ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghavi) દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સમગ્ર રૂટ પર પગપાળા ચાલીને નિરીક્ષણ કર્યું હતું. આ સાથે મંત્રીશ્રીએ રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય અને શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા હાથ ધરી હતી.
ક્રાઉડ મેનેજમેન્ટ માટે એઆઈ ટેક્નોલોજીનો ઉપયોગ
રથયાત્રાના રૂટ નિરીક્ષણ દરમિયાન પત્રકારો સાથે વાત કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા એ સૌથી મોટી આસ્થા અને વ્યવસ્થાની પણ યાત્રા છે. દેશમાં પ્રથમ વખત અમદાવાદની રથયાત્રામાં ક્રાઉડ મેનેજમેન્ટ માટે એઆઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ડ્રોન અને એઆઈ ટેક્નોલોજીથી જનમેદની પર નજર રખાશે અને ભાગદોડ જેવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનું ધ્યાન રાખવામાં આવશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ભાવિક-ભક્તો જગન્નાથજીના દર્શન સરળતાથી કરી શકે અને તેમને કોઈપણ પ્રકારની અગવડ ન પડે એ માટે આધુનિક ટેક્નોલોજીની મદદ લેવામાં આવી રહી છે.
રથયાત્રાની વિશેષ સુરક્ષા વ્યવસ્થા અંગે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રથયાત્રાના સમગ્ર રૂટનું 3D મેપિંગ કરાવવામાં આવ્યું છે.3D મેપિંગના ગ્રાફિક્સના આધારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે ૩૫૦૦ સીસીટીવી કેમેરા, ૨૮૭૨ બોડી વોર્મ કેમેરા, ૨૪૦ ટેરેસ પોઇન્ટ, ૨૫ વૉચ ટાવર અને ૨૩,૮૪૪ જેટલા પોલીસ જવાનો દ્વારા અમદાવાદ રથયાત્રા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
રથયાત્રાઓમાં ધાર્મિક સંસ્થાઓ સાથે સંકલન કરીને ગુજરાત પોલીસે સુરક્ષા વ્યવસ્થા કરી
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ૨૧૩ જેટલી રથયાત્રાઓ યોજવામાં આવે છે. આ રથયાત્રાઓમાં ધાર્મિક સંસ્થાઓ સાથે સંકલન કરીને ગુજરાત પોલીસે સુરક્ષા વ્યવસ્થા કરી છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદની રથયાત્રાએ સામાજિક એકતાનું પ્રતીક છે.અમદાવાદ પોલીસ દ્વારા સોશિયલ પોલિસિંગ થકી તમામ સમુદાયો વચ્ચે ભાઈચારો ઘનિષ્ઠ બને એવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.ક્રિકેટ ટુર્નામેન્ટ સહિતની રમતો રમાડવામાં આવી છે.મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા મહિલાઓ સાથે બેઠક યોજીને શાંતિપૂર્ણ માહોલ માટે મહિલાઓનો સહયોગ મેળવવાનો પ્રયાસ પણ કરાયો છે.
રથયાત્રાના રૂટ પરનાં જર્જરિત મકાનો અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, જર્જરિત મકાનોનો સર્વે હાથ ધરીને ૪૮૪ ભયજનક મકાનોને આઇડેન્ટિફાઈ કરીને તમામને સીલ કરવામાં આવ્યાં છે,તેમજ છાપરા-પતરાથી બ્લોક કરવાની કામગીરી એએમસીના સહયોગથી કરવામાં આવી છે.
રથયાત્રા દરમિયાન નાનાં બાળકો ખોવાઈ જાય તો તેમને પરિવાર સુધી પહોંચાડવા માટે રથયાત્રાના રૂટ પર ૧૭ જનસહાય કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે.ગયા વર્ષે આવાં કેન્દ્રો દ્વારા ૬૫થી વધુ બાળકોને સહી સલામત રીતે તેમના પરિવાર સુધી પહોંચાડવામાં આવ્યાં હતાં, એવું તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ શહેર પોલીસની નિષ્ઠાપૂર્વકની કામગીરીની પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો: Waqf Board : રાજ્યમાં વકફ બોર્ડ હેઠળની મિલકતોનું GPS મેપિંગ, સર્વે અને ડિજિટલાઇઝેશન