Vadodara : ગામેઠા ગામના સ્મશાનમાં દલિત વૃધ્ધના અંતિમ સંસ્કાર કરવા ન દેતા વિવાદ
અહેવાલ : વિજય માળી, પાદરા
વડોદરાના પાદરા તાલુકાના ગામેઠા ગામના સ્મશાનમાં દલિત વૃધ્ધના અંતિમ સંસ્કાર કરવા ન દેતા વિવાદ, 13 સામે પોલીસ ફરિયાદ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામમાં રહેતા દલિત સમાજના ઉંમરના કારણે અવસાન પામેલા 65 વર્ષિય વૃધ્ધના ગામના એક માત્ર સ્મશાનમાં ગામના અમુક લોકોએ અંતિમ સંસ્કાર કરવા ન દેતા ભારે વિવાદ સર્જાયો છે. કલાકો સુધી મૃતદેહ પડી રહ્યા બાદ મોડી સાંજે સ્મશાનથી દૂર અંતિમ સંસ્કાર કરવાની દલિતોને ફરજ પડી હતી.
પોલીસ ફરિયાદ
આ ઘટનાને પગલે દલિત સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સમાજના લોકો આજે વડુ ખાતે પહોંચ્યા હતા અને અંતિમ સંસ્કાર અટકાવનાર 13 લોકો સામે વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મળેલી માહિતી પ્રમાણે પાદરા તાલુકાના ગામેઠા ગામમાં આવેલા દલિતવાસમાં રહેતા 65 વર્ષિય કંચનભાઇ વણકરનું ઉંમરના કારણે બુધવારે અવસાન થયું હતું. પરિવારજનોના રોકકળ વચ્ચે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.
મામલો પોલીસમાં પહોંચ્યો
અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ફળિયાના અને સમાજના લોકો જોડાયા હતા. અંતિમ યાત્રા ગામના એક માત્ર સ્મશાનમાં પહોંચ્યા બાદ ડાઘુઓ દ્વારા અંતિમ સંસ્કારની તૈયારી કરવામાં આવી રહી હતી. તે સમયે ગામના અમુક લોકો પહોંચી જઇ અંતિમ સંસ્કાર અટકાવી દેતા ભારે હોબાળો મચ્યો હતો. અંતિમ સંસ્કાર અટકાવી દેતા બંને સમુદાયો વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો. સવારે અવસાન પામેલા કંચનભાઇના મૃતદેહના મોડી સાંજ સુધી અંતિમ સંસ્કાર થયા ન હતા. વિવાદ સર્જાતા વડુ પોલીસ સ્મશાનમાં પહોંચી ગઇ હતી. અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
દલિત સમાજમાં રોષ
આખરે મૃતક કંચનભાઇના અંતિમ સંસ્કાર ગામના સ્મશાનથી દૂર ખૂલ્લી જગ્યામાં દલિત સમાજને ફરજ પડી હતી. જોકે,ગામેઠા ગામમાં બુધવારે દલિત સમાજ સાથે થયેલા જાતીવાદના કૃત્યના દલિત સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આજે પાદરા તાલુકા તેમજ વડોદરા દલિત સમાજના અગ્રણીઓ વડુ પોલીસ મથકે પહોંચી ગયા હતા. અને ગામના સ્મશાનમાં દલિત સમાજના વ્યકિતના અંતિમ સંસ્કાર થવા ન દેનાર ગામના 13 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
દલિત સમાજના અગ્રણીના આક્ષેપો
દલિત સમાજના અગ્રણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમારા દલિત સમાજના વ્યક્તિનું મોત નીપજતા ગામના સવર્ણોએ ગામના સ્મશાનમાં અંતિમ સંસ્કાર થવા દીધા નથી. જાતી વિરૂધ્ધ અપશબ્દો બોલી ધમકી આપવામાં આવી છે. અમે દલિત સમાજને રક્ષણ આપવાની માંગણી કરી છે. અને અંતિમ સંસ્કાર કરવા ન દેનારાઓ વિરૂધ્ધ વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
શું કહ્યું પોલીસે?
વડુ પોલીસ મથકના PI એ જણાવ્યું હતું કે, ગામેઠા ગામના દલિત સમાજના વૃધ્ધનું અવસાન થયું હતું. ગામ લોકોએ તેઓના અંતિમ સંસ્કાર ગામના સ્મશાનમાં થવા દીધા ન હતા. આજે દલિત સમાજના લોકોએ વડુ પોલીસ મથકમાં ગામેઠા ગામના સરપંચના પતિ નગીનભાઇ પટેલ સહિત 13 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : VADODARA : કરજણ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ક્રેન તૂટી, એક શ્રમિકનું મોત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.