ્રી, રાજકોટમાં 42.9 ડિગ્રી અને અમરેલીમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
અમદાવાદ GTU ની પરીક્ષા સ્થગિત
અમદાવાદની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા લેવામાં આવનારી 28 મેની સેમેસ્ટર 4ની પરીક્ષા સ્થગિત (Postponed) કરવામાં આવી છે. બકરી ઈદની તારીખમાં ફેરફાર થવાને કારણે આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, સરકારે પહેલા 27 મેના રોજ રજા જાહેર કરી હતી, પરંતુ હવે સ્થિતિ બદલાતા 28 તારીખની પરીક્ષા મોકૂફ રખાઈ છે. આ પરીક્ષા હવે હાલમાં ચાલી રહેલી પરીક્ષાઓના ખાલી દિવસોમાં લેવામાં આવશે, જેની નવી તારીખ GTU દ્વારા જાહેર કરવામાં આવશે.
RTE પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ
RTE પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ 25 મેથી શરૂ થવા જઈ રહ્યો છે. રાજ્યમાં હજુ પણ 11,044 બેઠકો ખાલી છે, જેના માટે પ્રવેશ અપાશે. આ રાઉન્ડમાં વાલીઓને અગાઉ પસંદ કરેલી શાળા બદલવાની સુવિધા આપવામાં આવશે. ખાલી પડેલી બેઠકોમાં સૌથી વધુ અંગ્રેજી માધ્યમની 5,953, ગુજરાતી માધ્યમની 3,303 અને હિન્દી માધ્યમની 1,614 બેઠકોનો સમાવેશ થાય છે.
તાલુકા પંચાયતની સામાન્ય સભા
ગાંધીનગર જિલ્લાની કલોલ, દહેગામ અને માણસા તાલુકા પંચાયતમાં આજે સામાન્ય સભા મળશે, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામની સત્તાવાર જાહેરાત થશે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લા પંચાયતની પણ આજે પ્રથમ બેઠક બપોરે 12 વાગ્યે મળશે.
રિવરફ્રન્ટ ખાતે ફીડ ઇન્ડિયા સાયકોલોથનનું આયોજન
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે વહેલી સવારે 'ફીડ ઇન્ડિયા સાયકોલોથન' (Fit India Cyclothon) નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ફિલ્મ અભિનેતા આયુષ્માન ખુરાના અને ઓલિમ્પિક મેડલિસ્ટ ગગન નારાયણ ઉપસ્થિત રહેશે.
ભાવનગર
વલભીપુર તાલુકા પંચાયતમાં અપક્ષની જીત થતાં આજે ઇતિહાસ રચાશે અને અપક્ષના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી થશે.
ખેડા
મહેમદાવાદના કેશરા ગામ પાસે આવેલા શ્રી બાલાજી હનુમાનજી મંદિરમાં આજે અધિક માસ નિમિત્તે ચારધામની ઝાંખી કરાવતું મંદિર ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવશે. આ કાર્યક્રમ 24 મે થી 30 મે સુધી ભક્તો માટે ખુલ્લો રહેશે.
આ પણ વાંચો: Weather : દિલ્હીમાં ગરમીનો કહેર, આગામી 6 દિવસ હવામાન વિભાગે હીટવેવની કરી આગાહી


