Rajkot-Somnath: રેલ મુસાફરોનો આક્રોશ, વીરપુર સ્ટેશન પર ટ્રેન અટકાવી કર્યો હોબાળો!
- Rajkot-Somnath લોકલ ટ્રેન રોકી મુસાફરોનો હોબાળો!
- વીરપુર રેલવે સ્ટેશન પર 15 મિનિટ સુધી ટ્રેન થંભાવી દેવાઈ
- ટ્રેન દરરોજ લેટ આવવાથી અને અપૂરતા કોચથી મુસાફરો ત્રસ્ત
- વારંવાર રજૂઆતો છતાં રેલવે તંત્ર દ્વારા કોઈ ઉકેલ નહીં
- સ્થાનિક પોલીસના હસ્તક્ષેપ બાદ ટ્રેનને રવાના કરાવવામાં આવી
- રેલવેની કામગીરી સામે મુસાફરોમાં ભારે રોષ અને આક્રોશ
Rajkot-Somnath Train: રાજકોટ-સોમનાથ લોકલ ટ્રેન (Rajkot-Somnath Local Train) માં મુસાફરી કરતા અપડાઉન કરતા મુસાફરોની ધીરજ ખૂટી છે. વીરપુર રેલવે સ્ટેશન (Virpur Railway Station) ખાતે આજે સવારે મુસાફરોએ ટ્રેનને 10 થી 15 મિનિટ સુધી અટકાવીને ભારે હોબાળો મચાવ્યો હતો. ટ્રેન સમયસર આવતી ન હોવા ઉપરાંત કોચની સંખ્યા ઓછી હોવાથી મુસાફરો ભારે પરેશાન છે. આ અગાઉ પણ મુસાફરો દ્વારા આ જ મુદ્દે ટ્રેન અટકાવવામાં આવી હતી, છતાં રેલવે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.
ટ્રેનમાં કોચની સંખ્યા મર્યાદિત હોવાથી ભીડ વધુ
અપડાઉન કરતા નોકરિયાત અને વિદ્યાર્થી મુસાફરોનો દાવો છે કે ટ્રેન દરરોજ મોડી દોડે છે, જેના કારણે તેઓ કામના સ્થળે કે કોલેજ સમયસર પહોંચી શકતા નથી. વધુમાં, ટ્રેનમાં કોચની સંખ્યા મર્યાદિત હોવાથી ભીડનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે, જેના કારણે મહિલાઓ અને વૃદ્ધોને મુસાફરી કરવામાં અસહ્ય હાલાકી ભોગવવી પડે છે. અનેકવાર રેલવે વિભાગને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં, પરિસ્થિતિમાં કોઈ સુધારો ન આવતા અંતે મુસાફરોએ ટ્રેન રોકીને વિરોધ પ્રદર્શન કરવાનો માર્ગ અપનાવ્યો હતો.
Rajkot-Somnath: મુસાફરોને સમજાવીને ટ્રેન રવાના કરી
ઘટનાની જાણ થતા જ વીરપુર પોલીસ (Virpur Police) કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ અધિકારીઓએ રોષે ભરાયેલા મુસાફરોને સમજાવીને ટ્રેન રવાના કરાવી હતી. પરંતુ, આ વારંવારની ઘટના દર્શાવે છે કે રેલવે તંત્રની કામગીરી અને મુસાફરોની સુવિધા વચ્ચે મોટું અંતર છે. મુસાફરોએ કોચ વધારવાની અને સમયપાલન (Time Table) સુધારવાની તાત્કાલિક માંગ કરી છે, જો આવનારા દિવસોમાં પણ કોઈ ફેરફાર નહીં થાય, તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી મુસાફરોએ આપી છે.
આ પણ વાંચો: Bakri Eid Holiday Gujarat: ગુજરાતમાં બકરી ઇદની રજામાં બદલાવ, 27 મેના બદલે 28 મેના રોજ રહેશે જાહેર રજા


