Gujarat News Today: ગુજરાત આજે અનેક મહત્વના સમાચારો સાથે ચર્ચામાં છે. ગાંધીનગરથી લઈને વલસાડ સુધી આજે રાજ્યમાં વિવિધ ઘટનાઓ બની છે, જેમાં ખેડૂતો સાથેના સંવાદથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના સાયબર ક્રાઈમનો પર્દાફાશ સુધીના અહેવાલોનો સમાવેશ થાય છે. આજના લેખમાં આપણે જાણીશું કે આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શું ખાસ બન્યું અને સામાન્ય નાગરિકો માટે કયા સમાચાર સૌથી મહત્વના છે. રાજ્યની તમામ મુખ્ય ઘટનાઓનું ત્વરિત અને સચોટ વિશ્લેષણ નીચે મુજબ છે.
ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ગાંધીનગરના મહુન્દ્રા ગામ ખાતે પ્રાકૃતિક કૃષિને લઈ ખેડૂતો સાથે સંવાદ કરશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેશે, પ્રાકૃતિક કૃષિના ફાયદા અને યોજનાઓ બાબતે ચર્ચા કરશે.
જામનગર
જામનગર શહેરને પાણી પૂરું પાડતા મુખ્ય ડેમો (ઊંડ-1, સસોઈ અને આજી-3) માં હવે માત્ર 31 જુલાઈ સુધી જ ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ રહ્યો છે.શહેરમાં પીવાના પાણીનું સંકટ ન સર્જાય તે માટે ડેમો સંપૂર્ણ ખાલી થાય તે પહેલાં જ 'સૌની યોજના' મારફતે ડેમોમાં પાણી ઠાલવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.હાલ મચ્છુ-2 ડેમમાં પાણીનું લેવલ મેઇન્ટેન કરવાની કામગીરી ચાલુ કરી દેવાઈ છે. મચ્છુ-2 ડેમનું લેવલ સેટ થઈ ગયા બાદ, જામનગરની જળ વિતરણ વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે સૌપ્રથમ ઊંડ-1 ડેમમાં અને ત્યારબાદ સસોઈ ડેમમાં પાણી ઠાલવવામાં આવશે.
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લામાં વરસાદની ઘટના કારણે ઘાસચારાના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને સૂકુ ઘાસ જેનો એક મણ નો ભાવ અગાઉ 250 થી 300 રૂપિયા હતો તે હાલ વધીને 400 થી 500 રૂપિયા સુધી પહોંચી ગયો છે તેમજ લીલા ઘાસમાં પણ મણ દીઠ રૂપિયા 50 થી 60નો વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બન્યો છે. આગામી સમયમાં વરસાદની વધુ ઘટ પડશે તો પશુપાલકોની હાલત વધુ કફોડી બને તેવી શક્યતા છે.સુરેન્દ્રનગર
છેલ્લા લાંબા સમયથી કચ્છના નાના રણમાં સર્વે સેટલમેન્ટની માગ હતી. જે સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. 16 અધિકારીઓની કમિટીની રચના કરવામાં આવી છે. આગામી દિવસોમાં અગરિયાઓના રણની જમીનનો વિવાદ અંત આવશે. સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડી જાહેર કરવામાં આવ્યું છે.
ગીર સોમનાથ
થાઈલેન્ડ ખાતે યોજાયેલ 16મી એશિયન ગર્લ્સ અંડર-18 વોલીબોલ ચેમ્પિયનશિપમાં ભારતનું ગૌરવ વધારી સ્વદેશ પરત ફરેલ ઇન્ડિયન ગર્લ્સ વોલીબોલ ટીમ (અંડર-18)ની ગુજરાતની ત્રણ પ્રતિભાશાળી દીકરીઓ અને તેમના પ્રશિક્ષકો માટે કોડીનારમાં એક ભવ્ય સન્માન સમારોહ અને સ્વાગત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કોડીનારના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા પણ ઉપસ્થિત રહેશે.
તાપી
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ આજે તાપી જિલ્લાના પ્રવાસે છે.જેમાં તેઓ દ્વારા વ્યારા વિધાનસભા મત વિસ્તારમાં અલગ અલગ બેઠકો અને કાર્યક્રમ કરશે જેઓ સવારે 9 વાગ્યા થી લઈ સાંજ સુધી અલગ અલગ મોરચાના કાર્યકરો તેમજ પત્રકારો સાથે સંવાદ કરશે.
આ પણ વાંચો : Rashifal 18 july 2026 : આજે શનિદેવની કૃપાથી બદલાશે આ રાશિઓનું નસીબ! જાણો રાશિફળ