Tribal Craft Fair :સાબરમતીના તટે યોજાયો આદિવાસી અસ્મિતાનો ઉત્સવ
Tribal Craft Fair : અમદાવાદના આધુનિકતાથી ધબકતા સાબરમતી રિવરફ્રન્ટના તટે જ્યારે વનરાજીની સુગંધ અને આદિવાસી પરંપરાના સૂર રેલાયા, ત્યારે એક અનોખો સાંસ્કૃતિક સંગમ રચાયો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)ના 'વોકલ ફોર લોકલ' Vocal for Local અને 'આત્મનિર્ભર ભારત'ના મંત્રને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્ય સાથે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના માર્ગદર્શન હેઠળ આયોજિત 'પરંપરાગત આદિવાસી હસ્તકલા, આહાર અને વનૌષધિય મેળા'-Tribal Craft Fair Ahmedabad 2026 એ સાબિત કરી દીધું છે કે ભારતનો અસલી વારસો તેની જનજાતિઓના કૌશલ્યમાં છુપાયેલો છે. આ મેળો માત્ર વ્યાપારનું માધ્યમ નહીં, પરંતુ છેવાડાના આદિવાસી કલાકારોને વૈશ્વિક બજાર સાથે જોડતી અને તેમની સદીઓ જૂની સંસ્કૃતિને 'બ્રાન્ડ' તરીકે પ્રસ્થાપિત કરતી એક મજબૂત કડી બનીને ઉભરી આવ્યો છે.
Tribal Craft Fair : સાબરમતીના તટે ‘વોકલ ફોર લોકલ’નો શંખનાદ: આદિવાસી મેળામાં ૭ જ દિવસમાં રૂ. ૧૫ લાખની કમાણી
આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી-The Gujarat Tribal Research & Training Society (GTRTS) દ્વારા આયોજિત સાત દિવસીય ‘પરંપરાગત આદિવાસી હસ્તકલા, આહાર અને વનૌષધિય મેળા’ એ સફળતાના નવા શિખરો સર કર્યા છે. માત્ર એક સપ્તાહના ટૂંકા ગાળામાં રાજ્યના ૧૩ જિલ્લાના આદિવાસી કલાકારોએ રૂ. ૧૫ લાખની મજબૂત કમાણી કરીને આત્મનિર્ભરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Tribal Craft Fair : મેળાની મુખ્ય વિશેષતાઓ અને આકર્ષણો
રિવરફ્રન્ટ-Riverfrontના વલ્લભ સદન ખાતે ૨૮ જાન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા આ મેળામાં કુલ ૭૫ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા, જે શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા:
હસ્તકલા: ૪૨ સ્ટોલ્સમાં આદિવાસી સંસ્કૃતિની ઝીણવટભરી કલા રજૂ થઈ.
વનૌષધિ: ૧૭ સ્ટોલ્સમાં પરંપરાગત વૈદુ ભગતો દ્વારા પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ દર્શાવવામાં આવી.
પરંપરાગત આહાર: ૧૬ સ્ટોલ્સમાં શુદ્ધ અને પૌષ્ટિક આદિવાસી વ્યંજનોનો સ્વાદ અમદાવાદીઓએ માણ્યો.
મંત્રી નરેશભાઈ પટેલનો 'બ્રાન્ડિંગ' મંત્ર
મેળાનું ઉદ્ઘાટન કરતાં આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે પોતાના અંગત અનુભવો વહેંચતા કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે : "વેપાર વાંઝીયો નથી, બસ ગ્રાહકનો ભરોસો જીતવો પડે છે." તેમણે આદિવાસી ઉત્પાદનોને માત્ર વસ્તુ તરીકે નહીં પણ એક 'બ્રાન્ડ' તરીકે સ્થાપિત કરવા પર ભાર મૂક્યો હતો.
સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી
મેળામાં દરરોજ સાંજે ગુજરાતની વિવિધ જનજાતિઓના લોકનૃત્યોએ જમાવટ કરી હતી:
રાઠવાઓનું જોશભર્યું હોળી-ઘેર નૃત્ય.
ડાંગી કલાકારોનું લયબદ્ધ કહાડીયા નૃત્ય.
ગામીત જનજાતિનું સગાઈ ચાંદલા નૃત્ય અને વસાવા જનજાતિનું મેવાસી નૃત્ય. આ સાથે વિશાળ LED સ્ક્રીન પર આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની ગાથાઓ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.
૧૦ વર્ષમાં રૂ. ૨.૯૧ કરોડનું આર્થિક ઉપાર્જન
વર્ષ ૨૦૧૫-૧૬થી શરૂ થયેલી આ મજલ આજે વટવૃક્ષ બની છે. છેલ્લા ૧૦ વર્ષમાં આયોજિત ૨૧ મેળાઓ દ્વારા અત્યાર સુધીમાં:
૨,૫૯૭ કલાકારો સહભાગી થયા.
અંદાજે રૂ. ૨.૯૧ કરોડની આવક મેળવી.
રૂ. ૧ કરોડથી વધુના નવા ઓર્ડર્સ કલાકારોને પ્રાપ્ત થયા છે.
સરકારનો પ્રોત્સાહક અભિગમ
GTRTS દ્વારા સહભાગી કલાકારોને માત્ર પ્લેટફોર્મ જ નહીં, પરંતુ રહેવા-જમવાની વ્યવસ્થા, મુસાફરી ભથ્થું અને સ્ટોલ્સ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવે છે. આ ઉપરાંત, આધુનિક યુગમાં ટકી રહેવા માટે કલાકારોને પેકેજિંગ, માર્કેટિંગ અને ડિજિટલ બ્રાન્ડિંગની તાલીમ પણ આપવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના માર્ગદર્શન હેઠળ યોજાયેલો આ મેળો 'વિકસિત ભારત@૨૦૪૭'ના વિઝનમાં આદિવાસી સમુદાયના યોગદાનને સુનિશ્ચિત કરે છે. મેળાના સમાપન પ્રસંગે મહાનુભાવો દ્વારા કલાકારોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Ahmedabad: BRTS ટ્રેકમાં ગૌવંશ ભરેલી કારનો ભયાનક અકસ્માત, કારમાં જોતાં લોકો ચોંક્યા!


