Nadiad : દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં “અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના”ની સફળતાની ઉજવણી કરાઈ
અહેવાલ-કૃષ્ણ રાઠોડ,નડિયાદ
ખેડા જિલ્લામાં નડિયાદ આંબેડકર ભવન ખાતે રાજ્યકક્ષા કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના”ના પાયલોટ પ્રોજેક્ટ સફળતાની ઉજવણી કરવામાં આવી હતી. અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના જિલ્લાના 1,00,000 લાભાર્થીઓ એ પોલિસી લઈને સમગ્ર ભારતમાં વિક્રમ સાધ્યો છે.
કેન્દ્રીયમંત્રી દેવુંસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ભારતમાં જયારે લોકો પોતાના સુરક્ષા માટે પોલિસીનું પ્રીમિયમ ભરી શકતા ન હતા. ત્યારે તેમની ચિંતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. તા.08 જુલાઈ 2023 ના રોજ સમગ્ર ભારતમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ખેડા જિલ્લામાં અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના”ની શરૂઆત મુખ્યમંત્રીશ્રી ભૂપેંદ્રભાઇ પટેલના હસ્તે કરવામાં આવી હતી. ત્યારે પોસ્ટ વિભાગના કર્મચારીઓને 60 દિવસમાં વંચિત અને ગરીબ વર્ગો અને શ્રમયોગીઓને 1,00,000 પોલિસી જિલ્લા સ્તરે લાભ અપાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જે પોસ્ટ વિભાગ અને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ફક્ત ૪૮ દિવસમાં 10,3500 જેટલા લોકોને પોલિસી આપી સિદ્ધ કરવામાં આવ્યો છે. તે બદલ મંત્રીશ્રી એ પોસ્ટ વિભાગ અને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંકને અભિનંદન પાઠવ્યા હતા.
મંત્રીશ્રીએ તાજેતરમાં ભારતની સિદ્ધિ યાદ કરતા લોકોને જણાવ્યું હતું કે, ૨૩મી ઓગસ્ટના દિવસે ઈસરો દ્વારા તૈયાર કરવામાં આવેલ ચંદ્રયાન-૩ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચી વિશ્વ વિક્રમ હાંસલ કર્યો હતો અને સમગ્ર ભારત દેશ ગૌરવથી તે દિવસે ઝૂમી ઉઠ્યો હતો. એવી જ રીતે આજે પોસ્ટ વિભાગ અને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ખેડા જિલ્લામાં 1,00,000 ગરીબ પરિવારોને આ પોલિસી આપી એક લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે તે માટે મંત્રીશ્રીએ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરથી લઈને અધિકારીઓ સુધી તમામનો આભાર માન્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારને યાદ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારત સરકારે (Maximum Government, Minimum Governance) થકી ટેક્નોલોજીના માધ્યમથી 140 કરોડની જનસંખ્યાને આધારકાર્ડ સાથે લિંક કર્યા છે. સાથોસાથ ભારતમાં 50 કરોડ જનધન એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. જેમાં ૨૫ લાખ કરોડ રૂપિયા સીધા ખાતેધારકના બેન્ક એકાઉન્ટમાં સીધા જમા થાય છે. આજે ભારત બીજા દેશોની જેમ ઈકોનોમીમાં આગળ છે અને જીડીપીમાં આગળ વધી રહ્યો છે. જે ભારતની પ્રગતિના સૂચનો છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનામાં કોઈ પણ શ્રમિક આ યોજનાથી વંચિત ન રહે તે આપણી જવાબદારી છે. આજ સમયમાં 1,00,000 જેટલા લોકોને પોલીસી ઉપર વિશ્વાસ થયો એ ડાક વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની સખત મહેનત છે. આવનારા સમયમાં વધુને વધુ લોકો આ સેવાનો લાભ લે તે માટે પોસ્ટ વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના અધિકારીઓ અને કર્મચારીઓને વિનંતી કરી હતી.
અમૂલ ડેરી ચેરમેન વિપુલભાઈ પટેલે જણાવ્યું કે, અમૂલ ડેરી દ્વારા આર્થિક રીતે નબળા લગભગ ૯૬૦૦૦ પશુપાલકોની યાદી તૈયાર કરી તેમને અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાનો લાભ અપાવ્યો છે.અને વધુ પશુપાલકો આ કલ્યાણકારી યોજના સાથે જોડાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકના સી.ઈ.ઓ શ્રી વેંકટેશ રામાનુજે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, જિલ્લાના પદાધિકારીઓ સહિત જિલ્લા વહીવટી તંત્ર અને ડાક વિભાગના સૌ કર્મચારીઓનો આભાર માન્યો હતો.
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના અધિકારીઓ હાજર રહ્યા
કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા આ કલ્યાણકારી યોજનામાં પોતાનો સિંહ ફાળો આપવા બદલ ખેડા જિલ્લાના અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથોસાથ જિલ્લામાં ડાકસેવા સાથે જોડાયેલા બ્રાંન્ચ પોસ્ટ માસ્ટર તેમજ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના અધિકારીઓ અને કર્મચારીઓ અને પોલીસીમા1,00,000મી પોલીસી લેનાર મહિલાને મંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં અમૂલ ડેરીના ચેરમેનવિપુલભાઈ પટેલ, ખેડા જિલ્લાના કલેક્ટર શ્રી કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલ અગ્રવાલ, પોસ્ટ વિભાગના સીપીએમજી નીરજ કુમાર, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના એમ.ડી અને સી ઈ ઓ વેંકટેશ રામાનુજ પીબીઆઈ અને ટેક્નોલોજીના ડીડીજી પવન કુમાર સિંહ અને મોટી સંખ્યામાં ડાક સેવા અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા હતા.
આ પણ વાંચો-GONDL: ગોંડલ ખાતે યોજાઈ જીલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા


