Sandhwaya Gaushala : ફૂડ પોઈઝનિંગની દિશામાં તપાસ, બાકીની ગાયોને બચાવવા 'રાઉન્ડ ધ ક્લોક' સારવાર
Sandhwaya Gaushala : રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામમાં આવેલી શ્રી રામગર બાપુ ગૌશાળામાં ગાયોના મૃત્યુની બનેલી દુઃખદ ઘટનાને ધ્યાને લઈને રાજ્યના પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી(Jitubhai Vaghani)એ આ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે અને તાત્કાલિક અસરથી પરિસ્થિતિની દેખરેખ રાખીને ત્વરિત પગલાં લેવા માટે પશુપાલન વિભાગના અધિકારીઓને આદેશો આપ્યા છે.
Sandhwaya Gaushala : ઉચ્ચ-સ્તરીય ટીમ ઘટનાસ્થળે રવાના
મંત્રી શ્રી વાઘાણીની સૂચનાના આધારે ગાંધીનગર ખાતેથી પશુપાલન વિભાગની એક ઉચ્ચ-સ્તરીય ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે જવા રવાના થઈ છે, જે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવશે.
Sandhwaya Gaushala: ૧૬ નિષ્ણાતોની ટીમ દ્વારા રાઉન્ડ ધ ક્લોક સારવાર
ગઈકાલ તા. ૧૨ ડિસેમ્બરના રોજ ગૌશાળામાં કેટલીક ગાયોના અગમ્ય કારણોસર મૃત્યુ થયા હતા. આ ઘટનાની જાણ થતાં કોટડાસાંગાણી પશુચિકિત્સા અધિકારી અને પશુધન નિરિક્ષકની ટીમ દ્વારા તાત્કાલિક ગૌશાળાની મુલાકાત લેવામાં આવી હતી.
મંત્રીશ્રીના આદેશ બાદ રાજકોટ જિલ્લાના ૫ પશુચિકિત્સા અધિકારીઓ, ૭ પશુધન નિરિક્ષકો, પશુરોગ અન્વેષણ અધિકારી અને નાયબ પશુપાલન નિયામકો સહિત કુલ ૧૬ નિષ્ણાત પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા ગૌશાળાની બાકીની ગાયોને સુરક્ષિત રાખવા નિવારાત્મક પગલાં અને અસરગ્રસ્ત ગાયોની સઘન સારવાર રાઉન્ડ ધ ક્લોક શરૂ કરવામાં આવી છે.
સારવારમાં મદદ અને વિશેષ ટિપ્પણી માટે જૂનાગઢ વેટરનરી કોલેજના પાંચ વિષય તજજ્ઞ અને તેમની ટીમ પણ હાલ ગૌશાળા ખાતે કાર્યરત છે.
ફૂડ પોઈઝનિંગનું પ્રાથમિક અનુમાન; સેમ્પલ FSL ને મોકલાયા
પશુ મૃત્યુના સાચા કારણની પુષ્ટિ કરવા માટે કુલ પાંચ મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ એક્ઝામિનેશન કરીને સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા છે.
મૃત પશુઓને આપવામાં આવેલા ઘાસચારા, ખોળ, પાણી અને અન્ય ખોરાકના સેમ્પલ પણ FSL કચેરીએ મોકલવામાં આવ્યા છે.
પ્રાથમિક દ્રષ્ટીએ પશુમરણનું કારણ ગાયોને અપાયેલા મગફળીના ખોળથી ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું અનુમાન છે.
આ પણ વાંચો : Rajkot: કોટડાસાંગાણીના સાંઢવાયામાં 70થી વધુ ગાયોના મોત મામલે ઉઠ્યા સવાલ