Dahod News: 1.46 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે 4 લૂંટારુઓને કબજે કરી વધુ તપાસ હાથ ધરી
Dahod News: દાહોદ શહેરમાં આંગડિયા પેઢીના (Angadia Firm) કર્મચારીને ટાર્ગેટ કરીને કરવામાં આવેલી 1.46 કરોડ રૂપિયાની તોતિંગ લૂંટના (Loot Case) મામલે દાહોદ પોલીસે મોટી સફળતા મેળવી છે. આ હાઈપ્રોફાઈલ લૂંટ કેસનો ભેદ ઉકેલતા પોલીસે ચાર લૂંટારુઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી લૂંટાયેલી રકમમાંથી 1.35 કરોડ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.
બનાવ બાદ સમગ્ર દાહોદમાં ચકચાર મચી ગઈ હતી
ઘટનાની વિગત મુજબ, આંગડિયા પેઢીના કર્મચારી જ્યારે નાણાં ભરેલો થેલો લઈને જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા તેમને આંતરીને માર મારવામાં આવ્યો હતો. આરોપીઓએ કર્મચારીને માર મારીને રોકડ રકમ ભરેલો થેલો લૂંટી લીધો હતો અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ બનાવ બાદ સમગ્ર દાહોદમાં ચકચાર મચી ગઈ હતી અને પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.
Dahod: બાતમીદારોના આધારે તપાસ
દાહોદ પોલીસની વિવિધ ટીમો દ્વારા ટેકનિકલ સર્વેલન્સ (Technical Surveillance) અને બાતમીદારોના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીઓનો પત્તો લાગતા પોલીસે ૪ લૂંટારુઓને ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ લૂંટ માટે અગાઉથી જ આયોજન કરવામાં આવ્યું હતું. લૂંટમાં વપરાયેલી બાઈક પણ પોલીસે કબજે કરી છે.
પોલીસે 1.35 કરોડનો માલ કબજે કર્યો
જોકે, આ આખી ઘટનામાં હજુ પણ 4 જેટલા આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસનું માનવું છે કે, આ લૂંટમાં સ્થાનિક સ્તરની કોઈ માહિતી અથવા આયોજન હોવાની શક્યતા છે. રિકવર કરાયેલા 1.35 કરોડના મુદ્દામાલ બાદ પોલીસ બાકીની રકમની તપાસ કરી રહી છે. આ કેસમાં પોલીસની ત્વરિત કાર્યવાહીને પગલે વેપારી આલમમાં રાહત જોવા મળી રહી છે. પોલીસે નાગરિકોને પણ મોટી રકમની હેરફેર કરતી વખતે સાવચેતી રાખવા અપીલ કરી છે.
આ પણ વાંચો: હવે NTA ની ગંભીર ક્ષતિ, CUET પરીક્ષામાં ટેકનિકલ ખામીથી વિદ્યાર્થીઓને ભારે હાલાકી


