સામાન્ય રીતે જેલનું નામ પડતાં જ મનમાં સજા અને અંધકારનો ખ્યાલ આવે, પરંતુ ગુજરાત રાજ્યનો જેલ અને સુધારાત્મક વહીવટ વિભાગ આ માન્યતાને બદલી રહ્યો છે. જેલની ચાર દીવાલો વચ્ચે સજા કાપી રહેલા બંદીવાનો અને તેમના પરિવારોના જીવનમાં શિક્ષણનો ઉજાસ ફેલાવવા માટે જેલ વિભાગે એક અત્યંત પ્રશંસનીય અને માનવતાવાદી કદમ ઉઠાવ્યું છે.
ગઈકાલે, 11 જૂન 2026 ના રોજ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે “એક નઈ ઉમ્મીદ” યોજના હેઠળ એક હૃદયસ્પર્શી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
Gujarat Jail Department initiative : તેજસ્વી તારલાઓનું સન્માન
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર બંદીવાનોને જ નહીં, પરંતુ તેમના બાળકોના ભવિષ્યને પણ સુરક્ષિત કરી પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો. વર્ષ 2026 માં ધોરણ-10,12, અને ઉચ્ચ અભ્યાસની પરીક્ષાઓમાં ઝળહળતી સફળતા મેળવનાર રાજ્યની વિવિધ જેલોના બંદીવાનોના કુલ 18 તેજસ્વી બાળકોને આ પ્રસંગે ખાસ આમંત્રિત કરાયા હતા.
રાજ્યના જેલોના વડા (DGP) ડૉ. કે. એલ. એન. રાવે પોતાના વરદ્હસ્તે આ તમામ બાળકોને રોકડ પુરસ્કાર અને પ્રશંસાપત્ર એનાયત કરી તેમની પીઠ થાબડી હતી. ડૉ. રાવે બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવાની સાથે બંદીવાનો અને તેમના પરિવારોને “એક નઈ ઉમ્મીદ” યોજના વિશે માહિતગાર કરી પ્રેરણા પૂરી પાડી હતી.
Gujarat Jail Department initiative : જેલના સળિયા પાછળ ખુલશે શાળાના દ્વાર
NIOS સાથે ઐતિહાસિક MOU બંદીવાનોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવા આ જ મંચ પરથી એક મોટો નિર્ણય લેવાયો હતો. અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે બંદીવાનોના પુનર્વસન અને શિક્ષણ માટે નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓપન સ્કૂલીંગ (NIOS) સાથે એક મહત્વપૂર્ણ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
આ કરાર મુજબ:
જે બંદીવાનોનો અભ્યાસ અધવચ્ચે છૂટી ગયો છે, તેઓ હવે જેલમાં રહીને જ કોઈપણ ધોરણથી ફરી પ્રવેશ મેળવી શકશે.
બંદીવાનો જેલની અંદર રહીને જ ધોરણ-12 સુધીનો પોતાનો અભ્યાસ પૂરો કરી શકશે.
ભવિષ્યમાં NIOS દ્વારા રોજગારલક્ષી અને કૌશલ્ય આધારિત (Skill-based) અભ્યાસક્રમો પણ શરૂ કરાશે, જેથી સજા પૂરી થયા બાદ બંદીવાનો સમાજમાં સન્માનભેર પોતાની આજીવિકા કમાઈ શકે.
જેલના સળિયા પાછળ આકાર લઈ રહેલી આ નવતર પહેલનું આયોજન ગુજરાત જેલના વડા DGP ડૉ. કે. એલ. એન. રાવ અને DIG રાકેશ પી. બારોટના સક્ષમ માર્ગદર્શન હેઠળ તથા અમદાવાદ મધ્યસ્થ જેલના અધિક્ષક ગૌરવ અગ્રવાલના સીધા નિરીક્ષણ હેઠળ કરવામાં આવ્યું હતું.
સમાજના વંચિત વર્ગ અને સજા કાપી રહેલા કેદીઓના ભવિષ્યને સુધારવા માટે જેલ વિભાગ દ્વારા શરૂ કરાયેલી શિક્ષણ ક્ષેત્રની આ પહેલ ખરા અર્થમાં અંધકારમાં 'એક નવી ઉમ્મીદ' જગાવી રહી છે, જેની સર્વત્ર ભારે પ્રશંસા થઈ રહી છે.
આ પણ વાંચો : Gandhinagar NEWS : ગુજરાત પોલીસનો ઐતિહાસિક નિર્ણય: રોજ 2 કલાક પ્રજાના પ્રશ્નો સાંભળવા પડશે!