GONDAL : ગોંડલમાં 42 વર્ષ બાદ પૂ. મોરારીબાપુની રામકથાનું ભવ્ય આયોજન કરાશે
GONDAL : અત્રેના જેતપુર રોડ ખાતે આવેલ શ્રી દાસીજીવણ પાર્ટી પ્લોટ મુકામે પૂ. મોરારીબાપુ કંઠે શ્રી રામકથાનું ભવ્ય આયોજન ગોંડલના ( GONDAL ) સુપ્રસિદ્ધ વાળવાળી જગ્યાના લોહલંગરી બાપુ અન્નક્ષેત્ર દ્વારા આયોજિત મહામંડલેશ્વર 1008 મહંતશ્રી સીતારામબાપુની અધ્યક્ષતામાં નિમિત્તમાત્ર મનોરથી ચેતનભાઈ કિશોરકુમાર સાંગાણી - યુગાન્ડાના સહયોગથી તા. 18 મે થી 26 મે સુધી યોજાનાર છે. જેમાં પ્રથમ દિવસે તા. 18 ને શનિવારે ભવ્ય પોથી યાત્રા બપોરે 1 વગ્યે ગોંડલ વાડવાળી જગ્યાથી વાજતે ગાજતે નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી કથા સ્થળે પોહચશે ત્યારબાદ બપોરે 4 થી 7 કથાનો પ્રારંભ થશે.
કથા દરરોજ સવારે 9.30 થી 1.30 સુધી પૂ. મોરારીબાપુ તેમની આગવી શૈલીમાં સંગીતની સુરાવલી સાથે કથારસપાન કરાવશે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશે. ઉલ્લેખનીય છે કે, 42 વર્ષ બાદ ગોંડલ ( GONDAL ) શહેરમાં રામકથા યોજવા જઈ રહી છે, ત્યારે સેવકગણ તેમજ ગોંડલ તથા આસપાસની જનતામાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે
રામકથામાં રોજ હજારો લોકો એકસાથે પ્રસાદ લેશે
ગોંડલ ખાતે શ્રી દાસીજીવણ પાર્ટી પ્લોટ મુકામે પૂ. મોરારીબાપુની રામકથામાં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ઉપરાંત દેશ વિદેશથી મોટી સંખ્યામાં સંતો મહંતો, સ્ત્રોતાઓ અને ભક્તો ઉપસ્થિત રહેશે. આ માટે સુંદર બેઠક વ્યવસ્થા માટે વાતાનુકુલિત કથા મંડપ તેમજ દરરોજ એકીસાથે 25 હજારથી વધુ લોકો પ્રસાદ લઇ શકે તે માટે મોટા ડોમમાં ભોજનાલયની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
40 વર્ષ પહેલા મહંત જમનાદાસબાપુએ રામકથા સંકલ્પ કર્યો હતો
મહામંડલેશ્વર 1008 મહંતશ્રી સીતારામબાપુ એ જણાવ્યું હતું કે, 1984માં વડવાળી જગ્યાના મહંત જમનાદાસબાપુ સેવા આપતા હતા અને તેમનો દ્રઢ સંકલ્પ હતો કે ગોંડલમાં પૂ.મોરારીબાપુની કથા કરવી છે. જે આજે 40 વર્ષ બાદ ગુરુમહારાજની કૃપા અને આશીર્વાદથી સાર્થક થયો હતો.
વડવાળી જગ્યાનો ઇતિહાસ
સૌકાઓ પહેલા ગૌમંડલ ધરા (ગોંડલ ) ને કર્મભૂમિ બનાવી સત્ય અને સંસ્કારનું સિંચન કરી ભુખ્યાને ભોજન આપી અન્નદાન મહાદાનના સૂત્રને જીવન મંત્ર બનાવનાર મહાત્માશ્રી લોહલંગરી બાપુની જગ્યા અત્રેના ભગવતપરા ખાતે આવેલ છે. 500 વર્ષથી વધારેના સમય પહેલાનું વડ વૃક્ષ હોવાથી તે વડવાળી જગ્યા તરીકે પણ પ્રચલિત છે. અહીં અખંડ ધૂણો - સુંદર શિવમંદિર અને રામજી મંદિર પણ આવેલ છે. રોજ પૂજન - આરતી પ્રસાદની વ્યવસ્થા પણ રખાય છે.
અન્નક્ષેત્રમાં દરરોજ 200 થી 250 લોકોને જમાડે છે
સુપ્રસિદ્ધ વડવાળી જગ્યામાં હાલમાં મહંત તરીકે 1008 મહામંડલેશ્વર શ્રી સીતારામ બાપુના માર્ગદર્શન હેઠળ ભાવીભક્તો - સાધુ સંતો અને રાહદારીઓ માટે અન્નક્ષેત્રની અવિરત સેવા ચાલુ છે. જેમાં દરરોજ 200 થી 250 લોકોને પ્રેમ અને ભાવથી જમાડે છે.
વિવિધ ધાર્મિક ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે
અત્રેની વડવાળી જગ્યા મુકામે 365 દિવસ ધમધમતું અન્નક્ષેત્ર ઉપરાંત વર્ષ દરમ્યાન આવતા વિવિધ તહેવારો જેવાકે નૂતનવર્ષ - મહાશિવરાત્રી - લોહંગગીરી બાપુનો પાટોત્સવ - ગુરુપૂર્ણિમા ઉત્સવ - રામ નવમી - જન્માષ્ટમી - શરદપૂર્ણિમા જેવા વિવિધ તહેવારો રંગેચંગે ઉજવણી થાય છે અને ઠેર ઠેરથી દર્શનાર્થીઓ અને શિષ્ય પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે.
મહાશિવરાત્રી નિમિતે જૂનાગઢ મેળામાં અનોખો સેવાયજ્ઞ
દરવર્ષે જૂનાગઢ સ્થિત શિવરાત્રી મેળામાં સાધુ સંતોની સેવા માટે પંડાલ નાખી 6 દિવસ સુધી સતત ભંડારની વ્યવસ્થા કરવામાં આવે છે. જેમાં ત્રણેય ટાઈમ ભોજન અને ભજન દ્વારા અનોખી ભક્તિ કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં સાધુ સંતો જોડાઈ છે.
કથાના આયોજનને લઈને બેઠક યોજાઇ
મોરારીબાપુની રામકથાના આયોજનને લઈને નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયાએ પુ.સીતારામબાપુની અધ્યક્ષતામાં શહેરની વિવિધ સંસ્થાઓ અને જ્ઞાતિઓના આગેવાનોની યોજેલી બેઠકમા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સંતો મહંતો અને આગેવાનોએ રામકથા દરમિયાન આયોજનમાં સહભાગી બની સેવા આપવા તત્પરતા દાખવી ખાત્રી આપી હતી.ગોંડલમાં ૪૨ વર્ષ પહેલા મોરારી બાપુની કથાનું આયોજન સંગ્રામસિંહ હાઈસ્કૂલના મેદાનમા થયું હતુ. ત્યારે ૪૨ વર્ષ બાદ આયોજન કરાયુ હોય શહેરભરમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચો : VADODARA : નંબર પ્લેટ સાથે છેડછાડ કરનારા તત્વોની હવે ખેર નથી