Gandhinagar: ગુજરાત પોલીસ દળમાં વધુ 449 યુવા અધિકારીઓનો ઉમેરો થયો છે. રાજ્યના સુરક્ષા તંત્રને વધુ સક્ષમ અને ગતિશીલ બનાવવાના હેતુથી, ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને સત્તાવાર નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
449 નવનિયુક્ત બિન હથિયારી PSI ને એનાયત કરાયા નિમણૂક પત્રો
રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતી પ્રક્રિયાને પારદર્શક અને ઝડપી બનાવીને યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી રહી છે, જેનો આ એક મહત્વપૂર્ણ હિસ્સો છે. નવનિયુક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને અભિનંદન પાઠવતા મહાનુભાવોએ રાજ્યની કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમની મહત્વની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ નવા અધિકારીઓ હવે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પોતાની સેવાઓ આપીને નાગરિકોની સુરક્ષા અને શાંતિ જાળવવામાં યોગદાન આપશે.
મુખ્યમંત્રીની માર્મિક વાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોલીસ અધિકારીઓના માનસને સમજાવતા એક અત્યંત માર્મિક અને પ્રેરણાદાયી ઉદાહરણ આપ્યું હતું. ભાવનગરમાં માલધારી પર સિંહના હુમલાની ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, "મેં એક વીડિયો જોયો, જેમાં પ્રેમની સાચી તાકાત જોવા મળી. ગમે તેટલો કડક માણસ કે હિંસક સ્વભાવનો જીવ હોય, તેને પણ પ્રેમના સ્પર્શથી પીગળાવી શકાય છે."
જોકે, તેમણે પોલીસ અધિકારીઓને સંતુલન જાળવવાની પણ સલાહ આપી હતી. સીએમએ કહ્યું કે, "તમારી પોલીસની નોકરી છે, જેમાં પ્રેમ જરૂર છે, પણ જો તમે વધુ પડતો પ્રેમ બતાવશો તો કોઈ તમને ગણકારશે નહીં. પોલીસની નોકરીમાં પ્રેમ અને કડક શિસ્ત બંનેનું યોગ્ય પ્રમાણ હોવું અનિવાર્ય છે."
આ પણ વાંચો: Gandhinagar News: ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ પર કેન્દ્ર સરકારની બાજ નજર, અમિતભાઈ શાહે મુખ્યમંત્રી સાથે કરી ટેલિફોનિક વાત