Agriculture Recruitment: ગુજરાત કૃષિ વિભાગમાં 415 યુવાઓની ભરતી, CM ના હસ્તે નવનિયુક્ત યુવાઓને નિમણૂંક પત્રો એનાયત
Agriculture Recruitment: ગાંધીનગર ખાતે આયોજિત એક ગૌરવપૂર્ણ સમારોહમાં, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં પસંદગી પામેલા 415 ખેતી મદદનીશોને નિમણૂંક પત્રો એનાયત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે આ ભરતી એક મહત્વપૂર્ણ કદમ છે. કાર્યક્રમમાં પ્રતીકાત્મક રીતે 21 યુવાઓને રૂબરૂ પત્રો અપાયા હતા, જ્યારે અન્યને ઈ-મેઈલ દ્વારા જાણ કરવામાં આવી હતી.
ખેડૂત વિકસિત ભારતના નિર્માણનો મુખ્ય સ્તંભ
મુખ્યમંત્રીએ નવનિયુક્ત યુવાનોને સંબોધતા જણાવ્યું કે, વર્તમાન વૈશ્વિક સ્થિતિમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવો એ સમયની માંગ છે. તેમણે યુવાનોને ‘ઈશ્વરીય તક’ તરીકે આ સેવાને ઝડપી લેવા આહવાન કર્યું હતું. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ખેડૂત એ વિકસિત ભારતના નિર્માણનો મુખ્ય સ્તંભ છે, તેથી તેમની સેવા કરવી એ જ આત્મનિર્ભર ગુજરાતની સાચી સેવા છે.
ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા પર ભાર મુક્યો
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આ તમામ યુવાનો વચેટિયાઓ કે ભલામણ વિના માત્ર મેરિટના આધારે પસંદ થયા છે. તેમણે યુવાનોને ‘ખેતી બચાવો અભિયાન’ ના વાહક બનવા અપીલ કરી હતી. મંત્રીશ્રીએ સલાહ આપી હતી કે, શરૂઆતના વર્ષોમાં ફિલ્ડ વર્કને પ્રાધાન્ય આપવાથી અનુભવ મળશે, જે તેમને ભવિષ્યના કુશળ અધિકારી બનાવશે.
Agriculture Recruitment: સરકારી યોજનાઓ પહોંચાડવાનું મહત્વનું
કૃષિ અગ્ર સચિવ આર.સી. મીણાએ પણ ભરતી પ્રક્રિયાની રૂપરેખા આપી નવનિયુક્ત ઉમેદવારોને વિભાગમાં આવકાર્યા હતા. આ સમગ્ર ભરતી પ્રક્રિયા એ વાતની સાક્ષી પૂરે છે કે રાજ્ય સરકાર યુવા શક્તિને સશક્ત કરવા અને કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીના સમન્વય સાથે ખેડૂતોનું જીવનધોરણ સુધારવા માટે કટિબદ્ધ છે. આ યુવા કર્મયોગીઓ હવે છેવાડાના ખેડૂતો સુધી સરકારી યોજનાઓ પહોંચાડવાનું મહત્વનું દાયિત્વ સંભાળશે.
આ પણ વાંચો: AMC નો માસ્ટર પ્લાન: અમદાવાદના 9 ફ્લાયઓવર અને અંડરબ્રિજ નીચે બનશે હાઇટેક સ્પોર્ટ્સ સેન્ટર્સ


