Banaskantha Rain News : ડીસા-કાંકરેજમાં વાવાઝોડાની ભારે તારાજી, ગામડાઓમાં અંધારપટ, Video માં જાણો સ્થિતિ!
Banaskantha Rain News : હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ મોડી રાત્રે વિનાશક વાવાઝોડું ત્રાટક્યું છે. ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ડીસાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડાએ ભારે નુકસાન કર્યું છે. ડીસાના વરણ ગામમાં દીવાલ ધરાશાયી થતા એક યુવકનું મોત નિપજ્યું છે.
મળતી માહિતી અનુસાર યુવક તેના દાદીના બારમાની વિધી માટે સામાન લેવા માટે બજારમાં ગયો હતો. ત્યારે આ ઘટના બની હતી. જેમાં અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. કુદરતી આફતના આ તાંડવમાં અનેક પરિવારો બેઘર બન્યા છે અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
ડીસા અને કાંકરેજમાં વ્યાપક નુકસાન
બીજી તરફ ડીસા (Disa) માં એક વિશાળ કોલ્ડ સ્ટોરેજ (Cold Storage) નો શેડ તારાજીનો ભોગ બન્યો છે. વાવાઝોડાની તીવ્રતા એટલી હતી કે લોખંડી પતરા ખેતરોમાં દૂર સુધી ઉડીને ફંગોળાયા હતા, જેનાથી માલિકને અંદાજે ₹30 લાખનું આર્થિક નુકસાન થયું છે. બીજી તરફ, કાંકરેજ (Kankrej) પંથકના આકોલી, ખારીયા, કંબોઇ અને રાણકપુર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેતરોમાં બાજરી જેવા તૈયાર પાકને મોટું નુકસાન થયું છે.
પશુધનને પણ નુકસાન, ખેડૂતો ચિંતામાં
વાવાઝોડાના કારણે અનેક સ્થળોએ વીજળી પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. તાતીયાણા અને આકોલી ગામે વીજળી પડવાથી પશુધનના મોત થયા છે. થરા અને શિહોરી પંથકમાં વીજપોલ ધરાશાયી થતા ગામડાઓમાં અંધારપટ છવાઈ ગયો છે. વહીવટી તંત્ર દ્વારા TDO અને તલાટી કમ મંત્રીને નુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરવા સૂચના આપવામાં આવી છે, જ્યારે પીડિત ખેડૂત પરિવારોએ સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી છે.
બનાસકાંઠાના કાંકરેજમાં ભારે પવન સાથે વરસાદ
વરસાદના કારણે થયું મોટું નુકસાન
આકોલી ગામમાં ખેતરના ઢાળિયાના પતરા ઉડ્યા#BanaskanthaNews #Kankrej #StormDamage #GujaratWeather #MonsoonUpdate #HeavyRain #AkoliVillage #CropDamage pic.twitter.com/ICo8dIXlkc— Gujarat First (@GujaratFirst) June 2, 2026
આર્થિક પેકેજ જાહેર કરવાની માગ
બનાસકાંઠાના અસરગ્રસ્ત વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા સ્થિતિનું નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જેને દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ખેડૂતોની ચિંતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે. કુદરતી આફત સામે ખેડૂતો લાચાર બન્યા છે, અને વહીવટી તંત્રની મદદની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો : Ahmedabad Rain News : અમદાવાદમાં અચાનક વાતાવરણમાં પલટો! વાવાઝોડા અને વરસાદના કારણે ફ્લાઇટ ઓપરેશન પર અસર


