World Bicycle Day : મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાનમાં ‘સાયકલિંગ’ અનિવાર્ય અંગ
- World Bicycle Day : 'ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ' અભિયાનમાં અત્યાર સુધી દેશમાં ૪,૬૦૦ જેટલા સ્થળોએ બે લાખ સાયકલ પ્રેમી સહભાગી
- સાયકલિંગ એ હૃદય રોગ, સ્ટ્રોક, કેન્સર, ડાયાબિટીસ જેવી બિમારીઓ સામે લડવામાં મદદરૂપ કસરત
- વિશ્વભરમાં દર વર્ષે તા. ૩ જૂનના રોજ ‘વિશ્વ સાયકલ દિવસ’ ઊજવણી
- નિયમિત સાયકલ ચલાવવાથી તંદુરસ્ત શરીરની સાથે અમૂલ્ય પર્યાવરણને પણ અનેક ફાયદા
World Bicycle Day : આજના આધુનિક અને ભાગદોડભર્યા જીવનમાં બાળકો, યુવાઓ અને વડીલો સહિતના નાગરીકો વધતી સ્થૂળતાના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જેના નિરાકરણ, જીવનમાં સક્રિય રહેવા, તણાવ દૂર કરવા તથા પ્રકૃતિ સાથે ફરીથી જોડાવાનો એક સરળ અને શક્તિશાળી રસ્તો એટલે ‘સાયકલિંગ’. નિયમિત સાયકલિંગ કરવાથી તંદુરસ્ત શરીરની સાથે વાહનોના ધુમાડાથી થતાં પ્રદૂષણને ઘટાડી પર્યાવરણને બચાવવામાં પણ મદદરૂપ બની શકાય છે. આમ, સાયકલ ચલાવવાથી થતાં ફાયદા અંગે નાગરિકોને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી સમગ્ર વિશ્વમાં દર વર્ષે યુનાઈટેડ નેશન્સ-UN દ્વારા તા. ૩ જૂનના રોજ ‘વિશ્વ સાયકલ દિવસ’ ઊજવવામાં આવે છે.
ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ'
વડાપ્રધાન નરેન્દ્ર મોદી-PM Narendra Modi એ સ્થૂળતા સામે લડવાના તેમજ સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી અપનાવવાના હેતુસર કેન્દ્ર સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા 'ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ' Fit India Sundays on Cycle' નું રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં અત્યાર સુધીમાં ૪,૬૦૦ જેટલા સ્થળોએ લગભગ ૨ લાખ સાયકલ પ્રેમી નાગરિકો સહભાગી થયા છે. આ પહેલમાં ગુજરાત સહિત અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોલીસ દળ, સરકારી કર્મચારીઓ, NSS સ્વયંસેવકો, રમતવીરો, કોચ, રમતગમત વિજ્ઞાન નિષ્ણાંતો સહિત અનેક નાગરિકો ઉત્સાહભેર સહભાગી થયા હતા.
'ઓબેસીટી મુક્તિ' અભિયાનની રાષ્ટ્રવ્યાપી પહેલ
આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં મેદસ્વિતા એક ગંભીર સમસ્યા બની રહી છે, જેના કારણે અનેક બીમારીઓ થવાની શક્યતા રહેલી છે. દેશના નાગરિકો માટે સ્વસ્થ શરીરની મહત્વતાને સમજીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી-PM Narendra Modiએ વર્ષ ૨૦૨૫માં 'ઓબેસીટી મુક્તિ' Obesity Free અભિયાનની રાષ્ટ્રવ્યાપી પહેલ શરૂ કરી છે. જેના ભાગરૂપે ગુજરાતને મેદસ્વિતા મુક્ત બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે 'સ્વસ્થ ગુજરાત-મેદસ્વિતા મુક્ત ગુજરાત'ની ઝૂંબેશ શરૂ કરી છે. વજન ઘટાડવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવામાં સાયકલિંગની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે,
'ઓબેસીટી મુક્તિ' અભિયાનમાં સાયકલિંગ કેવી રીતે ફાયદાકારક છે
- સાયકલિંગ એ એક ઉત્તમ કાર્ડિયોવાસ્કુલર એક્સરસાઈઝ છે, જે હ્રદય માટે ફાયદાકારક છે.
- નિયમિત રીતે સાયકલિંગ કરવાથી શરીરનું વજન ઘટાડવામાં મદદ મળે છે.
- સાયકલિંગ કરવાથી ફેફસાંની કાર્યક્ષમતા સુધારો થાય છે.
- સાયકલિંગથી મન પર સકારાત્મક અસર થાય છે, જે માનસિક આરોગ્ય સુધારે છે
- સાયકલિંગથી શરીરની ચરબીમાં ઘટાડો અને શરીરની પોષણશક્તિમાં વધારો થાય છે.
- સાયકલિંગથી હૃદય રોગ, સ્ટ્રોક, કેન્સર, ડાયાબિટીસ અને મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે.
- સામાન્ય રીતે સાયકલિંગ કરવાથી નાના બાળકોની ઊંચાઈમાં વધારો થાય છે.
સાયકલ ચલાવવી એ ખૂબ જ ઉપયોગી પ્રવૃત્તિઓમાંની એક છે,
સાયકલિંગ એ આપણા તંદુરસ્ત સ્વાસ્થ્યની સાથે વાહનોમાં વપરાતા બળતણનો વપરાશ ઘટાડીને પર્યાવરણને થતા નુકસાનને અટકાવવામાં મહત્વપૂર્ણ બનશે.
આ પણ વાંચો: VADODARA : 'આ મનરેગા યોજના નથી, અહિંયા ખોટું નહીં થવા દઉં' - દીનું મામા